11
સોફાર
ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે,
“શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ?
શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે?
શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય?
જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે?
કેમ કે તું ઈશ્વરને કહે છે કે, ‘મારો મત સાફ છે,
હું તમારી નજરમાં નિર્દોષ છું.’
પણ જો, ઈશ્વર બોલે
અને તારી વિરુદ્ધ પોતાનું મુખ ખોલે;
તો તે તને ડહાપણના રહસ્યો વિષે કહેશે!
તેમની પાસે બહુવિધ સમજણ છે.
તે માટે જાણ કે, ઈશ્વરે તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઓછી સજા આપે છે.
શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે?
શું તું યોગ્ય રીતે સર્વશક્તિમાનને સમજી શકે છે?
તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે?
તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે?
તેનું માપ પૃથ્વી કરતાં લાંબું,
અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે.
10 જો તે કોઈને પણ પકડી અને કેદમાં પૂરે,
અને તેનો ન્યાય કરવા તેને આગળ બોલાવે તો તેમને કોણ અટકાવી શકે?
11 કેમ કે ઈશ્વર જૂઠા લોકોને જાણે છે;
જ્યારે તે અન્યાય જુએ છે, ત્યારે શું તે તેની ખબર રાખતા નથી?
12 પણ મૂર્ખ લોકો પાસે સમજણ નથી;
જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.
13 પણ જો તું તારું મન સીધું રાખે
અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે;
14 તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે,
અને અનીતિને તારા ઘરમાં રહેવા ન દે.
15 તો પછી તું નક્કી નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે.
હા, તું દૃઢ રહેશે અને બીશે નહિ.
16 તું તારું દુ:ખ ભૂલી જશે;
અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે.
17 તારી જિંદગી બપોર કરતાં પણ વધુ તેજસ્વી થશે.
જો અંધકાર હશે તોપણ, તે પ્રભાતના જેવી થશે.
18 આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે;
તું ચોતરફ જોશે અને સહીસલામત આરામ લેશે.
19 વળી તું નિરાંતે સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ;
હા, ઘણા લોકો તારી પાસે અરજ કરશે.
20 પણ દુષ્ટોની આંખો નિસ્તેજ થઈ જશે;
તેઓને નાસી જવાનો કોઈ રસ્તો નહિ રહે;
મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”