હોશિયા
લેખક
હોશિયાના પુસ્તકનાં મોટા ભાગના સંદેશાઓ હોશિયા દ્વારા અપાયાં હતા. તેણે પોતે તે લખ્યા હતા કે કેમ તેની આપણને ખબર નથી. બહુ સંભવિત છે કે તેના સંદેશાઓને તેના અનુયાયીઓ દ્વારા સંકલિત કરવામાં આવ્યા હતા કે જેઓને ખાતરી થઈ હતી કે હોશિયા ઈશ્વર તરફથી બોલ્યો હતો. પ્રબોધકના નામનો અર્થ “ઉદ્ધાર” થાય છે. બીજા કોઈ પણ પ્રબોધક કરતાં હોશિયાએ પોતાના સંદેશને પોતાના વ્યક્તિગત જીવન સાથે નિકટતાથી જોડ્યો હતો. એક સ્ત્રી કે જે આખરે તેનો વિશ્વાસઘાત કરશે તેની તેને ખબર હતી તો પણ તેને પરણવા દ્વારા અને પોતાના બાળકોને ઇઝરાયલ પર ન્યાયશાસનના સંદેશા વ્યક્ત કરતાં નામો આપવા દ્વારા, હોશિયાના પ્રબોધના વચનો તેના કૌટુંબિક જીવનમાંથી વ્યક્ત થયા હતા.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 750 થી 710 વચ્ચેનો છે.
હોશિયાના સંદેશાઓને સંકલિત તથા સંપાદિત કરવામાં આવ્યા હતા અને તેની પ્રતો બનાવવામાં આવી હતી. આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થઈ હતી એ સ્પષ્ટ નથી, પણ સંભવિત છે કે તે યરુશાલેમના વિનાશ અગાઉ પૂર્ણ થઈ હતી.
વાંચકવર્ગ
હોશિયાના મૌખિક સંદેશનો મૂળભૂત વાંચકવર્ગ ઉત્તરનું ઇઝરાયલનું રાજ્ય રહ્યું હશે. તેઓનો નાશ થયો પછી, હોશિયાના વચનોને ન્યાયશાસનની પ્રબોધકારક ચેતવણીઓ, પશ્ચાતાપનું તેડું તથા પુનઃસ્થાપનાના વચન તરીકે સંઘરવામાં આવ્યા હશે.
હેતુ
હોશિયાએ આ પુસ્તક ઇઝરાયલીઓને તથા આપણને એ યાદ કરાવવા લખ્યું છે કે ઈશ્વર વિશ્વાસુપણું ચાહે છે. યહોવાહ એક જ સાચા ઈશ્વર છે અને તેઓ અવિભાજિત વફાદારીની માંગણી કરે છે. પાપ ન્યાયશાસન લાવે છે. હોશિયાએ પીડાકારક પરિણામો, આક્રમણ તથા ગુલામી વિષે ચેતવણી આપી. ઈશ્વર મનુષ્યો જેવા નથી કે જે વિશ્વાસુપણાનું વચન આપે અને પછી તેને તોડે. ઇઝરાયલે વિશ્વાસઘાત કર્યો તે છતાં, ઈશ્વરે તેઓની પુનઃસ્થાપન માટે માર્ગ પૂરો પાડીને તેઓને પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું. હોશિયા અને ગોમરના લગ્નના પ્રતિકાત્મક પ્રસ્તુતિકરણ દ્વારા, ઈશ્વરનો વ્યભિચારી ઇઝરાયલ પ્રત્યેનો પ્રેમ પાપ, ન્યાયશાસન તથા માફ કરનાર પ્રેમ જેવા મુદ્રાલેખોથી એક રસપ્રદ રૂપકમાં પ્રદર્શિત થયો છે.
મુદ્રાલેખ
અવિશ્વાસુપણું
રૂપરેખા
1. હોશિયાની અવિશ્વાસુ પત્ની — 1:1-11
2. ઈશ્વરનો ઇઝરાયલનો ન્યાય અને શિક્ષા — 2:1-23
3. ઈશ્વર પોતાના લોકોને છોડાવે છે — 3:1-5
4. ઇઝરાયલનું અવિશ્વાસુપણું અને શિક્ષા — 4:1-10:15
5. ઈશ્વરનો પ્રેમ અને ઇઝરાયલની પુનઃસ્થાપના — 11:1-14:9
1
યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે.
હોશિયાનું લગ્નજીવન અને તેનો અર્થ
જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું,
“જા, ગણિકા સાથે લગ્ન કર.
તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે.
કેમ કે મને તજીને
દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે.”
તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું,
“તેનું નામ યિઝ્રએલ* 1:4 યિઝ્રએલ શહેરમાં ઇઝરાયલના રાજા યેહૂએ તેના બધા રાજ પરિવારના લોકોની હત્યા કરી હતી. અને તે નવા શાસનનો પ્રથમ રાજા બન્યા. જુઓ 2 રાજા 9-10. રાખ.
કેમ કે થોડા જ સમયમાં
યિઝ્રએલના લોહીના બદલા માટે
હું યેહૂના કુટુંબનો નાશ કરીશ,
હું ઇઝરાયલના રાજ્યનો
અંત લાવીશ.
તે દિવસે એવું થશે કે
હું ઇઝરાયલનું ધનુષ્ય
યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”
ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું,
તેનું નામ લો-રૂહામા પાડ,
કેમ કે હવે પછી હું કદી
ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ
તેઓને કદી માફ કરીશ નહિ.
પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ,
યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ.
ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી
હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. ત્યારે યહોવાહે કહ્યું,
“તેનું નામ લો-આમ્મી પાડ,
કેમ કે તમે મારા લોકો નથી,
હું તમારો ઈશ્વર નથી.”
ઇઝરાયલનો ઉદ્ધાર થશે
10 તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા
સમુદ્રની રેતી જેટલી થશે,
જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે.
તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,”
તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”
11 યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો
એકત્ર થશે 1:11 તેઓને રોપશે.
તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને,
દેશમાંથી ચાલી નીકળશે,
કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.

*1:4 1:4 યિઝ્રએલ શહેરમાં ઇઝરાયલના રાજા યેહૂએ તેના બધા રાજ પરિવારના લોકોની હત્યા કરી હતી. અને તે નવા શાસનનો પ્રથમ રાજા બન્યા. જુઓ 2 રાજા 9-10.

1:11 1:11 તેઓને રોપશે