4
મારે તમને આ કહેવું છે: જ્યાં સુધી વારસદાર બાળક છે, ત્યાં સુધી તેનામાં અને ગુલામમાં કોઈ ફેર નથી. એનો કશો જ અર્થ નથી કે વારસદાર બધી જ વસ્તુનો માલિક છે. શા માટે! કારણ કે જ્યાં સુધી તે બાળક છે, તેણે જે લોકોને તેની સંભાળ રાખવા પસંદ કર્યા છે તેમની આજ્ઞાનું પાલન કરવું જ પડે છે. પરંતુ બાળક જ્યારે તેના પિતાએ નક્કી કરેલી ઉમરનો થાય છે ત્યારે તે મુક્ત બને છે. આપણે માટે પણ આવું જ છે. આપણે એક સમયે બાળકો જેવા હતા૤ આપણે આ દુનિયાના બિનઉપયોગી કાયદાઓના ગુલામ હતા. પરંતુ જ્યારે યોગ્ય સમય આવ્યો, દેવે તેના દીકરાનો મોકલ્યો. દેવના દીકરાને જન્મ એક સ્ત્રી થકી થયો. દેવનો દીકરો નિયમની આધિનતા પ્રમાણે જીવ્યો. દેવે આમ કર્યુ કે જેથી જે લોકો નિયમને આધિન હતા તેમની સ્વતંત્રતા ખરીદી શકે. દેવનો હેતુ આપણને તેના સંતાન બનાવવાનો હતો.
તમે દેવના સંતાન છો. તેથી દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે “અબ્બા, બાપ” એમ કહીને હાક મારે છે. તેથી તમે હવે પહેલાની જેમ ગુલામ નથી. તમે દેવનું બાળક છો તેથી તેણે જે વચન આપ્યું છે તે તમને આપશે.
ગલાતીઆના ખ્રિસ્તીઓ પ્રત્યે પાઉલનો પ્રેમ
ભૂતકાળમાં તમે દેવને જાણતા ન હતા. તમે જે સાચા દેવો નથી તેના ગુલામ હતા. પરંતુ હવે તમે સાચા દેવને જાણો છો. ખરેખર, તે એ દેવ જે તમને જાણે છે. તો તમે શા માટે તે નિર્બળ અને બિનઉપયોગી ઉપદેશના નિયમો કે જેનું તમે ભૂતકાળમાં પાલન કરતાં હતા તેના તરફ ફરીથી ઇચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? તમે ફરીથી શું તે વસ્તુના ગુલામ થવા ઈચ્છો છો? 10 હજુ પણ તમે વિશિષ્ટ દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વરસો વિષેના નિયમના શિક્ષણને અનુસરો છો. 11 મને તમારા માટે ભય લાગે છે. મને ભય લાગે છે કે તમારા માટે મેં કરેલું કાર્ય નિરર્થક ગર્યુ છે.
12 ભાઈઓ અને બહેનો, હું તમારા જેવો જ હતો; તેથી તમે મારા જેવા મહેરબાની કરીને બનો. પહેલા તમે મારી સાથે ઘણા સારા હતા. 13 તમે યાદ કરો સો પ્રથમ હું તમારી પાસે કેમ આવ્યો હતો. કારણ કે હું માંદો હતો. તે સમયે મેં તમને સુવાર્તા પ્રગટ કરી. 14 મારી માંદગી તમારા ઉપર બોજારૂપ બની હતી. પરંતુ તમે મને ધિક્કાર્યો નહોતો. તમે મારાથી દૂર નાસી ગયા નહોતા. તમે મને દેવના દૂતની જેમ આવકાર્યો હતો. જાણે કે હૂં પોતે જ દેવનો દૂત હોઉ તે રીતે તમે મને અપનાવ્યો હતો. અને હું પોતે જ ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મને સ્વીકાર્યો! 15 તે સમયે તમે પણા આનંદીત હતા. હવે તે ઉલ્લાસ ક્યાં ગયો? મને યાદ છે કે તમે મારી મદદ માટે શક્ય કંઈ પણ કરવા ઈચ્છતા હતા. જો તે શક્ય હોત તો તમે તમારા ચક્ષુઓ ખેંચી કાઢીને મને આપી દીધા હોત. 16 હવે જ્યારે હું તમને સત્ય કહું છું ત્યારે શું હું તમારો દુશ્મન છું?
