24
કાટ ચઢેલી કઢાઈનું રૂપક
નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ, કેમ કે, આજના દિવસે બાબિલના રાજાએ યરુશાલેમનો ઘેરો ઘાલ્યો છે.
આ બંડખોર પ્રજાને દ્રષ્ટાંત આપીને સંભળાવ. તેને કહે કે, “પ્રભુ યહોવાહ આમ કહે છે:
કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી રેડો,
તેમાં માંસના ટુકડા, જાંઘ તથા ખભાના દરેક સારા ટુકડા નાખો.
સારાં હાડકાંથી તેને ભરો!
ટોળાંમાંથી એક ઉત્તમ ઘેટું લો, પેલાં હાડકાં તેની નીચે નાખો,
તેને ખૂબ ઉકાળો, હાડકાંને બફાવા દો.
માટે પ્રભુ યહોવાહ કહે છે: કઢાઈની માફક જેની અંદર મેલ છે,
જેમાંથી મેલ કદી નીકળ્યો નથી એવી ખૂની નગરીને અફસોસ.
તેમાંથી ટુકડે ટુકડે લો, પણ તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
કેમ કે તેનું લોહી તેની અંદર છે. તેણે તેને ખુલ્લા ખડક પર પાડ્યું છે, તેણે તેને જમીન પર રેડ્યું નથી જેથી તે ધૂળથી ઢંકાય જાય, તે ઢંકાય નહિ માટે મેં તેને ખુલ્લા ખડક પર રાખ્યું છે. જેથી મારો કોપ સળગે અને હું વૈર વાળું.
તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: ખૂની નગરીને અફસોસ, હું લાકડાંનો મોટો ઢગલો પણ કરીશ. 10 લાકડાંને વધારો, અગ્નિ સળગાવો, માંસને બરાબર ઉકાળો. રસો જાડો કરો! હાડકાંને બળી જવા દો!
11 પછી ખાલી કઢાઈને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય અને તેનું પિત્તળ તપી જાય, તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ પીગળી જાય. 12 તે સખત પરિશ્રમથી કંટાળી ગઈ છે, પણ તેનો કાટ એટલો બધો છે કે તે અગ્નિથી પણ જતો નથી.
13 તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ.
14 મેં, યહોવાહે તે કહ્યું છે અને તે પ્રમાણે થશે અને હું તે પૂરું કરીશ, હું પીછેહઠ કરીશ નહિ. દયા રાખીશ નહિ. તારાં આચરણ પ્રમાણે અને તારાં કૃત્યો પ્રમાણે તેઓ ન્યાય કરશે.” એવું પ્રભુ યહોવાહ કહે છે.
પ્રબોધક-પત્નીનું મૃત્યુ
15 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 16 “હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ. 17 તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ.”
18 સવારમાં મેં મારા લોકોને કહ્યું, સાંજે મારી પત્ની મૃત્યુ પામી. મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં સવારે કર્યું.
19 લોકોએ મને પૂછ્યું, “તું જે બાબતો કરે છે, તે બધાનો શો અર્થ છે તે અમને નહિ કહે?” 20 ત્યારે મેં તેઓને કહ્યું, “યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 21 ‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.
22 ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો:. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ. 23 તમારી પાઘડી તમારા માથા પર, તમારાં ચંપલ તમારા પગમાં હશે. શોક કરશો કે રડશો નહિ, તમે તમારા અન્યાયમાં પીગળી જશો, દરેક માણસ પોતાના ભાઈને માટે નિસાસા નાખશે. 24 હઝકિયેલ તમારે માટે ચિહ્નરૂપ થશે. જ્યારે તે આવશે ત્યારે જે સર્વ તેણે કર્યું તે પ્રમાણે તમે કરશો. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું!”
25 “પણ હે મનુષ્યપુત્ર, જે દિવસે હું તેઓનું સામર્થ્ય, જે તેઓનો આનંદ છે, તેઓનો ગર્વ, જે તેઓ જુએ છે અને તેઓની ઇચ્છા છે તેને કબજામાં લઈ લઈશ અને તેઓના દીકરા તથા દીકરીઓને લઈ લઈશ. 26 તે દિવસે એમ નહિ થશે કે, બચી ગયેલો તારી પાસે આવીને તને તે સમાચાર કહી સંભળાવે. 27 તે જ દિવસે તારું મુખ ખૂલશે અને તું બચી ગયેલાઓ સાથે વાત કરશે. ત્યાર પછી તું શાંત રહેશે નહિ. તું તેઓ માટે ચિહ્નરૂપ થશે ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”