22
યહૂદિ આગેવાનોની ઈસુને મારી નાખવાની ઈચ્છા
(માથ્થી 26:1-5, 14-16; માર્ક 14:1-2, 10-11; યોહાન 11:45-53)
હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે તેનો લગભગ સમય હતો. મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરતા હતા. પણ તેઓ લોકોથી ડરતા હતા.
યહૂદાની ઈસુ વિરૂદ્ધ યોજના
(માથ્થી 26:14-16; માર્ક 14:10-11)
ઈસુના બાર પ્રેરિતોમાં એકનું નામ યહૂદા ઈશ્કરિયોત હતું. શેતાન યહૂદામાં પેઠો. અને તેને ખરાબ કૃત્યો કરવા પ્રેર્યો. યહૂદા મુખ્ય યાજકો અને કેટલાએક સરદારો જે મંદિરના રક્ષકો હતા તેઓને મળ્યો અને તેઓની સાથે વાતો કરી. યહૂદિએ તેઓને ઈસુને કેવી રીતે સોંપવો તે સંબંધી મસલત કરી. યાજકો આ બાબતથી વધારે ખુશ હતા. જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું. યહૂદાએ સંમતી આપી. પછી યહૂદા તેઓને ઈસુ સોંપવાના ઉત્તમ યમયની રાહ જોવા લાગ્યો. અને લોકો તેની આજુબાજુ હાજર ના હોય તેવા પ્રસંગે તેને તેઓના હાથમાં સોંપવાની તક જોવા લાગ્યો.
પાસ્ખા ભોજનની તૈયારી
(માથ્થી 26:17-25; માર્ક 14:12-21; યોહાન 13:21-30)
બેખમીર રોટલીનો દિવસ આવ્યો. આ તે દિવસ હતો જ્યારે યહૂદિઓ પાસ્ખાના યજ્ઞમાં ઘેટાઓનું બલિદાન આપતા હતા. ઈસુએ પિતર અને યોહાનને કહ્યું કે, “જાઓ, આપણે ખાવા માટે પાસ્ખા ભોજન તૈયાર કરો.”
પિતર અને યોહાને ઈસુને કહ્યું કે, “તું આ ભોજનની તૈયારી અમારી પાસે ક્યાં કરાવવા ઈચ્છે છે?”
ઈસુએ તેઓને કહ્યું, 10 “સાંભળો! તમે શહેરમાં અંદર જશો, ત્યાર બાદ તમે એક માણસને પાણીની ગાગર લઈ જતા જોશો. તેની પાછળ જજો. તે એક મકાનમાં જશે. તમે તેની સાથે જાઓ. 11 તે ઘરના માલિકને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તું કૃપા કરીને અમને તે ખંડ બતાવ જ્યાં હું અને મારા શિષ્યો પાસ્ખા ભોજન લઈશું.’ 12 પછી તે માણસ જે મકાનનો માલિક છે તે તેમને મેડી પર એક મોટો ખંડ બતાવશે. આ ખંડ તમારા માટે તૈયાર હશે ત્યાં પાસ્ખા ભોજન તૈયાર કરો.”
13 તેથી પિતર અને યોહાન ગયા. ઈસુએ કહ્યા પ્રમાણે જ બધું બન્યું. તેથી તેઓએ પાસ્ખા ભોજન તૈયાર કર્યુ.
પ્રભુનું ભોજન
(માથ્થી 26:26-30; માર્ક 14:22-26; 1 કરિંથીઓને 11:23-25)
14 પાસ્ખા ભોજન કરવાનો તેઓનો સમય આવ્યો. ઈસુ અને તેના પ્રેરિતો મેજ પાસે બેઠા હતા. 15 ઈસુએ તેઓને કહ્યું કે, “હું મૃત્યુ પામું તે પહેલા મારી તમારી સાથે પાસ્ખા ખાવાની ઘણી ઈચ્છા હતી. 16 હું તમને કહું છું દેવના રાજ્યમાં પાસ્ખા ભોજનનો સાચો અર્થ અપાય નહિ ત્યાં સુધી હું ફરીથી કદાપિ પાસ્ખા ભોજન ખાવાનો નથી.”
