29
મિસરને શિક્ષા થશે
યહોયાકીન રાજાને બંદીવાન થયાને દશમા વર્ષના દશમા મહિનાના બારમા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન તરફ મોં કરીને તેની અને તેના આખા દેશના સર્વ લોકો વિરુદ્ધ પ્રબોધ કર. તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:
 
“ ‘હે મિસરના રાજા ફારુન,
હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું.
તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે.
તેં પોતે એનું સર્જન કર્યું છે.”
 
“ ‘હું તારા જડબામાં આંકડી પરોવીશ અને તારી નાઇલની માછલીઓ
તારાં ભિંગડાને ચોંટી રહે એમ કરીશ.
અને એ બધી માછલીઓ સાથે હું
તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.
હું તને અને તારી નાઇલની બધી માછલીઓને રણમાં ફગાવી દઇશ.
તું ખુલ્લી જમીન ઉપર પડ્યો રહીશ.
કોઇ તને દફનાવશે નહિ.
હું તને પશુપંખીઓનો આહાર બનાવીશ.
ત્યારે મિસરના બધા લોકોને
ખબર પડશે કે હું યહોવા છું.
 
“ ‘તેં ઇસ્રાએલીઓને આપેલો ટેકો બરુની
લાકડીના ટેકા સમાન હતો.
જ્યારે જ્યારે તેમણે એ લાકડી પકડી ત્યારે ત્યારે તે તેમના હાથમાં ભાંગી ગઇ,
અને તેમના ખભાને તેણે ચીરી નાખ્યા.
ને તેમણે જ્યારે એનો ટેકો લીધો ત્યારે
તે તૂટી ગઇ અને તેમનાં અંગો ધ્રૂજતા રહ્યાં.’ ”
 
તેથી યહોવા આ પ્રમાણે કહે છે:
“હે મિસર, હું તારી વિરુદ્ધ સૈન્યને મોકલીશ
અને તારા લોકોની અને ઢોરઢાંખરની હત્યા કરાવીશ.
મિસર વેરાન અને ઉજ્જડ થઇ જશે;
અને ત્યારે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”
 
દેવ કહે છે, “કારણ કે તેં કીધુ હતું કે નાઇલ નદી તારી છે અને તેં જ તેને બનાવી છે, 10 ‘તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું,’ હું સમગ્ર મિસરને ઉત્તરમાં મિગ્દોલથી માંડીને ઠેઠ કૂશની સરહદ પાસે આવેલા આસ્વાન સુધી વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ. 11 ચાળીસ વર્ષ સુધી આ દેશમાં માણસ કે પશુ કોઇ ફરશે નહિ. તેમાં કોઇ વસવાટ કરશે નહિ. 12 હું મિસરને ઉજ્જડ બનાવીશ તથા તેની આજુબાજુના દેશોને પણ ઉજ્જડ બનાવીશ. તેના નગરો ચાલીસ વર્ષ સુધી ખંડિયેર જેવા રહેશે, હું મિસરવાસીઓને બીજા દેશોમાં અને પ્રજાઓમાં વિખેરી નાખીશ.”
13 આ યહોવા મારા માલિકના વચન છે: “ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઇ ગયેલા હશે તેઓમાંથી તેમને પાછા ભેગા કરીશ. 14 હું મિસરની જાહોજલાલી પુન:સ્થાપિત કરીશ અને હું તેઓને મિસરની દક્ષિણના પાથોર્સમાં જ્યાં તેઓનો જન્મ થયો હતો ત્યાં પાછા લાવીશ. પણ તેઓ મહત્વના નહિ તેવા નાના રાજ્ય તરીકે રહેશે. 15 બધા રાજ્યોમાં તે નાનામાં નાનું રાજ્ય હશે. અને તે કદી બીજી પ્રજાઓ પર સત્તા નહિ ચલાવી શકે, હું તેમને એવા તો પામર બનાવી દઇશ કે તેઓ બીજી પ્રજાઓને તાબે નહિ કરી શકે. 16 ઇસ્રાએલ હવે કદી મિસરની સહાય પર આધાર રાખશે નહિ, કારણ કે જેટલી વાર તે મિસરની મદદ મેળવવાનો પ્રયાસ કરશે તેટલી વાર તેને યાદ આવશે કે તેની મદદ મેળવવા માટે ઇસ્રાએલે પાપ કર્યું હતું. ત્યારે ઇસ્રાએલ જાણશે કે હું એકલો જ, યહોવા મારા માલિક છું.”
મિસરને બાબિલ લેશે
17 સત્તાવીસમાં વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તૂર ઉપર હુમલો કર્યો, તેના સૈનિકોએ એટલી સખત મહેનત કરી કે તેમના વાળ ખરી પડ્યા અને તેમના ખભા છોલાઇ ગયા તેમ છતાં તેને કે તેના સૈન્યને પોતાની મહેનતનું કશું વળતર ન મળ્યું.” 19 તેથી યહોવા મારા માલિક કહે છે કે, “હું મિસરની ભૂમિ બાબિલના રાજા નબૂખાદરેસ્સારને આપીશ અને તે એની સર્વ સંપત્તિ તેના શ્રમના બદલા તરીકે લઇ જશે. 20 તૂર સામે એણે કરેલી મહેનતના બદલામાં હું તેને મિસરની ભૂમિ આપી દઉં છું, કારણ, તેની સેના મારે માટે કામ કરતી હતી.” આ યહોવા મારા માલિક બોલ્યા છે.
21 “અને એવો દિવસ આવશે કે હું જ્યારે ઇસ્રાએલને તેનું અગાઉનું બળ ફરીથી આપીશ. જેથી એ લોકોની આગળ તું બોલી શકે, અને ત્યારે લોકો તારા શબ્દો પ્રત્યે આદર રાખશે અને મિસર જાણશે કે હું યહોવા છું.”