1 રાજાઓ
લેખક
જો કે કેટલાક વિવેચકોએ એઝરા, હઝકિયેલ અને યર્મિયાને સંભવિત લેખકો તરીકે સૂચવ્યા છે તો પણ 1 રાજાઓના પુસ્તકના લેખક વિષે કોઈ જાણતું નથી. સમગ્ર લખાણ ચારસો વરસ કરતાં વધારે સમયગાળો આવરે છે તેથી હેવાલોને સંકલિત કરવામાં અનેક સ્રોતસામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલીક કડીઓ જેમ કે સાહિત્યિક શૈલીઓ, સમગ્ર પુસ્તકમાં વણાયેલા મુદ્રાલેખો, અને વપરાયેલ સાહિત્ય સામગ્રીનો પ્રકાર બહુવિધ સંકલનકર્તાઓ કે લેખકોને બદલે એક સંકલનકર્તા કે લેખક સૂચવે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 590 થી 538 વચ્ચેનો છે.
જ્યારે પ્રથમ ભક્તિસ્થાન હજુ પણ હયાત હતું ત્યારે તે લખાયું હતું (1 રાજા 8:8).
વાંચકવર્ગ
ઇઝરાયલના લોકો તથા બાઇબલના બધા જ વાંચકો.
હેતુ
આ પુસ્તક 1 અને 2 શમુએલના પુસ્તકોનું અનુગામી પુસ્તક છે અને તેની શરૂઆત દાઉદના મૃત્યુ બાદ સુલેમાનનો રાજા તરીકેનો ઉદય બતાવવા દ્વારા થાય છે. વાર્તાની શરૂઆત સંગઠિત રાજ્ય સાથે થાય છે, પણ તેનો અંત યહૂદા અને ઇઝરાયલ તરીકે ઓળખાતા રાજ્યોમાં વિભાજિત રાષ્ટ્ર તરીકે થાય છે. હિબ્રૂ બાઇબલમાં 1 અને 2 રાજાઓના પુસ્તકો એક જ પુસ્તકમાં એકત્રિત છે.
મુદ્રાલેખ
વિઘટન
રૂપરેખા
1. સુલેમાનનું રાજશાસન — 1:1-11:43
2. રાજ્યનું વિભાજન — 12:1-16:34
3. એલિયા અને આહાબ — 17:1-22:53
1
દાઉદ રાજાની વૃદ્ધાવસ્થા
હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ અને પ્રોઢ ઉંમરનો થયો હોવાથી તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યાં, પણ તેને હૂંફ મળી નહિ. તેથી તેના સેવકોએ તેને કહ્યું, “અમારા માલિક રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ. તે રાજાની હજૂરમાં ઊભી રહીને તેમની સેવા અને સારવાર કરે. આપની સાથે સૂઈ જાય જેથી આપનું શરીર ઉષ્માભર્યું રહે.”
તેથી તેઓએ સુંદર કન્યા માટે આખા ઇઝરાયલમાં શોધ કરી. તેઓને શૂનામ્મી અબીશાગ નામે એક કન્યા મળી. તેને તેઓ રાજા પાસે લાવ્યા. તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સેવા કરી, પણ રાજાએ તેની સાથે શારીરિક સંબંધ રાખ્યો નહિ.
રાજગાદીનો હક્ક કરતો અદોનિયા
તે સમયે હાગ્ગીથના દીકરા અદોનિયાએ અભિમાન કરતાં કહ્યું કે, “હું રાજા થઈશ.” તેણે પોતાને માટે રથો, ઘોડેસવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા. “તેં આ પ્રમાણે કેમ કર્યું?” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહોતો. અદોનિયા ઘણો રૂપાળો હતો, તે આબ્શાલોમ પછી જનમ્યો હતો.
તેણે સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક પાસેથી સલાહ લીધી. તેઓએ અદોનિયાને અનુસરીને તેને સહાય કરી. પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાના પક્ષે ગયા નહિ.
અદોનિયાએ એન-રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટાં, બળદો તથા પુષ્ટ પશુઓનું અર્પણ કર્યું. તેણે પોતાના સર્વ ભાઈઓને, એટલે રાજાઓના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદિયાના સર્વ માણસોને આમંત્રણ આપ્યું. 10 પણ તેણે નાથાન પ્રબોધકને, બનાયાને, યોદ્ધાઓને તથા પોતાના ભાઈ સુલેમાનને આમંત્રણ આપ્યું નહિ.