17 પછી ઈસુએ એક પ્યાલો દ્ધાક્ષારસ લીધો. તેણે તે માટે દેવની સ્તુતિ કરી. પછી તેણે કહ્યું, “આ પ્યાલો લો અને અહી દરેક જણને તે આપો. 18 હું તમને કહું છું દેવનું રાજ્ય આવે ત્યાં સુધી હું ફરીથી દ્ધાક્ષારસ પીનાર નથી.”
19 પછી ઈસુએ કેટલીએક રોટલી લીધી. તેણે રોટલી માટે દેવની સ્તુતિ કરી અને તેના ટૂકડા કર્યાં. તેણે તે ટૂકડા શિષ્યોને આપ્યા. પછી ઈસુએ કહ્યું કે, “આ રોટલી મારું શરીર છે કે જે હું તમારા માટે આપું છું. મારી યાદગીરીમાં આ કરો.” 20 આજ પ્રમાણે સાંજના ભોજન પછી ઈસુએ એક દ્ધાક્ષારસનો પ્યાલો લીધો અને કહ્યું કે, “આ દ્ધાક્ષારસ દેવનો તેના લોકો માટેનો નવો કરાર છે. આ નવા કરાર મારા લોહીથી શરું થાય છે. જે હું તમારા માટે આપું છું.”
ઈસુની વિરૂદ્ધ કોણ?
21 ઈસુએ કહ્યું કે, “તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે. તેનો હાથ મેજ પર મારા હાથની બાજુમાં છે. 22 માણસનો દીકરો દેવની યોજના પ્રમાણે કરશે. જે માણસના દીકરાને મારી નાંખવા માટે આપશે, તે બાબત તે માણસને માટે ખરાબ છે. તેને અફસોસ છે!”
23 પછી શિષ્યોએ એકબીજાને પૂછયું કે, “આપણામાંનો કોણ ઈસુ માટે આવું કરનાર હશે?”
સેવક જેવા બનો
24 પાછળથી પ્રેરિતો વિષે અંદરો અંદર દલીલો કરવા લાગ્યા કે તેઓના બધામાં મુખ્ય કોણ. 25 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “દુનિયાના રાજાઓ તેમની પ્રજા પર શાસન કરે છે. જે માણસોનો બીજા લોકો પર અધિકાર હોય છે તેઓ તે લોકોના મહાન પરાપકારી હોવાનું ‘લોકો પાસે કહેવડાવે છે.’ 26 પણ તમારે તેમના જેવું થવું ના જોઈએ. સૌથી મુખ્ય વ્યક્તિએ સૌથી નાની વ્યક્તિ જેવા થવું જોઈએ, આગેવાનોએ સેવકો જેવા થવું જોઈએ. 27 કોણ વધારે અગત્યનું છે, જે વ્યક્તિ મેજ પાસે બેસે છે તે કે જે વ્યક્તિ તેની સેવા કરે છે તે? ખરેખર જે વ્યક્તિ મેજ પાસે બેસે છે તે વધારે અગત્યની છે, પણ હું તો તમારી વચ્ચે એક સેવક જેવો છું!
28 “તમે લોકો મારા પરીક્ષણ સમયમાં મારી સોથે રહ્યા છો. 29 મારા બાપે મને એક રાજ્ય આપ્યું છે. હું પણ તમને મારી સાથે શાસનનો અધિકાર આપું છું. 30 મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો અને પીશો. તમે ઈસ્ત્રાએલના બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસનો પર બિરાજશો.
તમારો વિશ્વાસ ગુમાવો નહિ
(માથ્થી 26:31-35; માર્ક 14:27-31; યોહાન 13:36-38)
31 “ઓ સિમોન, સિમોન જો શેતાને એક ખેડૂત જેમ ઘઉં ચાળે છે તેમ તને કબજે લેવા માગ્યો. 32 મેં પ્રાર્થના કરી છે કે તું તારો વિશ્વાસ ગુમાવે નહિ! જ્યારે તમે મારી પાસે પાછા આવો ત્યારેં તમારા ભાઈઓને વધારે મજબૂત થવામાં મદદ કરજો.”
33 પણ પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, હું તારી સાથે જેલમાં આવવા તૈયાર છું, હું તારી સાથે મરવા માટે પણ તૈયાર છું!”
34 પણ ઈસુએ કહ્યું કે, “પિતર, હું તને કહું છું કે આજે મરઘો બોલે તે પહેલા તું મને ઓળખતો નથી, એમ (કહીને) તું ત્રણ વાર મારો નકાર કરશે!”
