ક્લોસ્સીઓને પાઉલ પ્રેરિતનો પત્ર
લેખક
ક્લોસ્સીઓને પત્ર એ વાસ્તવિક રીતે પાઉલનો પત્ર છે (1:1). શરૂઆતની મંડળીમાં જેઓ પણ તેના લેખક વિષે બોલે છે તેઓ પાઉલને લેખક તરીકે સ્વીકારે છે. કલોસ્સીઓની મંડળી પાઉલ દ્વારા સ્થપાઈ નહોતી. પાઉલના એક સહકાર્યકર્તાએ, સંભવત એપાફ્રાસે, કલોસ્સમાં પ્રથમ સુવાર્તા આપી હતી (4:12, 13). જૂઠા શિક્ષકો કલોસ્સમાં વિચિત્ર નવા સિદ્ધાંત સાથે આવ્યા હતા. તેમણે ખ્રિસ્તી વિશ્વાસ સાથે અધાર્મિક ફિલસૂફી અને યહૂદી ધર્મનું મિશ્રણ કર્યું હતું. પાઉલે ખ્રિસ્ત બધી જ બાબતો કરતાં ઉપર છે તે બતાવીને આ જૂઠા શિક્ષણનો વિરોધ કર્યો. આ પત્રને નવા કરારનો સૌથી ખ્રિસ્ત કેન્દ્રિત પત્ર કહેવામાં આવ્યો છે. તે બતાવે છે કે ખ્રિસ્ત બધી જ બાબતો પર અધિકારી છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 ની આસપાસનો છે.
પાઉલે આ પત્ર તેના રોમમાંના પ્રથમ બંદીવાસ દરમ્યાન લખ્યો હોય શકે.
વાંચકવર્ગ
જેમ લખવામાં આવ્યું છે “કલોસ્સમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને” તેમ, પાઉલે આ પત્ર કલોસ્સીઓની મંડળીને સંબોધિત કર્યો હતો (1:1-2). આ મંડળી એફેસસથી સો માઈલ દૂર જમીન વિસ્તારમાં લીકસ ખીણની બરાબર મધ્યમાં આવેલી હતી. પાઉલ પ્રેરિતે આ મંડળીની મુલાકાત કદાપિ લીધી નહોતી (1:4; 2:1).
હેતુ
પાઉલે આ પત્ર કલોસ્સમાં ઊભા થયેલા આ જોખમકારક દુર્મત વિષે સલાહ આપવા, સમગ્ર સૃષ્ટિ પરની ખ્રિસ્તની સંપૂર્ણ, પ્રત્યક્ષ અને સતત સર્વોપરિતાની ખાતરી કરાવવા દ્વારા દુર્મતવાદી પ્રશ્નોનો જવાબ આપવા (1:15; 3:4), સમગ્ર સૃષ્ટિ પરની ખ્રિસ્તની સર્વોપરિતાના પ્રકાશમાં તેના વાંચકોને જીવન જીવવા ઉત્તેજન આપવા (3:5; 4:6) અને મંડળી તેમનું સુવ્યવસ્થિત જીવન જાળવે અને જૂઠા શિક્ષકોના જોખમ સામે તેમના વિશ્વાસની સ્થિરતા જાળવે તે માટે ઉત્તેજન આપવા લખ્યો હતો (2:2-5).
મુદ્રાલેખ
ખ્રિસ્તની સર્વોપરિતા
રૂપરેખા
1. પાઉલની પ્રાર્થના — 1:1-14
2. પાઉલનો ‘ખ્રિસ્તમાં એક વ્યક્તિ’ વિષેનો સિદ્ધાંત — 1:15-23
3. ઈશ્વરની યોજના તથા હેતુમાં પાઉલની ભૂમિકા — 1:24-2:5
4. જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી — 2:6-15
5. પાઉલનો જોખમકારક દુર્મતનો સામનો — 2:16-3:4
6. ખ્રિસ્તમાં નવા મનુષ્ય વિષેનું વર્ણન — 3:5-25
7. પ્રસંશા તથા અંતિમ અભિવાદન — 4:1-18
1
ક્લોસ્સીઓની મંડળીને પાઉલનો પત્ર
ખ્રિસ્તમાં કલોસામાંના પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પસંદ થયેલો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી લખે છે કે, ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
આભારસ્તુતિ
કેમ કે જે દિવસથી અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસ વિષે તથા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલી આશાને લઈને સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું.
ત્યારથી અમે તમારે માટે નિત્ય પ્રાર્થના કરીને ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા છે, તેમની આભારસ્તુતિ કરીએ છીએ; તે આશા વિષે તમે સુવાર્તાનાં સત્ય સંદેશામાં અગાઉ સાંભળ્યું હતું; તે સુવાર્તા તમારી પાસે આવી છે, જે આખા દુનિયામાં ફેલાઈને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા વિશે સાંભળ્યું તથા સમજ્યા તે દિવસથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે.
એ જ પ્રમાણે વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે; આત્મામાં તમારો જે પ્રેમ છે તે વિષે પણ તેણે અમને ખબર આપી.
તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. 10 તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ.
11 આનંદસહિત દરેક પ્રકારની ધીરજ તથા સહનશીલતાને માટે ઈશ્વરના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ; 12 ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો.
13 તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. 14 તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.
ખ્રિસ્તનું જીવન અને કાર્ય
15 તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; 16 કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; 17 તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.
18 તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. 19 કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું; 20 અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.
21 તમે અગાઉ ઘણે દૂર, તથા દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હવે પોતાના દૈહિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, 22 જેથી ખ્રિસ્ત તમને પવિત્ર, નિર્દોષ તથા નિષ્કલંક પોતાની આગળ રજૂ કરે; 23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.
મંડળીના સેવક તરીકે પાઉલની ધર્મસેવા
24 હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું; 25 ઈશ્વરનું વચન સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે સારુ સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું વિશ્વાસી સમુદાયનો સેવક નિમાયો છું; 26 તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે; 27 બિનયહૂદીઓમાં તે મર્મના મહિમાની સમૃદ્ધિ શી છે, તે તેઓને જણાવવાં ઈશ્વરે ઇચ્છ્યું; તે મર્મ એ છે કે, ખ્રિસ્ત તમારામાં મહિમાની આશા છે.
28 આ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ. 29 તેને માટે હું પણ તેમની શક્તિ કે જે મારામાં કાર્ય કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.