17 તમને સમજાવવા તે લોકો ઘણો પરિશ્રમ કરે છે. પણ એ તમારા પોતાના ભલા માટે નથી. અમારી વિરુંદ્ધ જવા તે લોકો તમને સમજાવે છે. તેઓ માત્ર તેમને જ અને બીજા કોઈને નહિ અનુસરો તેવું ઈચ્છે છે. 18 લોકો તમારામાં રસ દાખવે તે સારું છે, જો તેમનો હેતુ શુદ્ધ હોય તો. આ હમેશા સાચું છે. આ હું તમારી સાથ હોઉં કે તમારાથી દૂર હોઉં, સાચું છે. 19 મારા નાનાં બાળકો, ફરીથી મને તમારા માટે પીડા થાય છે જે રીતે માતાને બાળકને જન્મ આપતી વખતે થાય તે રીતે. મને આવી લાગણી થશે જ્યાં સુધી તમે ખ્રિસ્ત જેવાં નહિ બનો. 20 મારી ઈચ્છા છે કે અત્યારે હું તમારી સાથે હોઉં તે યોગ્ય છે. તો કદાચ હું તમારી સાથે હોઉ, અને મારી બોલવાની ઢબ બદલી શકું. અત્યારે મને ખબર નથી મારે તમારું શું કરવું.
હાગાર અને સારાનું દૃષ્ટાંત
21 તમારામાંના ઘણા હજુ પણ મૂસાના નિયમ નીચે રહેવા માંગે છે. મને કહો, તમને ખબર છે કે નિયમ શું કહે છે? 22 પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી. 23 ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો. પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો.
24 આ સાચી વાર્તા આપણે માટે એક ચિત્ર ઊભું કરે છે. બે સ્ત્રી, દેવ અને માણસ વચ્ચેના બે કરાર જેવી છે. એક કરાર જે દેવે સિનાઈ પર્વત* પર સર્જયો. જે લોકો આ કરાર નીચે છે તેઓ ગુલામ જેવા છે. મા કે જેનું નામ હાગાર હતું તે આ કરાર જેવી છે. 25 તેથી હાગાર તે અરબસ્તાનમાંના સિનાઈ પર્વત જેવી છે. તે યહૂદિઓની દુન્યવી નગરી યરૂશાલેમનું ચિત્ર છે. આ નગરી ગુલામ છે અને તેના બધા લોકો નિયમના ગુલામ છે. 26 પરંતુ સ્વર્ગીય યરૂશાલેમ જે ઉપર છે તે મુક્ત સ્ત્રી જેવું છે. આ આપણી માતા છે. 27 પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે:
 
“સ્ત્રી કે જે બાળકોને જન્મ નથી આપી શક્તી, તે તું આનંદ કર.
તેં કદી જન્મ આપ્યો નથી.
આનંદથી પોકાર અને હર્ષનાદ કર!
પ્રસુતિની પીડાનો તેં કદી અનુભવ કર્યો નથી.
સ્ત્રી જે એકલી મુકાયેલી છે તેને વધુ બાળકો
હશે જે સ્ત્રીને પતિ છે તેના કરતાં પણ વધારે.” યશાયા 54:1
 
28-29 ઈબ્રાહિમનો એક પુત્ર કુદરતી રીતે જન્મ્યો હતો. ઈબ્રાહિમનો બીજો પુત્ર (ઈસહાક) આત્માની શક્તિથી જન્મ્યો હતો. તે જન્મ્યો હતો દેવના વચનને કારણે. મારા ભાઈઓ અને બહેનો, તમે પણ તે વખતે જેમ ઈસહાક હતો તેમ વચન થકી જન્મેલા બાળકો છો. જે કુદરતી રીતે જન્મેલો તે પુત્રએ બીજા પુત્ર સાથે ર્દુવ્યવહાર કર્યો. આજે પણ તેવું જ છે. 30 પરતું પવિત્રશાસ્ત્ર શું કહે છે? “ગુલામ સ્ત્રી અને તેના પુત્રને કાઢી મૂક! મુક્ત સ્ત્રીનો પુત્ર તેના પિતા પાસે છે તે બધું જ મેળવશે. પરંતુ ગુલામ સ્ત્રીના પુત્રને કશું જ મળશે નહિ.” 31 તો મારા ભાઈઓ અને બહેનો, આપણે ગુલામ સ્ત્રીના સંતાન નથી. આપણે મુક્ત સ્ત્રીના સંતાન છીએ.
* 4:24 સિનાઈ પર્વત અરબસ્તાનમાંનો પર્વત જ્યાં દેવે તેના નિયમો મૂસાને આપ્યાં. (નિ. 19 અને 20) 4:30 ઉલ્લેખઃ ઉત્ત. 21:10