7
ઈસુનું નોકરને સાજા કરવું
(માથ્થી 8:5-13; યોહાન 4:43-54)
ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.”
તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”
જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.”
10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.
ઈસુનું માણસને સજીવન કરવું
11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”
17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા.
યોહાનનો પ્રશ્ર
(માથ્થી 11:2-19)
18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”
20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”
21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”
24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:
 
‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’ માલાખી 3:1
 
28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”
29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)
31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:
 
‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
પણ તમે દિલગીર થયા નહિ.’
 
33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”
સિમોન ફરોશી
36 ફરોશીઓમાંના કોઈ એકે ઈસુને પોતાની સાથે જમવા માટે કહ્યું. ઈસુ ફરોશીના ઘરમાં ગયો અને મેજ પાસે બેઠો.
37 તે સમયે તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જાણ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમવા બેઠો છે. તેથી તે અત્તરની આરસપાનની એક ડબ્બી લાવી. 38 તે ઈસુના પગ પાસે ઊભી રહી, અને રડવા લાગી. પછી તેના આંસુઓથી તેના પગ ધોવાનું શરૂ કર્યું. તે પોતાના ચોટલાથી ઈસુના પગ લૂછવા લાગી. તેણે તેના પગને ઘણીવાર ચૂમ્યા અને પછી અત્તરથી ચોળ્યા.
39 ઈસુને પોતાને ઘેર આવવા જે ફરોશીએ કહ્યું હતું, તેણે આ જોયું. તે તેની જાતે વિચાર કરવા લાગ્યો. “જો આ માણસ પ્રબોધક હોત તો એ જાણતો હોત કે જે સ્ત્રીતેને સ્પર્શે છે તે પાપી છે!”
40 ઈસુએ ફરોશીને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.”
સિમોને કહ્યું, “ઉપદેશક તું શું કહેવા માગે છે?”
41 ઈસુએ કહ્યું, “બે માણસો હતા, બંને એક જ લેણદારના દેવાદાર હતા, એક માણસને લેણદારનું 500 ચાંદીના સિક્કાનું દેવું હતું. બીજાને લેણદારનું 50 ચાંદીના સિક્કાનું દેવું હતું. 42 માણસો પાસે પૈસા ન હતા, તેથી તેઓનું દેવું ચૂકવી શક્યા નહિ. પરંતુ લેણદારે તે માણસોને કહ્યું, ‘તેઓએ તેને કશું આપવાનું નથી. તે બે માણસોમાંથી કયો માણસ લેણદારને વધુ પ્રેમ કરશે?’ ”
43 સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જે માણસને તેનું સૌથી વધારે દેવું હતું તે.”
ઈસુએ સિમોનને કહ્યું, “તું સાચો છે.” 44 પછી ઈસુ તે સ્ત્રીતરફ વળ્યો અને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નહી. પણ તેણે મારા પગ તેના આંસુથી ધોયા અને તેના ચોટલાથી લૂંછયા છે. 45 તેં મને ચુંબન કર્યુ નથી, પણ હું જ્યારથી અંદર આવ્યો ત્યારથી તે જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે! 46 તેં મારા માથામાં તેલ ચોળ્યું નથી, પણ તેણે મારા પગ પર અત્તર ચોળ્યું છે. 47 તેથી હું તને કહું છું કે, તેના ગણા પાપો હોવા છતાં માફ થયા છે. આ સ્પષ્ટ છે, કારણ કે તેણે ઘણો પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે પ્રેમ પણ થોડોક દર્શાવે છે.”
48 પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.”
49 જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”
50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.”