મુશ્કેલીઓ માટે તૈયાર થાઓ
35 પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?”
પ્રેરિતોએ કહ્યું, “ના.”
36 તેઓને કહ્યું કે, “પણ હવે જો તમારી પાસે થેલી અને પૈસા હોય તો તમારી પાસે રાખો. જો તમારી પાસે તલવાર ના હોય તો તમારા કપડાં વેચીને એક ખરીદી રાખો. 37 પવિત્ર લેખ કહે છે કે:
 
‘લોકોએ કહ્યું કે તે એક ગુનેગાર હતો.’ યશાયા 53:12
 
એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, અને તે હવે બની રહ્યું છે.”
38 તે શિષ્યોએ કહ્યું કે, “પ્રભુ, જો, અહીં બે તલવાર છે!”
ઈસુએ તેઓને કહ્યું કે, “બે પૂરતી હશે.”
ઈસુનું પ્રેરિતોને પ્રાર્થના કરવા કહેવું
(માથ્થી 26:36-46; માર્ક 14:32-42)
39-40 ઈસુએ શહેર છોડ્યું અને જૈતૂન પહાડ પરની જગ્યાએ પહોંચ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. (ઈસુ ત્યાં વારંવાર જતો.) ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.”
41 પછી ઈસુ તેઓનાથી લગભગ 50 ડગલા દૂર ગયો અને ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી. 42 “હે, બાપ જો તારી ઈચ્છા હોય તો, આ યાતનાનો પ્યાલો મારાથી દૂર કર: તોપણ તારી ઈચ્છા પ્રમાણે નહિં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” 43 પછી એક દૂત દેખાયો, તે દૂત આકાશમાંથી ઈસુની મદદ માટે આવ્યો હતો. 44 ઈસુ ખૂબ પીડાતો હતો. પ્રાર્થનામાં તેણે ખૂબ આગ્રહ કર્યો, તેના મોઢા પરથી પડતો પરસેવો લોહીનાં ટીપાં જેવો ધરતી પર પડતો હતો. 45 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી તેના શિષ્યો પાસે ગયો ત્યારે તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા. (તેઓ તેમના દુ:ખોથી વધારે થાક્યા હતા) 46 ઈસુએ તેઓને કહ્યું કે, “તમે શા માટે ઊંઘો છો? ઊભા થાઓ અને પરીક્ષણો સામે મજબૂત બનવા પ્રાર્થના કરો.”
ઈસુનું પકડાઈ જવું
(માથ્થી 26:47-56; માર્ક 14:43-50; યોહાન 18:3-11)
47 જ્યારે ઈસુ બોલતો હતો ત્યારે એક લોકોનું ટોળું આવ્યું. બાર પ્રેરિતોમાંનો એક સમૂહને દોરતો હતો. તે યહૂદા હતો. યહૂદા ઈસુની નજીક આવ્યો જેથી તે ઈસુને ચૂંબન કરી શકે.
48 પણ ઈસુએ તેને કહ્યું કે, “યહૂદા, શું તું ચુંબનનો ઉપયોગ કરીને માણસના દીકરાને દુશ્મનોને સોંપવા ઈચ્છે છે?” 49 ઈસુના શિષ્યો પણ ત્યાં ઊભા હતા. જે થતું હતું તે તેઓએ જોયું. શિષ્યોએ ઈસુને કહ્યું કે, “પ્રભુ, અમારે તલવારોનો ઉપયોગ કરવો જોઈએ?” 50 એટલામાં તો શિષ્યોમાંના એકે તેનો ઉપયોગ કર્યોં. તેણે મુખ્ય યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો.
51 ઈસુએ કહ્યું કે, “અહીં જ બંધ કર!” પછી ઈસુએ ચાકરના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો.
52 ઈસુને પકડવા જે સમૂહ આવ્યો હતો તેઓ મુખ્ય યાજકો, વડીલો અને યહૂદિ સરદારો હતા. ઈસુએ તેઓને કહ્યું કે, “તમે તલવારો અને લાકડીઓ સાથે અહીં બહાર શા માટે આવ્યા છો? શું તમે વિચારો છો કે હું એક ગુનેગાર છું? 53 હું દરરોજ મંદિરમાં તમારી સાથે હતો. ત્યાં મને પકડવાનો પ્રયત્ન તમે શા માટે ન કર્યો? પણ આ તમારો સમય છે, એવો સમય જ્યારે અંધકારનું સાર્મથ્ય હોય છે.”
