રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર
લેખક
રોમન 1:1 સૂચિત કરે છે કે રોમનોને પત્રનો લેખક પાઉલ હતો. 16 વર્ષનો નીરો રોમના સમ્રાટ તરીકે રાજગાદી પર બેઠો તેના ફક્ત ત્રણ જ વર્ષ બાદ તેણે આ પત્ર ગ્રીક શહેર કરિંથમાંથી લખ્યો હતો. આ પ્રસિદ્ધ ગ્રીક શહેર જાતીય ભ્રષ્ટતા અને મૂર્તિપૂજાનું મોટું કેન્દ્ર હતું. તેથી જ્યારે પાઉલે રોમનોને પત્રમાં મનુષ્યજાતના પાપી સ્વભાવ વિષે કે જીવનોને ચમત્કારિક અને સંપૂર્ણપણે બદલવાના ઈશ્વરની કૃપાના સામર્થ્ય વિષે લખ્યું ત્યારે તે શું લખતો હતો તે વિષે પૂરો સભાન હતો. પાઉલ, બધા જ મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શતાં ખ્રિસ્તી સુવાર્તાનાં મૂળભૂત મુદ્રાલેખોની રૂપરેખા આપે છે: ઈશ્વરની પવિત્રતા, માણસજાતનું પાપ અને ઈસુ ખ્રિસ્ત દ્વારા આપતી ઉદ્ધારની કૃપા.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 57 ની આસપાસનો છે.
અને તે કરિંથથી લખાયું હોય શકે છે. લખાણનું ચાવીરૂપ સ્થળ રોમ હોય શકે છે.
વાંચકવર્ગ
રોમન સામ્રાજ્યની રાજધાની રોમ શહેરમાંના બધા જ લોકો જેઓને ઈશ્વર પ્રેમ કરતાં હતા અને જેઓને ઈશ્વરના પવિત્ર લોકો થવા તેડવામાં આવ્યા હતા, એટલે કે રોમ શહેરમાંની મંડળીના સભાસદો (1:7).
હેતુ
રોમનોને પત્ર ખ્રિસ્તી સિદ્ધાંતોનું સૌથી સ્પષ્ટ અને પદ્ધતિસરનું પ્રસ્તુતિકરણ છે. પાઉલ મનુષ્યજાતના પાપી સ્વભાવ વિષે ચર્ચા કરતા શરૂઆત કરે છે. આપણા ઈશ્વર વિરુદ્ધના બળવાને કારણે બધા જ મનુષ્યો પર દંડાજ્ઞા ફરમાવામાં આવી છે. તો પણ, ઈશ્વર તેમની કૃપામાં તેમના પુત્ર ઈસુ પરના વિશ્વાસ દ્વારા આપણને ન્યાયીકરણ આપવાનો પ્રસ્તાવ મૂકે છે. જ્યારે આપણે ઈશ્વર દ્વારા ન્યાયી ઠરીએ છીએ ત્યારે, ખ્રિસ્તનું રક્ત આપણાં પાપો ઢાંકે છે તે કારણે આપણે છૂટકારો અથવા તો ઉદ્ધાર પામીએ છીએ. આ બધા પ્રશ્નો વિષેનું પાઉલનું શિક્ષણ, કેવી રીતે એક મનુષ્ય પોતાના પાપના સામર્થ્ય અને શિક્ષામાંથી બચી શકે તેનું તાર્કિક અને સંપૂર્ણ પ્રસ્તુતિકરણ આપે છે.
મુદ્રાલેખ
ઈશ્વરનું ન્યાયીપણું
રૂપરેખા
1. પાપ, દંડાજ્ઞા અને ન્યાયીપણાની આવશ્યકતા — 1:18-3:20
2. ન્યાયીપણાનું આરોપણ, ન્યાયીકરણ — 3:21-5:21
3. ન્યાયીપણાનું પ્રદાન, પવિત્રીકરણ — 6:1-8:39
4. ઇઝરાયલ માટે ઈશ્વરીય જોગવાઈ — 9:1-11:36
5. ન્યાયી પ્રથાનો અમલ — 12:1-15:13
6. ઉપસંહાર: વ્યક્તિગત સંદેશ — 15:14-16:27
1
અભિવાદન
પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું; તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.
પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે. સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ; અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
આભારસ્તુતિની પ્રાર્થના
પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું. કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું 10 અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.
11 કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું; 12 એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.
13 હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે. 14 ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું. 15 તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.
સુવાર્તાનું સામર્થ્ય
16 ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે. 17 કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’ ”
મનાવજાતનો દોષ
18 કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. 19 કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.
20 તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. 21 કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.
22 પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા; 23 તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.
24 તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે. 25 કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી.
26 તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો. 27 અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
28 અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
29 તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા, 30 નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત, 31 બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
32 ‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.