યૂના
લેખક
યૂના 1:1 માં સ્પષ્ટ રીતે પ્રબોધક યૂનાને પુસ્તકના લેખક તરીકે ઓળખાવે છે. યૂના નાસરેથ નજીકના ગાથહેફેર નગરનો વતની હતો (2 રાજા 14:25) અને તે વિસ્તાર બાદમાં ગાલીલ તરીકે ઓળખવા લાગ્યો હતો. આ બાબત યૂનાને ઉત્તરના ઇઝરાયલના રાજ્યમાંથી થયેલા બહુ ઓછા પ્રબોધકોમાંનો એક બનાવે છે. યૂનાનું પુસ્તક ઈશ્વરની ધીરજ અને પ્રેમાળ કૃપા તથા જેઓ ઈશ્વરનું આજ્ઞાપાલન નથી કરતા તેઓને બીજી તક આપવાની તેમની તત્પરતા પર પ્રકાશ પાડે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 793 થી 450 વચ્ચેનો છે.
વાર્તાની શરૂઆત ઇઝરાયલમાં થાય છે, તે ભૂમધ્ય સમુદ્રના જોપ્પા બંદરે પહોંચે છે અને તેનું સમાપન આશ્શૂર સામ્રાજ્યની તીગ્રિસ નદીને કિનારે સ્થિત રાજધાની નિનવેમાં થાય છે.
વાંચકવર્ગ
યૂનાના પુસ્તકના શ્રોતાઓ ઇઝરાયલના લોકો અને ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો હતા.
હેતુ
અનાજ્ઞાંકિતપણું અને જાગૃતિ આ પુસ્તકનાં ચાવીરૂપ મુદ્રાલેખો છે. યૂનોનો માછલીના પેટમાં રહેવાનો અનુભવ જ્યારે તે પશ્ચાતાપ કરે છે ત્યારે અજોડ છૂટકારો પ્રાપ્ત કરવાની અજોડ તક પૂરી પાડે છે. તેનું શરૂઆતનું અનાજ્ઞાંકિતપણું ફક્ત તેની વ્યક્તિગત જાગૃતિ જ નહીં પણ નિનવેના લોકોની જાગૃતિમાં પણ દોરી જાય છે. ઈશ્વરનો સંદેશ આપણે જેઓને પસંદ કરીએ છીએ અથવા તો જેઓ આપણા જેવા છે ફક્ત તેઓ માટે જ નહીં પણ આખી દુનિયા માટે છે. ઈશ્વર પ્રામાણિક પશ્ચાતાપ ઇચ્છે છે. ઈશ્વર, બીજાઓને પ્રભાવિત કરવા માટે કરાયેલા સારાં કાર્યો વિષે નહીં પણ આપણાં હૃદયો અને સાચી લાગણીઓ વિષે કાળજી કરે છે.
મુદ્રાલેખ
બધા લોકો માટેની ઈશ્વરની કૃપા
રૂપરેખા
1. યૂનાનું અનાજ્ઞાંકિતપણું — 1:1-14
2. મોટી માછલીનું યૂનાને ગળી જવું — 1:15, 16
3. યૂનાનો પશ્ચાતાપ — 1:17-2:10
4. યૂના નિનવેમાં પ્રચાર કરે છે — 3:1-10
5. યૂનાનો ઈશ્વરની કરુણા પ્રત્યેનો ગુસ્સો — 4:1-11
1
ઈશ્વર પ્રત્યે યૂનાનું અનાજ્ઞાંકિતપણું
હવે ઈશ્વરનું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું કે, “ઊઠ મોટા નગર નિનવે જા, અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે.” યૂના ઊઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું. અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો.
પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે. તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો.
વહાણના ટંડેલે તેની પાસે આવીને કહ્યું, “તું શું કરે છે? ઊંઘે છે? ઊઠ! તારા ઈશ્વરને વિનંતી કર, કદાચ તારો ઈશ્વર આપણને ધ્યાનમાં લે, અને આપણે નાશ પામીએ નહિ.”
તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, “આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા આ વિધ્ન માટે જવાબદાર કોણ છે?” તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ત્યારે ચિઠ્ઠી, યૂનાના નામની નીકળી.
એટલે તેઓએ યૂનાને કહ્યું, “કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?” યૂનાએ તેઓને કહ્યું, “હું એક હિબ્રૂ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું.” 10 ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યૂનાને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે.
11 પછી તેઓએ યૂનાને પૂછ્યું, “આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું. 12 યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે.”
13 કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો.
14 એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, “હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે.” 15 એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો. 16 ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં અને માનતાઓ માની.
17 ઈશ્વરે એક મોટી માછલી યૂનાને ગળી જવા સારુ તૈયાર રાખી હતી. માછલી તેને ગળી ગઈ. યૂના ત્રણ દિવસ તથા ત્રણ રાત્રી પર્યંત તેના પેટમાં રહ્યો.