પ્રેરિતોનાં કૃત્યો
લેખક
આ પુસ્તકનો લેખક લૂક વૈદ છે. પ્રેરિતોનાં કૃત્યોનાં ઘણાં બનાવોનો લૂક પ્રત્યક્ષ સાક્ષી હતો અને તે તેના ઘણાં સત્રોમાંના “અમે” શબ્દના ઉપયોગ દ્વારા સાબિત થાય છે (16:10-17; 20:5-21:18; 27:1-28:16). પારંપારિક રીતે તેને બિનયહૂદી માનવામાં આવે છે અને મૂળભૂત રીતે તે સુવાર્તા પ્રચારક હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 63 ની વચ્ચેનો છે.
લખાણનાં ચાવીરૂપ સ્થળો યરુશાલેમ, સમરૂન, લોદ, જોપ્પા, અંત્યોખ, ઇકોનિયા, લુસ્ત્રા, દર્બે, ફિલિપ્પી, થેસ્સલોનિકા, બરૈયા, આથેન્સ, કરિંથ, એફેસસ, કાઈસારિયા, માલ્ટા તથા રોમ હોય શકે છે.
વાંચકવર્ગ
લૂકે આ પુસ્તક થિયોફિલને લખ્યું હતું (1:1). દુઃખદ વાસ્તવિક્તા એ છે કે થિયોફિલ કોણ હતો તે વિષે વધારે માહિતી મળતી નથી. કેટલીક સંભાવનાઓ એ છે કે તે લૂકનો આશ્રયદાતા હતો અથવા તો થિયોફિલ નામ (જેનો અર્થ “ઈશ્વર પ્રેમી” થાય છે) નો સાર્વત્રિક ઉપયોગ બધા જ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરવા થાય છે.
હેતુ
પ્રેરિતોનાં કૃત્યોનો હેતુ મંડળીનો જન્મ અને વિકાસનું વર્ણન કરવાનો છે. તે યોહાન બાપ્તિસ્મી, ઈસુ અને બાર શિષ્યોએ સુવાર્તાઓમાં શરૂ કરેલ સંદેશને આગળ ધપાવે છે. તે, પેન્ટીકોસ્ટના દિવસે પવિત્ર આત્માનું આગમન થયું ત્યારથી લઈને ખ્રિસ્તી વિશ્વાસના પ્રસારનો હેવાલ આપે છે.
મુદ્રાલેખ
સુવાર્તાનો પ્રસાર
રૂપરેખા
1. પવિત્ર આત્માનું વચન — 1:1-26
2. પેન્ટીકોસ્ટ: પવિત્ર આત્માનું પ્રગટીકરણ — 2:1-4
3. પિતરના સેવાકાર્ય દ્વારા મંડળીનો જન્મ — 2:5-8:3
4. મંડળીનો ફેલાવો યહૂદિયા અને સમરૂનમાં — 8:4-12:25
5. ખ્રિસ્ત વિશ્વાસનો દુનિયાના દૂરના ભાગોમાં પ્રસાર — 13:1-28:31
1
ઈસુની આજ્ઞા
પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી જે આજ્ઞા આપી, અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેઓ જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે; ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા.
તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો; કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં લઈ લેવાયા
હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો? ઈસુએ તેઓને જણાવ્યું કે, જે યુગો તથા સમયો પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું કામ તમારું નથી. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.
એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં. 10 તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા. 11 તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.
યહૂદાનો અનુગામી
12 ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરુશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા. 13 તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા. એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝેલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા. 14 તેઓ સર્વ સ્ત્રીઓ સહિત, ઈસુની મા મરિયમ તથા તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.
15 તે દિવસોમાં પિતરે, આશરે એકસો વીસ વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે, 16 ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી.
17 કેમ કે તે આપણામાંનો એક ગણાયો હતો, અને આ સેવાકાર્યમાં તેને ભાગ મળ્યો હતો. 18 હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં. 19 યરુશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.
20 કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.”
21 માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી ઈસુએ આપણામાં આવ જા કરી. 22 તે સઘળા સમયોમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે ઈસુના મરણોત્થાનના સાક્ષી થવું જોઈએ. 23 ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.
24 તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ, 25 જે સેવાકાર્ય તથા પ્રેરિતપદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો. 26 પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.