યોહાનની લખેલી સુવાર્તા
લેખક
યોહાન 21:20,24 દ્વારા સ્પષ્ટ થાય છે તે પ્રમાણે ઝબદીનો દીકરો યોહાન આ સુવાર્તાનો લેખક છે. આ સુવાર્તા ઈસુ જે શિષ્યને પ્રેમ કરતા હતા તેના દ્વારા લખાઈ છે અને યોહાન પોતાનો ઉલ્લેખ “એ શિષ્ય કે જેને ઈસુ પ્રેમ કરતા હતા” તે રીતે કરે છે. તેને તથા તેના ભાઈ યાકૂબને “ગર્જનાના દીકરા” કહેવામાં આવ્યા છે (માર્ક 3:17). તેમની પાસે ઈસુના જીવનની ઘટનાઓને નિહાળવા અને તેઓ વિષે સાક્ષી આપવાનો બેજોડ વિશેષાધિકાર હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 50 થી 90 ની આસપાસનો છે.
યોહાનની સુવાર્તા એફેસસમાં લખાઈ હોય શકે છે. લખાણના બીજા ચાવીરૂપ સ્થળો યહૂદિયાનો ગ્રામ્યપ્રદેશ, સમરૂન, ગાલીલ, બેથાનિયા અને યરુશાલેમ હોય શકે છે.
વાંચકવર્ગ
યોહાનની સુવાર્તા યહૂદીઓ માટે લખવામાં આવી હતી. આ સુવાર્તા યહૂદીઓને ઈસુ મસીહા છે તે સાબિત કરવા લખવામાં આવી હતી. જે માહિતી તે પૂરી પાડે છે તે એ છે કે તેઓ વિશ્વાસ કરે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે અને તે વિશ્વાસ કરવાથી તેઓ ઈસુના નામમાં અનંતજીવન પામે.
હેતુ
યોહાનની સુવાર્તાનો હેતુ “ખ્રિસ્તીઓને તેઓના વિશ્વાસમાં દ્રઢ અને સુરક્ષિત કરવાનો હતો, જેમ 20:31 માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ “પણ આ લખવામાં આવ્યું છે કે જેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ એ જ ખ્રિસ્ત એટલે કે ઈશ્વરપુત્ર છે, અને તે વિશ્વાસ કરવા દ્વારા તમે તેમના નામમાં અનંતજીવન પામો.” યોહાને ઈસુ કે જેમણે બધી જ બાબતોને ઉત્પન્ન કરી છે (1. 3) તેમને ઈશ્વર તરીકે સ્પષ્ટ રીતે જાહેર કર્યા છે (1. 1). તેઓ અજવાળું (1. 4, 8.12) તથા જીવન (1. 4, 5.26, 14.6) છે. યોહાનની સુવાર્તા ઈસુ ખ્રિસ્ત ઈશ્વરપુત્ર છે તે સાબિત કરવા લખવામાં આવી હતી.
મુદ્રાલેખ
ઈસુ ઈશ્વરના પુત્ર
રૂપરેખા
1. જીવનના નિર્માતા ઈસુ — 1:1-18
2. પ્રથમ શિષ્યનું તેડું — 1:19-51
3. ઈસુનું જાહેર સેવાકાર્ય — 2:1-16:33
4. પ્રમુખ યાજક તરીકેની પ્રાર્થના — 17:1-26
5. ઈસુનું ક્રૂસારોહણ અને જીવનોત્થાન — 18:1-20:10
6. ઈસુનું જીવનોત્થાન બાદનું સેવાકાર્ય — 20:11-21:25
1
જીવનનો શબ્દ
પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા. તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે. યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.
ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
10 તેઓ દુનિયામાં હતા અને તેમના દ્વારા દુનિયા ઉત્પન્ન થઇ છે અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ. 11 તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.
12 છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13 તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.
14 અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા. 15 યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા.”
16 કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા. 17 નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં. 18 ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.
યોહાન બાપ્તિસ્તનો સંદેશ
માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂક 3:1-18
19 જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી; 20 એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.” 21 તેઓએ તેને પૂછ્યું, “તો શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, ‘ના.’ ”
22 માટે તેઓએ તેને પૂછ્યું કે, ‘તું કોણ છે?’ કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે? 23 તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે “અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’ ”
24 ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા. 25 તેઓએ તેને પૂછ્યું કે, ‘જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?’ ”
26 યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી; 27 તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.” 28 યર્દનને પેલે પાર બેથાની જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.
ઈશ્વરનું હલવાન
29 બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે! 30 તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, ‘મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા. 31 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.’ ”
32 યોહાને સાક્ષી આપી કે, ‘મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા. 33 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. 34 મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’ ”
ઈસુના પ્રથમ શિષ્યો
35 વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો. 36 તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’ ”
37 તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. 38 ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, ‘તમે શું શોધો છો?’ તેઓએ તેમને કહ્યું, ‘રાબ્બી ‘એટલે ગુરુજી,’ તમે ક્યાં રહો છો?’ ” 39 તેમણે તેઓને કહ્યું કે, ‘આવી અને જુઓ.’ માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
40 જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. 41 તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’ ” 42 તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’ ”
ઈસુ ફિલિપ અને નથાનિયેલને તેડે છે
43 બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ ” 44 હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં જેમનાં સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.’ ”
46 નથાનિયેલે તેને પૂછ્યું, ‘શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?’ ફિલિપ તેને કહે છે કે, ‘આવ અને જો.’ ” 47 ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, ‘જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!’ 48 નથાનિયેલે ઈસુને કહ્યું કે, ‘તમે મને ક્યાંથી ઓળખો છો?’ ઈસુએ તેને જવાબ આપ્યો, ‘ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.’ ”
49 નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’ ” 50 ઈસુએ તેને કહ્યું કે, ‘મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.’ ” 51 ઈસુએ તેને કહ્યું, ‘હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.’ ”