15
છેલ્લા અનર્થ સાથે દૂત
પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)
મેં જોયું, જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું. બધા લોકો જેઓએ પ્રાણી પર, અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો. તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા. આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી. તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:
 
“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ,
તારાં કાર્યો મહાન તથા અદભૂત છે.
હે યુગોના રાજા
તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.
હે પ્રભુ બધા લોકો તારાથી બીશે.
બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે!
કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે.
બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે,
કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
 
આ પછી મેં આકાશમા એક મંદિર (દેવની હાજરીની પવિત્ર જગ્યા) જોયું, તે મંદિર ઉઘાડું હતું અને સાત વિપત્તિઓ સાથે સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ ચળકતાં શણનાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓએ તેઓની છાતીની આજુબાજુ સોનાના પટ્ટા પહેર્યા હતા. પછી ચાર જીવંત પ્રાણીઓમાંથી એક જીવંત પ્રાણીએ સાત દૂતોને સોનાનાં સાત પ્યાલા આપ્યાં. તે પ્યાલાઓ સદાસર્વકાળ જીવંત એવા દેવના કોપથી ભરેલાં હતાં. તે મંદિર દેવ મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી ભરાયેલું હતું. જ્યાં સુધી સાત દૂતોની સાત વિપત્તિઓ પૂરી ન થઈ ત્યાં સુધી મંદિરમાં કોઈ પ્રવેશ કરી શક્યું નહિ.