7
લગ્ન વિષે
હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે. પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ. પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે. એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે. થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી. હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય. પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે. એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે, તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે.
હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે. પરંતુ જો તેઓ પોતાના શરીરને નિયંત્રણમાં ન રાખી શકતા હોય, તો પછી તેઓએ લગ્ર કરવું જોઈએ. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. 11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.
12 બીજા બધાજ લોકો માટે હું આમ કહું છું. (પ્રભુ નહિ, હું આ બાબતો કહી રહ્યો છું.) ખ્રિસ્તમય બનેલા બંધુને એવી પત્ની હોઈ શકે કે જે વિશ્વાસુ ન હોય. જો તે તેની સાથે રહેવા સંમત હોય તો તેણે છૂટાછેડા આપવા ન જોઈએ. 13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. 14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.
15 પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે. 16 પત્નીઓ તરીકે તમે કદાચ તમારા પતિનો બચાવ કરી શકો; અને પતિઓ, તમે કદાચ તમારી પત્નીનો બચાવ કરી શકો. અત્યારે તો તમે જાણતા નથી કે પછી શું બનવાનું છે.
દેવે તમને તેડયા છે તે પ્રમાણે જીવો
17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો. 18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ. 19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે. 20 દરેક વ્યક્તિને જે સ્થિતિમાં તેડવામાં આવી હોય તેમાં જ તે રહે. 21 દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે જો ગુલામ હો, તો તે બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો. 22 વ્યક્તિ કે જેને પ્રભુએ જ્યારે તેડયો, ત્યારે તે ગુલામ હતો તે પ્રભુમાં મુક્ત છે. તે જ પ્રમાણે જ્યારે તે વ્યક્તિને તેડવામાં આવ્યો ત્યારે તે મુક્ત હતો. હવે ખ્રિસ્તનો સેવક છે. 23 મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તેથી મનુષ્યોના ગુલામો ન બનો. 24 ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો.
લગ્ર કરવા અંગેના પ્રશ્નો
25 હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે. 26 આ મુશ્કેલીનો સમય છે. તેથી હું માનું છું કે તમે જેવા છો એવી જ સ્થિતિમાં રહો તે તમારા માટે સારું છે. 27 જો તમારે પત્ની હોય, તો તેનાથી છૂટા થવાનો પ્રયાસ ન કરશો. જો તમે વિવાહિત ન હો તો પત્ની શોધવાનો પ્રયાસ ન કરશો. 28 પરંતુ જો તમે લગ્ર કરવાનો નિર્ણય કરો, તો તે પાપ નથી. અને જે કુંવારી કદી પરણી જ નથી, તેવી કુવારી માટે લગ્ન કરવું તે પાપ નથી. પરંતુ જે લોકો પરણશે તેમને આ જીવનમાં વિપત્તિઓ તો થવાની જ છે. હું તમને આ વિપત્તિઓથી મુક્ત કરવા ઈચ્છુ છું.
29 ભાઈઓ અને બહેનો, હું સમજું છું કે: આપણી પાસે હવે ઘણો સમય રહ્યો નથી. તે અત્યારથી શરું કરીને, જે લોકો પાસે પત્નીઓ છે તેમણે એ રીતે દેવની સેવામાં તેમનો સમય વ્યતીત કરવો જોઈએ જાણે તેમને પત્નીઓ છે જ નહિ. 30 લોકો, જે વિષાદગ્રસ્ત છે તેમણે એ રીતે જીવવું જાણે કે તેમને કોઈ વિષાદ છે જ નહિ. લોકો જે આનંદિત છે તેમણે એ રીતે જીવવું જાણે તેઓ આનંદિત છે જ નહિ. લોકો જે વસ્તુઓ ખરીદે છે તેમણે એ રીતે જીવવું જાણે તેમની પાસે કશું જ નથી. 31 લોકો જે દુન્યવી વસ્તુઓનો ઉપભોગ કરે તેમણે તે રીતે જીવવું જાણે તે વસ્તુઓનું તેમને કોઈ મહત્વ જ નથી. તમારે આ રીતે જીવવું, કારણ કે આ જગત જે રીતે અત્યારે છે તે ખૂબ ઝડપથી ચાલ્યું જવાનું છે.
32 તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 33 પરંતુ જે માણસ વિવાહિત છે, તે દુન્યવી બાબતોમાં સંકળાયેલો છે. તે પોતાની પત્નીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 34 તેણે તે બે વસ્તુઓ વિષે વિચારવું જોઈએ. પત્નીને ખુશ કરવી અને પ્રભુને પ્રસન્ન કરવા. જે સ્ત્રી અવિવાહિત છે અથવા તો એ કન્યા કે જેણે કદી લગ્ન કર્યુ જ નથી, તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે હેતુપૂર્વક તે શરીર તથા આત્મામાં પવિત્ર થવા માગે છે. પરંતુ પરણેલી સ્ત્રી દુન્યવી બાબતોમાં વ્યસ્ત છે. તે પોતાના પતિને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 35 તમને મદદ કરવાના હેતુથી આ બાબતો હું કહી રહ્યો છું. હું તમને સીમાબદ્ધ કરવા નથી માગતો. પરંતુ તમે યોગ્ય રીતે જીવન જીવો તેમ હું ઈચ્છું છું. અને તમે બીજી કોઈ દુન્યવી બાબતમાં સમય નષ્ટ કર્યા સિવાય તમારી સંપૂર્ણ જાતને પ્રભુને સમર્પિત કરી દો એમ હું ઈચ્છું છું.
36 જો કોઈ માણસ એમ વિચારે કે તે તેની કુંવારી પુત્રી કે જેણે લગ્ન કરવા માટેનો ઉત્તમ સમય લગભગ પસાર કરી દીધો છે, તેની તરફનો તેનો વ્યવહાર યોગ્ય નથી તો તે વિચાર કરી શકે કે લગ્ન આવશ્યક છે. તે જે ઈચ્છે તેવું તેણે કરવું જોઈએ. તેણે તેઓને પરણવા દેવા જોઈએ. તે પાપ નથી. 37 પરંતુ બીજી વ્યક્તિ તેના વિચારમાં વધુ મક્કમ હોઈ શકે. લગ્ન માટેની કોઈ જરુંર નથી, તેથી તે જે કરવા ઈચ્છે તેના માટે તે મુક્ત છે. જો આ વ્યક્તિએ તેના હૃદયમાં તેની કુમારિકાને અવિવાહિત રાખવાનો નિર્ણય કર્યો હોય તો તે સારું કરી રહી છે. 38 તેથી વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપે છે તે યોગ્ય જ કરે છે, અને વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપતો નથી તે વધારે યોગ્ય કાર્ય કરે છે.
39 સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી તેણે તેના પતિ સાથે રહેવું જોઈએ. પરંતુ જો પતિ મૃત્યુ પામે તો પત્ની ઈચ્છે તો તે સ્ત્રી કોઈ પણ માણસને પરણવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેણે પ્રભુમાં લગ્ન કરવું જોઈએ. 40 જો તે સ્ત્રી ફરીથી લગ્ન ન કરે તો તે વધુ પ્રસન્ન રહેશે. આ મારો અભિપ્રાય છે, અને હું માનું છું કે મારામાં દેવના આત્માનો નિવાસ છે.