યર્મિયાનો વિલાપ   
 1
પોતાના વિનાશ પર યરૂશાલેમનો વિલાપ 
  1 એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે!  
જે એક વાર લોકોથી ધમધમતું હતું,  
દેશવિદેશમાં મહાન ગણાતું હતુ,  
તે શા માટે વિધવા જેવું થઇ ગયુ?  
જે શહેરોની મહારાણી જેવું હતું,  
તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?   
 2 તે રાત્રે પોક મૂકી રડે છે,  
ને તેના ગાલે અશ્રુધારા વહે છે;  
આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી,  
તેણીના મિત્રોએ તેને છેતરી છે  
અને તેણી જેઓને ચાહે છે  
તેઓ તેના શત્રુ થયા છે.   
 3 તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે સ્થિર થયા છે.  
અને તેમની પાસે વિશ્રામનું સ્થળ નથી.  
યહૂદાની પ્રજા દેશવટે ગઇ છે.  
તેમને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરાય છે.  
જેઓએ તેમનો પીછો કર્યો હતો તેમણે તેઓને પકડી લીધા છે.  
તેઓ ભાગી શક્યા નહિ.   
 4 સિયોનના માગોર્ આક્રંદ કરે છે,  
ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી;  
તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે,  
ને તેના યાજકો આર્તનાદ કરે છે;  
તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે,  
અને તે શહેર તેની કડવાશ અનુભવે છે.   
 5 તે શહેરના શત્રુઓ તેના રાજકર્તા થઇ ગયા  
અને તે શત્રુઓ સમૃદ્ધ થયા,  
તેમનાં અસંખ્ય પાપોના લીધે યહોવાએ તેમને શિક્ષા કરી  
અને તેમને ખૂબ દુ:ખ ઉઠાવવા પડ્યા.  
તેઓએ તે શહેરના લોકોને પકડીને  
તેમને તેમના બંદી બનાવનારની સામે કૂચ કરાવડાવીને બંદીવાસ કર્યા.   
 6 સિયોનના બધા મહત્વના  
લોકોએ તેને છોડી દીધી છે.  
સરદારો ચારા વગરનાં હરણો જેવા;  
અને તેમને જેઓ પકડે છે  
તેમનાથી દૂર ભાગી જવાની શકિત  
વગરના થઇ ગયા છે.   
 7 પોતાના દુ:ખ સંતાપનાં દિવસોમાં,  
યરૂશાલેમ અતીતની સમૃદ્ધિ સંભારે છે.  
તેના લોકો શત્રુના હાથમાં પડ્યા છે.  
કોઇ તેની સાથે જનાર નથી તેથી શત્રુઓ તેની પાયમાલી જોઇ ઉપહાસ કરે છે.   
 8 યરૂશાલેમે ઘોર અપરાધ કર્યો છે,  
તેથી જ તે અશુદ્ધ સ્ત્રીની જેમ થઇ પડ્યું છે.  
જેઓ તેને માન આપતા હતા તેઓ તેને તુચ્છ ગણે છ,ે  
કારણ કે, તેઓએ તેની નગ્નતા જોઇ લીધી છે.  
અને તે પોતે મોં સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.   
 9 તેણીની અશુદ્ધતા તેના ઝભ્ભાની કિનારી  
સુધી ફેલાઇ ગઇ હતી,  
જેઓ તેને પહેલા માન આપતાં હતા, અત્યારે તેને નાપસંદ કરે છે,  
કારણ કે તેઓએ તેની નગ્નતાને જોઇ છે.  
અને તે પોતે જ નિસાસા નાખે છે  
અને પોતાનું મોઢું ફેરવી લે છે.   
 10 બધી કિંમતી વસ્તુઓ પર શત્રુએ  
પોતાનો હાથ મૂક્યો છે,  
ને તેણે પોતાના મંદિરમાં વિધમીર્ પ્રજાને પ્રવેશ કરતી જોઇ છે;  
જ્યાં યહોવાએ તે વિદેશીઓને પ્રવેશવાની મનાઇ કરી હતી.   
 11 તેના બધા લોકો આર્તનાદ કરે છે.  
તેઓ રોટલાની ભીખ માંગે છે.  
