6
દેવનો પવિત્ર કોશ યરૂશાલેમમાં ખસેડાયો
દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા. પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા “બાલા” મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે. દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.
આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો. દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા. જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો. આથી યહોવા ઉઝઝાહ પર ગુસ્સે થયા કેમકે તેણે પવિત્રકોશને અડીને દેવનું અપમાંન કર્યુ હતું તેથી ઉઝઝાહને યહોવાએ માંરી નાખ્યો; અને તે કરારકોશની બાજુમાં મરી ગયો. યહોવાએ જે કર્યું તેને કારણે દાઉદ નારાજ થયો. તેણે તે સ્થળનું નામ “પેરેસ-ઉઝઝાહ” (ઉઝઝાહ પર આવેલો કોપ) પાડયું. આજે પણ તે સ્થળ એ જ નામથી ઓળખાય છે.
તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?” 10 આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો. 11 ત્રણ માંસ સુધી પવિત્રકોશ ઓબેદ-અદોમને ઘેર રહ્યો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને આશીર્વાદ આપ્યા.
12 જયારે દાઉદને આ સમાંચાર મળ્યા કે “દેવે ઓબેદ-અદોમને તેના કુટુંબને અને તેની માંલિકીની દરેક વસ્તુને આશીર્વાદ આપ્યાં ત્યારે તે આનંદ પામ્યો અને ખુશીથી કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગર લઈ આવ્યો.” 13 જ્યારે યહોવાના પવિત્રકોશને ઉપાડનારા માંણસો છ ડગલાં આગળ ચાલ્યા એટલે દાઉદે એક બળદ અને એક પુષ્ટ વાછરડાને ભોગ તરીકે અર્પણ કર્યો. 14 દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.
15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં. 16 પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.
17 પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.
18 પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો. 19 અને ત્યારબાદ તેણે બધા લોકોને પ્રસાદ આપ્યો; તેણે પ્રત્યેક ઇસ્રાએલી સ્ત્રી-પુરુષને એક-એક રોટલી, થોડું ખજૂર અને થોડું શેકેલું માંસ તથા સૂકી દ્રાક્ષાની બાટી વહેંચી આપ્યાં. આ બધું પૂરું થયા પછી બધા પોતપોતાને ઘેર ગયા.
મીખાલે દાઉદને ઠપકો આપ્યો
20 જયારે દાઉદ પોતાનાં કુટુંબીજનોને આશીર્વાદ આપવા પોતાને ઘેર પાછો આવ્યો ત્યારે શાઉલની દીકરી મીખાલ તેને મળવા સામે આવી, અને બોલી, “ઇસ્રાએલનો રાજા આજે તમે જેમ કોઇ મૂર્ખ પોતાના વસ્ત્રો કાઢી નાખે તેમ તમે તમાંરી દાસીઓની સામે આજે નવસ્ત્રો થઇને કેટલા ઉમદા દેખાતાં હતાં.”
21 દાઉદે મીખાલને કહ્યું, “હું યહોવાની સમક્ષ નાચતો હતો. તેમણે મને પસંદ કર્યો, તારા પિતા અને તારા કુટંબના માંણસોને નહિ. અને યહોવાએ સમગ્ર ઇસ્રાએલીઓની સામે મને તેઓનો આગેવાન બનાવ્યો. તેથી તેમની આગળ હું માંરો આનંદ દર્શાવતો હતો અને તેમની સામે નાચતો હતો. 22 અને એટલું જ નહિ, હું હજી પણ નમ્ર બની માંરી જાતને હજી વધારે નમાંવીશ, તું કદાચ મને માંન નહિ આપે. પરંતુ તું જે દાસીઓ વિષે વાત કરે છે તેઓ સર્વથા મને માંન આપશે.”
23 શાઉલની પુત્રી મીખાલ મરતાં સુધી નિ:સંતાન જ રહી.