10
પાઉલ તેની સેવાનું સમર્થન કરે છે
હું પાઉલ છું અને હું તમને વિનવું છું. હું ખ્રિસ્તની નમ્રતા અને મમતાથી તમને વિનવું છું. કેટલાએક લોકો કહે છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું. ત્યારે દીન હોઉં છું, અને તમારાથી દૂર હોઉં છું. ત્યારે હિંમતવાન હોઉં છું. કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ. જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે. હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ. અમે આ દુનિયામાં જીવીએ છીએ. પરંતુ જે રીતે દુનિયા ઝઘડે છે તે રીતે અમે ઝઘડતા નથી. દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ. અને દરેક વસ્તુ જે દેવના જ્ઞાનની વિરૂદ્ધ ઉદભવે છે તેનો અમે નાશ કરીએ છીએ. અમે દરેક વિચારને કબજે કરી, તેને ત્યજી ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. જે આજ્ઞાંકિત નથી તેવી દરેક વ્યક્તિને શિક્ષા કરવા અમે તૈયાર છીએ. પણ પ્રથમ તમે સંપૂર્ણ આજ્ઞાંકિત બનો.
તમારી સામેની હકીકતોને તમારે જોવી જોઈએ. જો વ્યક્તિ એમ વિચારતી હોય કે તે ખ્રિસ્તનો છે. તો તેણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેની જેમ અમે પણ ખ્રિસ્તમાં છીએ. એ સાચું છે કે અમે મુક્ત રીતે પ્રભુએ અમને આપેલ સાર્મથ્ય વિષે બડાઈ મારીએ છીએ. પરંતુ તેણે આ સાર્મથ્ય તમને સુદઢ બનાવવા અમને આપ્યુ છે, નહિ કે તમને ક્ષતિ પહોંચાડવા. તેથી તે બડાઈ માટે હું શરમ નથી અનુભવતો. હું એમ નથી ઈચ્છતો કે તમે એમ ધારો કે મારા પત્રો વડે હું તમને ડરાવવા માગું છું. 10 કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.” 11 તે લોકોએ આ જાણવું જોઈએ: અમે અત્યારે તમારી સાથે નથી; તેથી પત્રો દ્વારા આ વસ્તુ અમે કહીએ છીએ. પરંતુ જ્યારે અમે ત્યાં તમારી સાથે હોઈશું ત્યારે અમે એજ પ્રભાવ દર્શાવીશું જે અમે પત્રમાં દર્શાવ્યો છે.
12 જે લોકો એમ માને છે કે પોતે ખૂબ જ મહત્વના છે, તેવા લોકોની ટોળીમાં દાખલ થવાની અમે હિંમત નથી કરી શકતા. અમે તેઓની સાથે અમારી સરખામણી પણ નથી કરતા. તેઓ પોતેજ પોતાનો માપદંડ બને છે, અને તેઓ જે છે તેના થકી પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે. આ બતાવે છે કે તેઓ કશું જ જાણતા નથી.
13 પરંતુ અમને જે કામ કરવાનું સોંપ્યું છે, તેના પરિધની બહાર જઈને અમે બડાઈ નહિ મારીએ. અમે અમારી બડાઈ, દેવે અમને સોંપેલા કાર્ય પૂરતી મર્યાદીત રાખીશું. પરંતુ આ કાર્યમાં તમારી સાથેના અમારા કાર્યનો સમાવેશ થાય છે. 14 અમે વધારે પડતી બડાઈ નથી મારતા. કારણ કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ. એમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. પરંતુ અમે તમારી પાસે આવ્યા છીએ. અમે તમારી પાસે ખ્રિસ્તની સુવાર્તા લઈને આવ્યા હતા. 15 જે કાર્ય અમારું છે તે પૂરતી અમારી બડાઈને અમે મર્યાદીત રાખી છે. જે કામ બીજા લોકોએ કર્યુ છે, તે વિષે અમે બડાઈ નથી મારતા. અમને આશા છે કે તમારા વિશ્વાસમાં વૃદ્ધિ થશે. અમને આશા છે કે અમારા કાર્યના ક્ષેત્રને વધુ ને વધુ વિશાળ બનાવવામાં તમે મદદરૂપ નિવડશો. 16 તમારા શહેર ઉપરાંતના વિસ્તારોમાં પણ સુવાર્તા કહેવાની અમારી ઈચ્છા છે. બીજી વ્યક્તિના વિસ્તારમાં થઈ ચૂકેલા કાર્ય વિષે અમે બડાઈ મારવા નથી ઈચ્છતા. 17 પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.” 18 કેમ કે તે એ વ્યક્તિ નથી કે જે કહે છે કે તે સારો છે. જેને પ્રભુ સારો કહે છે અને સ્વીકાર છે તે એ વ્યક્તિ છે.
10:17 ઉલ્લેખઃ યર્મિ. 9:24