ઈસુને ઓળખું છું તેવું કહેવાનો પિતરનો ભય
(માથ્થી 26:57-58, 69-75; માર્ક 14:53-54, 66-72; યોહાન 18:12-18, 25-27)
54 તેઓ ઈસુને પકડીને દૂર લઈ ગયા. તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પિતર તેની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવી શક્યો નહિ. 55 સૈનિકો ચોકની વચમાં અજ્ઞિ સળગાવીને સાથે બેઠા હતા. પિતર તેઓની સાથે બેઠો. 56 એક સેવિકાએ પિતરને ત્યાં બેઠેલો જોયો. અજ્ઞિના પ્રકાશને કારણે તે જોઈ શકી. તે છોકરીએ નજીકથી પિતરના ચેહરાને જોયો, પછી તેણે કહ્યું કે, “આ માણસ પણ તેની (ઈસુની) સાથે હતો!”
57 પણ પિતરે કહ્યું કે આ સાચું નથી. તેણે કહ્યું, “બાઇ, હું તેને જાણતો નથી.” 58 થોડા સમય પછી, બીજી એક વ્યક્તિએ પિતરને જોયો અને કહ્યું કે, “તું પણ તેમાંનો એક છે.”
પણ પિતરે કહ્યું, “ભાઈ, હું તેના શિષ્યોમાંનો એક નથી!”
59 લગભગ એક કલાક પછી બીજા એક માણસે કહ્યું કે, “તે સાચું છે! આ માણસ તેની સાથે હતો. તે ગાલીલનો છે!” તે માણસે કહ્યું કે આ બાબતની તેને ખાતરી હતી.
60 પણ પિતરે કહ્યું કે, “ભાઈ, તું શું વાત કરે છે, તે હું જાણતો નથી!”
જ્યારે તે બોલતો હતો કે તરત જ મરઘો બોલ્યો. 61 પછી પ્રભુ ફર્યો અને પિતરની આંખોમાં જોયું અને પ્રભુએ જે તેને કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું. “સવારે મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” 62 પછી પિતર બહાર ગયો અને ખૂબ રડ્યો.
ઈસુ તરફ લોકોનું હસવું
(માથ્થી 26:67-68; માર્ક 14:65)
63-64 કેટલાએક માણસો ઈસુની ચોકી કરતા હતા. તેઓ ઈસુની આ પ્રમાણે મશ્કરી કરતા હતા: તેઓએ તેની આંખે પાટા બંધ્યા હતા તેથી તે તેઓને જોઈ શકે નહિ. પછીથી તેઓએ તેને માર્યો અને કહ્યું કે, “જો તું પ્રબોધક હોય, તો અમને કહે તને કોણે માર્યો?” 65 તે માણસોએ ઈસુની નિંદા કરીને તેની વિરૂદ્ધ બીજું ઘણું કહ્યું.
યહૂદિ આગેવાનો સમક્ષ ઈસુ
(માથ્થી 26:59-66; માર્ક 14:55-64; યોહાન 18:19-24)
66 બીજા સવારે, લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ. તેઓએ ઈસુને તેઓના ઊંચામાં ઊચી ન્યાયસભામાં લઈ ગયા. 67 તેઓએ કહ્યું કે, “જો તું ખ્રિસ્ત હોય, તો અમને કહે!”
ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું કે હું ખ્રિસ્ત છું તો તમે મારું માનવાના નથી, 68 અને જો હું તમને પૂછીશ તો તમે ઉત્તર આપવાના નથી. 69 પણ હવે પછી માણસનો દીકરો દેવના રાજયાસનની જમણી બાજુએ બેસશે.”
70 તેઓ બધાએ કહ્યું કે, “તો શું તું દેવનો દીકરો છે?”
ઈસુએ તેઓને કહ્યું કે, “હા, તમે સાચા છો જ્યારે તમે જ કહો છો કે હું તે છું.”
71 તેઓએ કહ્યું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની શી જરુંર છે? આપણે આપણી જાતે તેને આ કહેતો સાંભળ્યો છે!”