ઉત્પત્તિ
લેખક
યહૂદી પરંપરા અને બાઇબલના બીજા લેખકો મૂસાને સમગ્ર પંચગ્રંથ એટલે કે જૂના કરારના પ્રથમ પાંચ પુસ્તકોનો લેખક કહે છે કે જે પ્રબોધક અને ઇઝરાયલને છોડાવનાર હતો. મિસરના દરબારમાંનું તેણે મેળવેલું શિક્ષણ (પ્રેરિતોનાં કૃત્યો 7:22) અને યહોવાહ (ઈશ્વરનું હિબ્રૂ ભાષનું નામ) સાથેનો તેનો ઘનિષ્ઠ સંબંધ અને વ્યવહાર આ વિધાનને ટેકો આપે છે. ઈસુએ પોતે મૂસાને લેખક તરીકે પુષ્ટિ આપી હતી (યોહાન 5:45-47), અને તે જ રીતે તેમના સમયના શાસ્ત્રીઓ તથા ફરોશીઓએ પણ તેને પુષ્ટિ આપી હતી.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.
સંભવિત છે કે જે વર્ષ દરમ્યાન ઇઝરાયલીઓએ સિનાઈ પાસે અરણ્યમાં છાવણી કરી ત્યારે કદાચ મૂસાએ આ પુસ્તક લખ્યું હતું.
વાંચકવર્ગ
શ્રોતાગણ શરૂઆતના ઇઝરાયલીઓ એટલે કે તેમની મિસરની ગુલામીમાંથી છુટકારો પામ્યા બાદના અને વચનના દેશ કનાનમાં પ્રવેશ્યા તે પહેલાંના લોકો હોવા જોઈએ.
હેતુ
મૂસાએ તેમના રાષ્ટ્રનો “કૌટુંબિક ઇતિહાસ” સમજાવવા આ પુસ્તક લખ્યું હતું. ઉત્પત્તિનું પુસ્તક લખવામાં મૂસાનો હેતુ કેવી રીતે મિસરની ગુલામીમાં રાષ્ટ્રની સ્થાપના થઈ (1:8) અને જે દેશમાં તેઓ પ્રવેશવાના હતા તે કેમ “વચનનો દેશ” હતો તે સમજાવવાનો હતો (17:8). તેનો હેતુ ઇઝરાયલ સાથે જે બધું બન્યું તેમાં ઈશ્વરનું સાર્વભૌમત્વ અને મિસરમાંની તેમની ગુલામી એક અકસ્માત નહોતો પણ ઈશ્વરની વિશાળ યોજનાનો એક ભાગ હતો (15:13-16, 50:20) અને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર એ જ હતા કે જેમણે જગતનું સર્જન કર્યું હતું તે દર્શાવવાનો હતો (3:15-16). ઇઝરાયલના ઈશ્વર ઘણા દેવોમાંનાં માત્ર એક દેવ નહોતા પણ આકાશો તથા પૃથ્વીના સર્વોચ્ચ ઉત્પન્નકર્તા હતા.
મુદ્રાલેખ
શરૂઆતો
રૂપરેખા
1. સૃષ્ટિસર્જન — 1:1-2:25
2. મનુષ્યનું પાપ — 3:1-24
3. આદમની પેઢી — 4:1-6:8
4. નૂહની પેઢી — 6:9-11:32
5. ઇબ્રાહિમનો ઇતિહાસ — 12:1-25:18
6. ઇસહાક અને તેના પુત્રોનો ઇતિહાસ — 25:19-36:43
7. યૂસફની પેઢી — 37:1-50:26
1
બ્રહ્માંડની રચના
પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા* 1:2 સામર્થ્ય અથવા ઈશ્વર તરફથી પવન પાણી પર ફરતો હતો.
ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું. ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ 1:5 પ્રથમ દિવસ યહૂદી લોકો સાંજથી બીજા દિવસ સાંજ સુધી એક દિવસ માનતા હતા..
ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.” ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું. ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું. 10 ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.
11 ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું. 12 ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 13 સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
14 ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ. 15 પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
16 ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા. 17 ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને, 18 દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 19 સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
20 ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.” 21 ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
22 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.” 23 સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.
24 ઈશ્વરે કહ્યું કે, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયું. 25 ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, ગ્રામ્યપશુઓ, અને પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
26 ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.” 27 ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
28 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” 29 ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
30 “પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું. 31 ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.

*1:2 1:2 સામર્થ્ય અથવા ઈશ્વર તરફથી પવન

1:5 1:5 પ્રથમ દિવસ યહૂદી લોકો સાંજથી બીજા દિવસ સાંજ સુધી એક દિવસ માનતા હતા.