11
પાઉલ અને જુઠા પ્રેરિતો
હું આશા રાખું છું કે થોડી મૂર્ખતા દર્શાવું તો પણ તમે મારી સાથે ધીરજ રાખશો. પરંતુ તમે મારી સાથે ક્યારનીચે ધીરજ રાખી છે. મને તમારી ઈર્ષા આવે છે અને આ તે ઈર્ષા છે જે દેવ તરફથી આવી છે. મેં તમને ખ્રિસ્તને સમર્પિત કરવાનું વચન આપ્યું હતું. તમારો પતિ માત્ર ખ્રિસ્ત જ હોવો જોઈએ. હું તમને ખ્રિસ્તને સમર્પિત કરવા માંગુ છું, તેની પવિત્ર કુમારિકા તરીકે, પરંતુ મને ભય છે કે તમારું મન તમને તમારા ખ્રિસ્ત પ્રત્યેના સાચા અને શુદ્ધ અનુસરણથી દૂર ઘસડી જશે જે રીતે સર્પે હવાની સાથે દુષ્ટ રીતે કપટ કર્યુ હતું અને છેતરી હતી. તમે જે કોઈ તમારી પાસે આવે અમે આપ્યો છે તેના કરતા જુદો ઉપદેશ તમને ખ્રિસ્ત વિષે આપે તેની સાથે તમે ઘણા ધીરજવાન છો. એ આત્મા અને સુવાર્તાને સ્વીકારવા તમે ઘણા તત્પર છો પણ એ આત્મા અને સુવાર્તા અમે તમને આપ્યા છે તેનાથી ઘણા જુદા છે. તેથી તમારે મારી સાથે ધીરજ રાખવી જોઈએ.
હું નથી માનતો કે તે “મહાન પ્રેરિતો” મારાથી વધુ સારા છે. તે સાચું છે કે હું એક કેળવાયેલો વક્તા નથી. પરંતુ મારી પાસે જ્ઞાન છે. અમે તમને દરેક રીતે આ સ્પષ્ટ બતાવ્યું છે.
કોઈ પણ પ્રકારના વળતર વગર મેં તમને દેવની સુવાર્તા પ્રગટ કરી. તમને મહત્વ આપવા હું નમ્ર બન્યો છું. તમે માનો છો કે તે ખોટું હતું? મેં બીજી મંડળીઓ પાસેથી વળતર સ્વીકાર્યુ છે. મે તેમના નાણાં લીધા કે જેથી હું તમારી સેવા કરી શકું. જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારે જે કોઈ વસ્તુ જોઈતી હતી, તો મેં તેનો તમારા પર કોઈ બોજો નાખ્યો ન હતો. મકદોનિયાથી આવેલા બંધુઓએ મારે જે જોઈતું હતું, તે બધુંજ મને આપ્યું. તમારા પર બોજારૂપ મેં મારી જાતને બનવા દીઘી નથી. અને હું કદી તમને બોજારૂપ બનીશ નહિ. 10 અખાયાની કોઈ પણ વ્યક્તિ આ વિષે બડાઈ મારતા મને રોકી શકશે નહિ. મારામાંના ખ્રિસ્તના સત્ય વડે આમ કહું છું. 11 અને હું શા માટે તમને બોજારુંપ ન બન્યો? તમને પ્રેમ નથી કરતો એટલા માટે એમ તમે માનો છો? ના. દેવ જાણે છે કે હું તમને પ્રેમ કરું છું.
12 અને અત્યારે હું જે કરું છું તે કરવાનું હું ચાલું રાખીશ કારણ કે પેલા લોકોને બડાઈ મારવાનું કારણ મારે નથી આપવું. તેઓને તેમ કહેવું ગમશે કે જે કાર્ય માટે તેઓ બડાઈ મારે છે તે કાર્ય અમારા કાર્ય જેવું જ છે. 13 આ લોકો સાચા પ્રેરિતો નથી. તેઓ અસત્ય બોલનાર કાર્યકરો છે. અને તેઓ તેમના પોતામાં પરિવર્તન લાવે છે, કે જેથી લોકો માને કે તેઓ ખ્રિસ્તના પ્રેરિતો છે. 14 આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂત* છે. 15 જ્યારે શેતાનના સેવકો સાચા સેવકો દેખાવાનો પ્રયત્ન કરે છે તેથી અમને આશ્ચર્ય થતું નથી, પરંતુ અંતમાં તેઓના કરેલા કામ પ્રમાણે તેઓને શિક્ષા મળે છે.
પાઉલ તેની વ્યથા વિષે વાત કરે છે
16 હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું. 17 હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું. 18 દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ. 19 તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો. 20 હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો! 21 મારે માટે આમ કહેવું શરમજનક છે, પરંતુ આવી વસ્તુ તમારી સાથે કરવા માટે અમે ઘણા જ “નિર્બળ” છીએ.
પરંતુ જો કોઈ વ્યક્તિ બડાઈ મારવામાં બહાદુર હોઈ શકે, તો હું પણ બહાદુર બનીશ અને બડાશ મારીશ. (હું મૂર્ખની જેમ બોલું છું.) 22 શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું. 23 શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.
24 પાંચવાર યહૂદિ લોકોએ 39 કોરડા મારવાની સજા મને કરી છે. 25 ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો. 26 મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.
27 મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું. 28 અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું. 29 જ્યારે અન્ય વ્યક્તિ શીથિલ બને છે ત્યારે હું પણ શીથિલ બનું છું. જ્યારે અન્ય વ્યક્તિ પાપ તરફ દોરાય છે ત્યારે અંદરથી હું બળુ છું.
30 જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું. 31 દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે. 32 જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા. 33 પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.
* 11:14 પ્રકાશનો દૂત દેવનો સંદેશવાહક. શેતાન લોકોને મૂર્ખ બનાવે છે તેથી તેઓ વિચારે કે તે દેવ તરફથી છે.