પિતરનો પહેલો પત્ર
લેખક
શરૂઆતની કલમ દર્શાવે છે કે લેખક ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર છે. તે પોતાને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત કહે છે (1:1). ખ્રિસ્તનાં દુઃખસહન વિશે વારંવાર કરેલા ઉલ્લેખો (2:21-24; 3:18; 4:1; 5:1) બતાવે છે કે દુઃખસહન કરતા સેવકના ચિત્રની તેના મન પર ઊંડી છાપ પડી હતી. યુવાન માર્ક તથા તેના કુટુંબ માટેના પ્રેમને યાદ કરતાં (પ્રેરિતોનાં કૃત્યો 12:12) તે તેને પોતાનો “પુત્ર” કહે છે (5:13). આ તથ્યો આપણને સ્વાભાવિક રીતે એ અનુમાન તરફ દોરી જાય છે કે પિતર પ્રેરીતે આ પત્ર લખ્યો હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 64 ની વચ્ચેનો છે.
5:13 માં લેખક બાબિલમાંની મંડળીથી અભિવાદન મોકલે છે.
વાંચકવર્ગ
પિતરે આ પત્ર લઘુ-આસિયાના ઉત્તરીય પ્રદેશોમાં વિખેરાયેલા ખ્રિસ્તીઓના એક જૂથને લખ્યો હતો. તેણે લોકોના એવા જૂથને તે લખ્યો હતો જેમાં કદાચને યહૂદીઓ તથા બિનયહૂદીઓ બન્નેનો સમાવેશ થયેલો હતો.
હેતુ
પિતરે પત્ર લખવાનું કારણ આપ્યું છે એટલે કે તેના વાંચકો કે જેઓ પોતાના વિશ્વાસ માટે સતાવણીનો સામનો કરી રહ્યા હતા તેઓને ઉત્તેજન આપવાનું હતું. તે ઇચ્છતો હતો કે તેઓ પૂરી રીતે ખાતરી પામે કે ઈશ્વરની કૃપા ખ્રિસ્તી વિશ્વાસમાં જ જોવા મળે છે અને તેથી તે વિશ્વાસનો ત્યાગ ન કરવો જોઈએ. 1 પિતર 5:12 માં દર્શાવ્યું છે તેમ, “મેં તમને બોધ આપતાં તથા જાહેર કરતાં ટૂંકમાં લખ્યું છે કે આ ઈશ્વરની ખરી કૃપા છે. તેમાં તમે સ્થિર ઊભા રહો”. દેખીતી રીતે આ સતાવણી તેના વાંચકોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી. પિતરનો પહેલો પત્ર સમગ્ર ઉત્તરીય લઘુ-આસિયામાં પ્રવર્તમાન સતાવણી દર્શાવે છે.
મુદ્રાલેખ
દુઃખસહન પ્રત્યેનો પ્રતિભાવ
રૂપરેખા
1. અભિવાદન — 1:1, 2
2. ઈશ્વરની કૃપા માટે તેમની સ્તુતિ — 1:3-12
3. પવિત્ર જીવન માટે બોધ — 1:13-5:12
4. અંતિમ અભિવાદન — 5:13, 14
1
પ્રસ્તાવના
ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ; જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.
જીવંત આશા
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે. છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.
એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો. એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો. તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો. 10 જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.
11 ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા. 12 જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.
પવિત્ર જીવન જીવવા આમંત્રણ
13 એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો. 14 તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.
15 પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ. 16 કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” 17 અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.
18 કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ, 19 પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
20 તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા. 21 તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.
22 તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો. 23 કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.
24 કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, 25 પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.