2 કાળવૃતાંત
લેખક
યહૂદી પરંપરા એઝરા શાસ્ત્રીને લેખક માને છે. 2 કાળવૃતાંતની શરૂઆત સુલેમાનના રાજશાસનના હેવાલથી શરૂ થાય છે. સુલેમાનના મૃત્યુ બાદ રાજ્યના ભાગલા થયા હતા. 2 કાળવૃતાંત કે જે 1 કાળવૃતાંતનું સાથી પુસ્તક છે તે સુલેમાનના રાજ્યથી બાબિલના બંદીવાસ સુધીનો હિબ્રૂ લોકોનો ઇતિહાસ જણાવવાંનું ચાલુ રાખે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 450 થી 425 વચ્ચેનો છે.
જો કે કાળવૃતાંતોના લખાણોનો સમય બાબિલના દેશનિકાલમાંથી ઇઝરાયલના પાછા ફરવા બાદનો છે તો પણ તે નક્કી કરવો ખૂબ જ કઠીન છે.
વાંચકવર્ગ
પ્રાચીન યહૂદી લોકો તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો.
હેતુ
2 કાળવૃતાંતનું પુસ્તક મોટાભાગે 2 શમુએલ તથા 2 રાજાના પુસ્તકોની માહિતી સમાન જ માહિતી આવરે છે. 2 કાળવૃતાંતનું પુસ્તક તે સમયગાળાના યાજકીય પાસા પર વધારે દ્રષ્ટિ કરે છે. 2 કાળવૃતાંતનું પુસ્તક મૂળભૂત રીતે રાષ્ટ્રના ધાર્મિક ઇતિહાસનું મૂલ્યાંકન છે.
મુદ્રાલેખ
ઇઝરાયલનો ધાર્મિક વારસો
રૂપરેખા
1. સુલેમાન હેઠળ ઇઝરાયલનો ઇતિહાસ — 1:1-9:31
2. રહાબઆમ થી આહાઝ — 10:1-28:27
3. હિઝિકયાથી યહૂદાનો અંત — 29:1-36:23
1
સુલેમાનની જ્ઞાન માટેની પ્રાર્થના
1 રાજા. 3:1-5
દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.
સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબનાં મુખ્ય વડીલોને આજ્ઞા કરી. પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો. દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.
મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં.
તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”
સુલેમાને ઈશ્વરને કહ્યું, “તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે. હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે. 10 હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?” 11 ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.
12 હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ.” 13 તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
સુલેમાનની જાહોહલાલી
1 રાજા. 10:26-29
14 સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા. 15 રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડા જેવા થઈ પડ્યાં.
16 સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા. 17 મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.