40
દિલાસાના શબ્દો 
  1 તમારા દેવની આ વાણી છે:  
“દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.   
 2 યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો,  
તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે,  
તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે,  
તેણે યહોવાના હાથે તેના બધા દોષોની  
બમણી સજા મેળવી છે.”   
 3 કોઇનો સાદ સંભળાય છે:  
“મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો;  
આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.   
 4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો  
અને ડુંગરોને સપાટ બનાવી દો.  
ખરબચડી જમીનને સરખી બનાવી દો.  
અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.   
 5 પછી યહોવાનો મહિમા પ્રગટ થશે  
અને સમગ્ર માનવજાત તે જોવા પામશે.  
આ યહોવાના મુખના વચન છે.”   
 6 એક અવાજ કહે છે, “સાદ પાડ.”  
હું પૂછું છું, “શો સાદ પાડું?”  
જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે,  
ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:   
 7 દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે  
અને ફૂલો કરમાઇ જાય છે;  
નાશવંત માનવી પણ તેના જેવો જ છે.   
 8 ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે,  
પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”   
તારણ: દેવના શુભ સમાચાર 
  9 હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા!  
તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર!  
હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો,  
તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ,  
યહૂદીયાના નગરોને કહો,  
“આ તમારા દેવ છે!”   
 10 જુઓ, મારા માલિક યહોવા તેમના પૂરા સાર્મથ્ય સહિત પધારે છે,  
તે પોતાના મજબૂત હાથથી દરેકને પોતાના શરણે આવવા માટે દબાણ કરે છે.  
તે તેની પ્રજાને વળતર તરીકે પોતાની સાથે લાવે છે,  
અને આ પ્રજા જે તેના કામનો બદલો છે, તેઓ તેની આગળ ચાલે છે.   
 11 તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે;  
તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે  
અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.   
દેવે દુનિયા બનાવી તે તેનો શાસનકર્તા છે 
  12 સમુદ્રના જળને ખોબામાં લઇને કોણે માપ્યાં છે  
અને આકાશને કોણે પોતાના વેંતથી માપ્યું છે?  
સમગ્ર પૃથ્વીનું તથા પર્વતો  
અને ટેકરીઓનું વજન ત્રાજવાના પલ્લામાં કોણે તોળ્યુ છે?   
 13 યહોવાના આત્માનો તાગ કોણે મેળવ્યો છે?  
કોણે તેમને સલાહ આપી છે?   
 14 કોણ તેમને શીખવી શકે કે સલાહ આપી શકે?  
શું તેમને કોઇ વ્યકિત સલાહ આપે તે ઉચિત છે?  
શું યોગ્ય છે અને શ્રેષ્ઠ શું છે  
તે જાણવા કોઇના સૂચનની શું તેમને જરૂર છે?   
 15 અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે,  
ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે.  
ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે.   
 16 આખો લબાનોન પર્વત એના યજ્ઞ માટે  
પૂરતાં લાકડાં કે હોમવા માટે  
પુરતાં પશુઓ પૂરાં પાડી શકે એમ નથી.   
 17 તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી,  
તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.   
દેવ શું છે લોકો કલ્પના પણ નથી કરી શકતા 
  18 તો તમે દેવની તુલના શાની સાથે કરશો?  
તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?   
 19 શું મૂર્તિની સાથે?  
મૂર્તિને તો કારીગર ઢાળે છે,  
સોની સોનાના પતરાથી મઢે છે  
અને રૂપાના હાર ચઢાવે છે.   
 20 નિર્ધન માણસ તેના અર્પણ તરીકે  
લાકડું પસંદ કરે છે તે સડતું નથી,  
પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે  
જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.   
 21 શું તમે અજ્ઞાત છો?  
તમે સાંભળ્યું નથી?  
તમને અગાઉથી કહ્યું નહોતું?  
પૃથ્વીનો પાયો કોણે નાખ્યો એ તમને ખબર નથી?   
 22 તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે.  
એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે!  
તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે,  
અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.   
 23 તે જગતનો ન્યાય કરે છે, તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે  
અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે.   
 24 હજી હમણાંજ માંડ રોપાયા હોય.  
માંડ વવાયા હોય.  
માંડ તેમણે ધરતીમાં મૂળ નાખ્યાં હોય,  
ત્યાં તો તેમના પર તેઓ ફૂંક મારે છે અને તેઓ કરમાઇ જાય છે;  
વાવાઝોડું આવી તેમને તરણાંની જેમ ઘસડી જાય છે.   
 25 વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો?  
મારી બરોબરી કોણ કરી શકે છે?”   
 26 આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે  
એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે ર્સજ્યા છે?  
જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે  
અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે,  
તેની શકિત એટલી પ્રબળ છે કે  
તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.   
 27 તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે,  
હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે,  
“મારા માર્ગની યહોવાને ખબર નથી,  
હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”   
 28 શું તમે હજુ પણ સમજતાં નથી?  
હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે  
યહોવા તે સનાતન દેવ છે,  
તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે,  
એ કદી થાકતા નથી કે હારતા નથી;  
તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી.   
 29 તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર  
અને નિર્બળને બળ આપે છે.   
 30 તરુણો કદાચ થાકીને હારી જાય,  
ભરયુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઇ પડે,   
 31 પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે.  
તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે;  
તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે,  
કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.