5
 1 હે યરૂશાલેમ, તારી સૈના ભેગી કર,  
દુશ્મનોએ આપણને ઘેરો ઘાલ્યો છે;  
તેઓ ઇસ્રાએલના ન્યાયાધીશને  
ગાલ પર સોટી વડે મારશે.   
બેથલેહેમનું ગૌરવ 
  2 હે બેથલેહેમ એફ્રાથાહ,  
તું યહૂદિયાનું સૌથી  
નાનકડું ગામડું છે,  
પણ મને લાગે છે કે,  
“ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે,  
જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”   
 3 તેથી યહોવા પોતાના લોકોનો ત્યાગ કરશે,  
પણ ગર્ભવતીને પુત્ર અવતરશે ત્યાં સુધી જ.  
ત્યારબાદ તો એ પુત્રના જાતભાઇઓમાંથી બચવા પામેલાઓ  
દેશવટેથી પાછા આવી બીજા ઇસ્રાએલીઓની સાથે ભેગા થશે.   
 4 તે યહોવાના સાર્મથ્યસહિત તથા પોતાના દેવ યહોવાના નામના પ્રતાપસહિત ઊભો  
રહીને પોતાના લોકોનું પાલન કરશે. અને તેઓ સુરક્ષામાં રહેશે.  
અને તે વખતે તો આખી દુનિયામાં તેમનો પ્રભાવ પડતો હશે,  
અને તે જ શાંતિ ફેલાવશે.   
 5 હવે ત્યાં શાંતિ હશે.  
આશ્શૂરી સૈન્ય આપણા વતન વિરુદ્ધ ચઢી આવશે  
અને તે આપણી જમીન ઉપર કૂચ કરશે,  
ત્યારે આપણી કાળજી લેવા માટે તે સાત પાળકોની  
અને આપણને દોરવણી આપવા માટે આઠ સરદારોની નિમણૂંક કરશે.   
 6 તેઓ આશ્શૂરની ભૂમિ પર તરવારથી  
અને નિમ્રોદની ભૂમિ ઉપર ઉઘાડી તરવારોથી શાસન કરશે,  
અને તે આપણને આશ્શૂરથી બચાવશે જે આપણી ભૂમિ પર પ્રવેશ્યા છે  
અને જેણે આપણી સરહદોને કચડી નાખી છે.   
 7 ઘણી પ્રજાઓમાંથી યાકૂબના બચવા પામેલા  
વંશજો ઘાસ ઉપર વરસતાં ઝાપટાં જેવા બની જશે,  
જે માણસ ઉપર આધાર રાખતા નથી, કે  
તેના માટે રોકાતા નથી.   
 8 યાકૂબના બચી ગયેલાઓ  
ઘણી પ્રજાઓમાં વનનાં  
પશુઓમાં સિંહના જેવા,  
તથા ઘેટાંનાઁ ટોળામાં  
સિંહના બચ્ચા જેવા થશે;  
કે જે તેઓમાં થઇને જાય તો  
તેમને કચરી નાખે છે,  
ને તેમને ફાડીને ટુકડા કરે છે,  
ને છોડાવનાર કોઇ હોતું નથી.   
 9 તારા શત્રુઓ પર તારો હાથ ઉગામાશે  
અને તારા બધા હરીફો નાશ પામશે.   
લોકો દેવના વિશ્વાસે રહેશે 
  10 વળી યહોવા કહે છે કે,  
“તે દિવસે હું તમારી વચ્ચેથી તમારા ઘોડાઓનો વધ કરી નાખીશ  
અને તમારા રથોનો નાશ કરીશ.   
 11 હું તમારા દેશનાઁ નગરોનો નાશ કરીશ,  
ને તમારા સર્વ કિલ્લાઓ તોડી પાડીશ;   
 12 વળી હું બધા જાદુગરોનો નાશ કરીશ  
અને બધા ભવિષ્યવેત્તાઓને હાંકી કાઢીશ.   
 13 હું તમારી સર્વ મૂર્તિઓ અને સ્તુતિસ્તંભો જેની  
તમે ઉપાસના કરો છો તેનો નાશ કરીશ.  
તમારા હાથોએ જે બનાવ્યું છે તેની તમે ફરીથી ભકિત કરશો નહિ,   
 14 તમારા દેશમાંથી હું અશેરાદેવીની પ્રતિમાઓને ઉખેડી નાખીશ;  
અને તમારી મૂર્તિઓનો નાશ કરીશ.   
 15 અને મારી આજ્ઞાઓનું પાલન ન કરનાર પ્રજાઓ ઉપર હું  
રોષે ભરાઇને વૈર વાળીશ.”