ઝવેરાત આપી અન્ન ખરીદે છે;  
ને ભૂખ શમાવી, નગરી પોકારે છે,  
“હે યહોવા, નજર કરો અને જુઓ;  
મુજ અધમનો કેવો તિરસ્કાર થાય છે?   
 12 ઓ, જનાર સૌ લોકો, જરા નજર કરો;  
કોઇને ય મારા જેવું દુ:ખ પડ્યું છે?  
જે યહોવાએ મને ક્રોધમાં આવીને દીધું છે?   
 13 ઉપરથી તેણે મારા હાડકામાં  
અગ્નિ મોકલ્યા અને તે તેઓને નિર્ગત કરે છે;  
તેણે મારા પગ માટે જાળ પાથરી છે,  
અને કેવી મને ભોંયે પછાડી છે!  
તેણે મને એકલી અટૂલી છોડી દીધી  
અને હું આખો વખત રિબાતી રહી.   
 14 “તેણે મારા પાપોનું પોટલું મારી ડોકે બાંધ્યું છે.  
મારી શકિત તેના ભારથી ખૂટી પડી છે,  
મને મારા શત્રુઓના હાથમાં સોંપી દેવામાં આવી છે  
જેની સામે જ્યાં હું ઉભી રહી શકતી નથી.   
 15 યહોવાએ મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને  
તુચ્છકાર્યા છે,  
અને મારાં તરૂણ યોદ્ધાઓને કચડી નાખવા માટે  
ટૂકડીઓ તૈયાર કરી છે.  
અને યહોવાએ યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે,  
ખરાબર એવી જ રીતે જેમ દ્રાક્ષારસ બનાવવા માટે કોઇ દ્રાક્ષને ખૂદે.   
 16 “તેથી હું રડું છું.  
અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે.  
મારા જીવનમાં જીવ લાવનાર  
અને આશ્વાસન આપનાર કોઇ નથી,  
મારા સંતાનોનો નાશ થયો છે,  
કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”   
 17 મેં મદદ માટે, હાથ લાંબા કર્યા છે,  
પણ મને દિલાસો આપનાર કોઇ નથી.  
યહોવાએ મારી આસપાસના શત્રુઓને મારી પર હુમલો કરવા કહ્યું છે.  
અને તેઓ મને અસ્પૃશ્ય ગણે છે.   
 18 યરૂશાલેમે કહ્યું, “યહોવા સારા છે, જ્યારે તે મને શિક્ષા કરે છે  
કારણકે મેં તેની વિરુદ્ધ બંડ કયુંર્ છે.  
મહેરબાની કરીને મને સાંભળો  
અને મારા દુ:ખને જુઓ.  
મારી જુવાની અને કૌમાર્ય,  
કેદીઓની જેમ બંદીવાસમાં પસાર થયું છે.”   
 19 મે મારા મિત્રોને હાંક મારી,  
પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો,  
મારા યાજકો અને વડીલો શહેરમાં ભૂખને સંતોષવા  
ભિક્ષા માગતાં મરણ પામ્યા.   
 20 “હે યહોવા, હું ભારે દુ:ખમાં છું,  
જો મારું હૃદય મારી ઉપર ચઢી બેઠું છે,  
ને પેટ અમળાય છે;  
કારણકે, હું ખૂબ વિદ્રોહી હતો.  
રસ્તા પર તરવાર મારાં સંતાનોનો સંહાર કરે છે;  
ને મોત ઘરમાંય છે.   
 21 “જ્યારે હું નિસાસા નાખતો હતો,  
તે તેઓએ સાંભળ્યું છે.  
મને દિલાસો આપનાર કોઇ નથી;  
મારા બધા દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે.  
તેઓ ખુશ છે કે આ બધું તેં પોતે કર્યું છે.  
તેં જે દિવસ માટે વચન આપ્યું છે તે આવવા દે,  
તેઓને પણ મારા જેવા થવા દે.   
 22 “તું તેમના બધાં દુષ્કૃત્યોને ધ્યાનમાં લે,  
જેવી રીતે મારા ગુનાની મને સજા થઇ છે  
તેવી જ રીતે તેઓને પણ તું સજા કર.  
તેવું કર કેમકે હું સતત નિસાસા નાખું છું  
અને મારું હૃદય નબળું થઇ ગયું છે.”