2
લોકોની દુષ્ટ યોજનાઓ 
  1 જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ  
અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે  
તેઓને ધિક્કાર છે!  
પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.   
 2 તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે  
તેથી તેને ઘેરી વળે છે,  
તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે  
તેથી તેને પડાવી લે છે.  
તેઓ વ્યકિતને તેની સંપતિ માટે છેતરે છે,  
તેઓ વારસદારને તેના વારસા માટે ઠગે છે.   
લોકોને સજા કરવાની યહોવાની યોજના 
  3 તેથી યહોવા કહે છે કે,  
“જુઓ, હું આ કુળ ઉપર આફત નાખવાનો વિચાર કરું છું,  
એમાંથી તમે તમારી જાતને નહિ બચાવી શકો,  
ને તમે હવે હોશીયારીથી ચાલી શકશો નહિ,  
કારણકે તે ભયાનક સમય હશે.   
 4 તે દિવસે તેઓ તમને મહેણાં ટોણાં મારશે  
અને તમારે માટે દુ:ખના ગીતો ગાઇને કહેશે કે,  
‘આપણે તો સંપૂર્ણ રીતે પાયમાલ થઇ ગયા છીએ,  
તે અમારી જમીન બદલી નાખે છે અને જે મારી છે  
તે લઇ લે છે અને તે અમારા ખેતરો  
અમને દગો આપનારા વચ્ચે વહેંચી આપે છે.   
 5 જ્યારે યહોવા લોકોની જમીનના ભાગ પાડશે,  
ત્યારે તમને તે નહિ મળે.’ ”   
મીખાહને ઉપદેશ માટે ના પાડવી 
  6 લોકો મને કહે છે, “તમારે પ્રબોધ કરવો નહિ,  
તમે આવી વસ્તુઓ પ્રબોધવા માટે નથી,  
આપણી ઉપર અવકૃપા નહિ આવે.”   
 7 હે યાકૂબના કૂળસમુહો,  
શું આવું કહેવાશે?  
કે યહોવાનો આત્મા સંકોચાયો છે?  
આ શું તેનાઁ કાર્યો છે?  
જેઓ નીતિમત્તાથી ચાલે છે  
તેમના માટે મારા શબ્દો સારા નથી?   
 8 પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ વતીર્ રહ્યાં છે.  
તમે પસાર થતાં શાંત લોકોના કપડાં ઉતારી નાખો છો,  
જેઓ એમ વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી  
પાછા ફરતાં લોકોની જેમ સુરક્ષિત છે.   
 9 મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં  
આરામદાયક મકાનોમાંથી કાઢી મૂકો છો;  
અને તેમનાં બાળકો પાસેથી મારું ગૌરવ  
તમે સદાને માટે હળી લો છો.   
 10 ઊઠો, ચાલ્યા જાઓ,  
કારણકે આ તમારું વિશ્રામસ્થાન નથી.  
અશુદ્ધિ ભયંકર વિનાશ  
સાથે સંહાર કરે છે.   
 11 જો કોઇ અપ્રામાણિકતા  
અને અસત્યની પ્રકૃતિવાળી વ્યકિત એમ કહેતી આવે કે,  
“હું તમને પુષ્કળ દ્રાસારસ અને મધ વિષે ઉપદેશ આપીશ,  
તો તે આ લોકોનો જ પ્રબોધક હશે.”   
યહોવા પોતાના લોકોને ભેગા કરશે 
  12 હું ચોક્કસપણે તમને બધાને, યાકૂબના લોકોને ભેગાં કરીશ.  
હું કાળજીપૂર્વક ઇસ્રાએલના બચેલાઓને ભેગાં કરીશ.  
હું તેમને વાડાના ઘેટાંની જેમ  
તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ ભેગાં કરીશ.  
ચારેબાજુથી બધા લોકોના આવાજથી  
ત્યાં ઘોંઘાટ મચી જશે.   
 13 પછી એક “ઘસી પડનાર” તેમની આગળ આવશે  
અને તેઓ દરવાજો તોડીને તેમાંથી પસાર થશે,  
રાજા તેમની પહેલાં પસાર થઇ ગયો છે,  
યહોવા તેમનો આગેવાન છે!