સુલેમાનને ગાદીએ બેસાડ્યો
11 પછી નાથાને સુલેમાનની માતા બાથશેબાને બોલાવીને પૂછ્યું, “શું તમે નથી સાંભળ્યું કે, હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા બન્યો છે અને આપણા માલિક દાઉદને ખબર નથી? 12 હવે હું તમને એવી સલાહ આપું છું કે તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ બચાવો.
13 તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘મારા માલિક રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે, “તારો દીકરો સુલેમાન ચોક્કસ મારા પછી રાજા થશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?” તો પછી શા માટે અદોનિયા રાજ કરે છે?’ 14 જયારે તમે રાજા સાથે વાત કરતા હશો, ત્યારે હું તમારી પાછળ આવીને તમારી વાતને સમર્થન આપીશ.”
15 તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ. રાજા ઘણો વૃદ્વ થયો હતો અને શૂનામ્મી અબીશાગ રાજાની સેવા ચાકરી કરતી હતી. 16 બાથશેબાએ રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. અને રાજાએ પૂછ્યું, “તારી શી ઇચ્છા છે?” 17 તેણે તેને જવાબ આપ્યો, “મારા માલિક, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાહના સમ ખાધા હતા, ‘ચોક્કસ તારો દીકરો સુલેમાન મારા પછી રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે.’ ”
18 હવે જો, અદોનિયા રાજા બન્યો છે અને મારા માલિક રાજા, તમે તો એ જાણતા નથી. 19 તેણે બળદો, પુષ્ટ પશુઓ અને ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને આમંત્રણ આપ્યાં છે, પણ તેણે તમારા સેવક સુલેમાનને આમંત્રણ આપ્યું નથી.
20 મારા માલિક રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે, મારા માલિક રાજા પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે અમને જણાવો. 21 નહિ તો જયારે મારા માલિક રાજા પોતાના પિતૃઓની જેમ ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”
22 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો. 23 સેવકોએ રાજાને જણાવ્યું કે, “નાથાન પ્રબોધક અહીં છે.” જયારે તે રાજાની આગળ આવ્યો, ત્યારે તેણે રાજાની આગળ નમીને પ્રણામ કર્યા.
24 નાથાને કહ્યું, “મારા માલિક રાજા, શું તમે એમ કહ્યું છે કે, ‘મારા પછી અદોનિયા રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?’ 25 કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, ‘રાજા અદોનિયા ઘણું જીવો!’ ”
26 પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા સેવક સુલેમાનને તેણે આમંત્રણ આપ્યું નથી. 27 શું એ કામ મારા માલિક રાજાએ કર્યું છે? જો એમ હોય તો મારા માલિક રાજાની પછી તેમના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી.”
28 પછી દાઉદ રાજાએ જવાબ આપ્યો, “બાથશેબાને મારી પાસે બોલાવો.” તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી. 29 રાજાએ સમ ખાઈને કહ્યું, “જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે, 30 જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના સમ ખાઈને તેમની હાજરીમાં કહ્યું છે કે, ‘મારા પછી તારો દીકરો સુલેમાન રાજ કરશે અને તે મારી જગ્યાએ રાજ્યાસન પર બેસશે,’ તે પ્રમાણે હું આજે ચોક્કસ કરીશ.” 31 પછી બાથશેબાએ રાજાની આગળ જમીન સુધી નીચે નમીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “મારા માલિક દાઉદ રાજા સદા જીવતા રહો!”
32 દાઉદ રાજાએ કહ્યું, “સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો.” તેથી તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા. 33 રાજાએ તેઓને કહ્યું, “તમે તમારા માલિકના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ. 34 ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને રણશિંગડું વગાડીને જાહેર કરજો કે, ‘સુલેમાન રાજા ઘણું જીવો!’ ”
35 પછી તમે તેની પાછળ આવજો અને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગ્યાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર આગેવાન નીમ્યો છે.” 36 યહોયાદાના દીકરા બનાયાએ રાજાને જવાબ આપ્યો, “એમ જ થાઓ! મારા માલિક રાજાના ઈશ્વર યહોવાહ પણ એવું જ કહો. 37 જેમ યહોવાહ મારા માલિક રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાન સાથે પણ રહો અને મારા માલિક દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેનું રાજ્યાસન મોટું કરો.”
