સફાન્યા
લેખક
સફાન્યામાં, લેખક પોતાને “હિઝિકયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીનો દીકરો સફાન્યા” એ રીતે ઓળખાવે છે. સફાન્યા નામનો અર્થ “ઈશ્વર દ્વારા બચાવેલો” એવો થાય છે. યર્મિયાના પુસ્તકમાં આ નામનો એક જાણીતો યાજક હતો (21:1; 29:25, 29; 37:3; 52:24) પણ તે અને આ સફાન્યા એક જ હતા એવી કોઈ કડી પ્રાપ્ય નથી. સફાન્યાની વંશાવળીને આધારે ઘણી વાર દાવો કરવામાં આવે છે કે તે રાજવંશી પશ્ચાદભૂમિકા ધરાવતો વ્યક્તિ હતો. સફાન્યા, યશાયા તથા મીખાહના સમય બાદ યહૂદા વિરુદ્ધ પ્રબોધ કરનારો પ્રથમ પ્રબોધક હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 640 થી 607 વચ્ચેનો છે.
આ પુસ્તકમાં આપણને જણાવે છે કે સફાન્યાએ યહૂદાના રાજા યોશિયાના રાજ્યકાળ દરમ્યાન પ્રબોધ કર્યો હતો.
વાંચકવર્ગ
યહૂદાના (દક્ષિણના રાજ્યના) લોકો અને ઈશ્વરના દરેક જગ્યાના લોકો માટે સામાન્ય પત્ર.
હેતુ
સફાન્યાના ન્યાયશાસન અને ઉત્તેજનના સંદેશમાં ત્રણ મુખ્ય સિદ્ધાંતો સમાયેલા છે. પ્રથમ, ઈશ્વર બધા જ દેશો પર સાર્વભૌમ છે. બીજું, અંતિમ ન્યાયના દિવસે દુષ્ટોને શિક્ષા થશે અને ન્યાયીઓને સાચા સાબિત કરવામાં આવશે. ત્રીજું, જેઓ પશ્ચાતાપ કરે છે અને ઈશ્વરમાં ભરોસો રાખે છે તેઓને ઈશ્વર આશીર્વાદ આપે છે.
મુદ્રાલેખ
ઈશ્વરનો મહાન દિવસ
રૂપરેખા
1. ઈશ્વરના મહાન દિવસનો આવનારો વિનાશ — 1:1-18
2. વચગાળાની આશા — 2:1-3
3. રાષ્ટ્રોનો વિનાશ — 2:4-15
4. યરુશાલેમનો વિનાશ — 3:1-7
5. આશાનું પુનરાગમન — 3:8-20
1
યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું.
ઈશ્વરના દિવસનો ન્યાયદંડ
યહોવાહ કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ* 1:2 મજૂરી.
હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશના પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ,
અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ.
કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ,” એવું યહોવાહ કહે છે.
“હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ,
અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ.
તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે,
અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.
જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”
પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે;
યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.
“યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે,
હું અમલદારોને, રાજકુમારોને,
તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.
જેઓ ઉંબરો કૂદી જઈને,
પોતાના માલિકનું ઘર હિંસાથી અને કપટથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”
10 યહોવાહ કહે છે કે,
“તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે, બીજા મહોલ્લામાં રુદન થશે,
અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે.
11 માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો,
કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે.
12 તે સમયે એવું થશે કે,
જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે,
‘યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે’ એવું માનનારા માણસોને,
તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
13 તેમનું ધન લૂંટાઈ જશે, અને તેમનાં ઘરોનો નાશ થશે!
તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!
14 યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે.
યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે.
15 તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ,
વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ,
વાદળો તથા અંધકારનો દિવસ છે.
16 કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો
વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
17 કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે,
કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે.
તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે.
18 યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ,
આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે.
પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”

*1:2 1:2 મજૂરી