ગીતશાસ્ત્ર   
ભાગ પહેલો  
 1
(ગીત 1-41)  
 1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,  
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,  
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,  
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.   
 2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,  
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;  
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,   
 3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,  
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;  
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.  
તેઓ જે કાઇ કામ કરે છે,  
તેમાં સફળ થાય છે.   
 4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.  
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.   
 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;  
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.   
 6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;  
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.