38 તેથી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરેથીઓ અને પલેથીઓએ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા. 39 સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!” 40 પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.
41 અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?” 42 તે હજી બોલતો હતો, એટલામાં જ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, કેમ કે તું પ્રામાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે.”
43 યોનાથાને અદોનિયાને જવાબ આપ્યો, “આપણા માલિક દાઉદ રાજાએ સુલેમાનને રાજા બનાવ્યો છે. 44 અને રાજાએ તેની સાથે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને, યહોયાદાના દીકરા બનાયાને તથા કરેથીઓ અને પલેથીઓને મોકલ્યા છે. તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે. 45 સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષેક કર્યો છે અને ત્યાંથી તેઓ એવી રીતે આનંદ કરતા પાછા આવ્યા કે તે નગર ગાજી રહ્યું છે. તમે જે જયપોકારો સાંભળ્યા છે તે એ જ છે.
46 વળી રાજાના રાજ્યાસન પર સુલેમાન બિરાજમાન થયો છે. 47 રાજાના સેવકોએ આપણા માલિક દાઉદ રાજાને આશીર્વાદ આપવા અંદર આવીને કહ્યું, ‘તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો અને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન ઉન્નત બનાવો.’ અને રાજાએ પોતાના પલંગ પર બેઠા થઈને પ્રણામ કર્યા. 48 રાજાએ પણ કહ્યું, ‘ઇઝરાયલના ઈશ્વર યહોવાહ જેમણે આ દિવસે મારા જોતાં મારા રાજ્યાસન પર બેસનાર દીકરો મને આપ્યો છે, તેઓ પ્રશંસાને યોગ્ય છે.’ ”
49 પછી અદોનિયાના સર્વ મહેમાનો ગભરાયા; તેઓ ઊઠીને માણસ પોતપોતાને માર્ગે ગયા. 50 અદોનિયા સુલેમાનથી ગભરાઈને ઊઠ્યો અને જઈને તેણે વેદીનાં શિંગ પકડ્યાં* 1:50 અદોનિયાયા તંબુમાં તરત જ પહોંચી ગયો. તેથી કહેવામાં આવે છે કે, “તે પવિત્ર તંબુમાં દોડ્યો અને યજ્ઞવેદીના શિંગડાને પકડી રાખ્યો.” યજ્ઞવેદીના શિંગડાં યજ્ઞવેદીના ચાર ખૂણાઓને દર્શાવે છે. શિંગડાને પકડી રાખનાર કોઈપણ વ્યક્તિ સુરક્ષિત રહે છે (જુઓ નિર્ગ. 21:13 - 14).. 51 પછી સુલેમાનને કહેવામાં આવ્યું, “જો, અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીનાં શિંગ પકડીને કહે છે, ‘સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તલવારથી પોતાના સેવકને મારી નાખશે નહિ.’ ”
52 સુલેમાને કહ્યું, “જો તે યોગ્ય વર્તણૂક કરશે, તો તેનો એક પણ વાળ વાંકો કરવામાં આવશે નહિ. પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે, તો તે માર્યો જશે.” 53 તેથી સુલેમાન રાજાએ માણસો મોકલ્યા, તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમીને પ્રણામ કર્યા અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘરે જા.”

*1:50 1:50 અદોનિયાયા તંબુમાં તરત જ પહોંચી ગયો. તેથી કહેવામાં આવે છે કે, “તે પવિત્ર તંબુમાં દોડ્યો અને યજ્ઞવેદીના શિંગડાને પકડી રાખ્યો.” યજ્ઞવેદીના શિંગડાં યજ્ઞવેદીના ચાર ખૂણાઓને દર્શાવે છે. શિંગડાને પકડી રાખનાર કોઈપણ વ્યક્તિ સુરક્ષિત રહે છે (જુઓ નિર્ગ. 21:13 - 14).