13
ઇસ્રાએલે પોતાનો વિનાશ નોતર્યો
“એફ્રાઇમના વંશનો બોલ પડતાં બીજા વંશના લોકો ધ્રુજી ઊઠતાં. ઇસ્રાએલમાં એ વંશનું એવું માન હતું પરંતુ બઆલની પૂજા કરવાને કારણે એ લોકો અપરાધી ઠર્યા અને માર્યા ગયા. અને હવે તેઓ પાપ ઉપર પાપ કર્યા જ જાય છે અને પોતાને માટે પોતાની કલ્પના પ્રમાણેની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવડાવે છે. એ બધી તો કારીગરે બનાવેલી છે, છતાં તેઓ કહે છે કે, ‘આને બલિ ચઢાવો.’ માણસો વાછરડાઓને ચુંબન કરે છે! આથી તેઓ પરોઢના ધુમ્મસની જેમ, અથવા જોતજોતમાં ઊડી જતી ઝાકળની જેમ, અથવા ખળામાંથી પવન તણાઇ જતાં ભૂસાની જેમ કે, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડાની જેમ હતા ન હતા થઇ જશે.”
યહોવા કહે છે: “તમે મિસરમાં હતાં ત્યારથી હું, યહોવા તમારો દેવ છું. મારા સિવાય તમારો કોઇ અન્ય દેવ નથી. અને મારા વિના તમારો કોઇ તારણહાર નથી. ગરમ અને સૂકા અરણ્યમાં મેં તમારી કાળજી રાખી હતી. પરંતુ તમે પેટ ભરીને ખાધુંપીધું અને ધરાયા એટલે તમને અભિમાન થઇ ગયું અને તમે મને ભુલી ગયા.
“એટલે હવે હું તમારા માટે સિંહ જેવો થઇશ, દીપડાની જેમ હું તમારા રસ્તાની બાજુમાં ટાંપીને બેસીશ. જેનાં બચ્ચાં ઝૂટવી લેવાયા હોય એવી રીંછણની જેમ હું તમને ચીરી નાખીશ; અને સિંહની જેમ હું તમારો ભક્ષ કરીશ.
દેવના ક્રોધથી ઇસ્રાએલનો વિનાશ
“હે ઇસ્રાએલવાસીઓ, જો હું તમારો વિનાશ કરીશ, તો તમને મદદ કરનાર કોણ છે? 10 તમારું રક્ષણ કરનાર તમારો રાજા ક્યાં છે? તમારું રક્ષણ કરનારા તમારા બધા રાજકર્તાઓ ક્યાં છે? તમે જ તેમની પાસે મારી માગણી કરી હતી કે, ‘અમને એક રાજા આપો, રાજકર્તાઓ આપો.’ 11 મેં મારા ક્રોધમાં તમને રાજા આપ્યો હતો. અને હવે રોષે ભરાઇને મેં તેને લઇ લીધો છે.
 
12 “ઇસ્રાએલના પાપો ચોપડે નોંધવામાં આવેલા છે
અને યોગ્ય સમયે શિક્ષા માટે
તે ભરી રાખેલા છે.
13 એના પ્રસવ માટે વેદના-પીડા શરૂ થઇ છે,
પણ એ મૂર્ખ બાળક છે,
કારણકે સમય થયો હોવા છતાં
એ ઉદરમાંથી બહાર આવતું નથી.
 
14 “હું મૂલ્ય ચૂકવીને તેને શેઓલમાંથી છોડાવી લઇશ,
હું એમને મૃત્યુમાંથી છોડાવીશ.
તેની કસોટી કરવા માટે હે શેઓલ,
તારી વિનાશક શકિત છૂટી મૂક.
અરે મૃત્યુ તારી મહામારી મોકલ! કારણકે મારી આંખમાં દયા રહી નથી.
15 તેના સર્વ ભાઇઓમાં તે સૌથી વધુ નિષ્ઠાવાન ગણાતો હતો.
પરંતુ પૂર્વનો પવન-અરણ્યમાંથી આવતો યહોવાનો પવન
તેના ઉપર પ્રચંડ રીતે આવશે અને પછી ઝરા સુકાઇ જશે.
અને તેમના કુંવાઓ સૂકાઇ જશે
અને તેમનો મુલ્યવાન ખજાનો પવનમાં ઘસડાઇ જશે.
16 સમરૂને દેવની વિરૂદ્ધ બંડ કર્યું છે;
માટે તેણે તેના અપરાધના ફળ ભોગવવા પડશે.
તેના ઉપર આક્રમણ કરનાર સૈન્ય તેના લોકોનો સંહાર કરશે.
તેમના બાળકોને ભોંયે પછાડીને મારી નાખવામાં આવશે
અને તેમની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.
એ લોકો તરવારનો ભોગ બનશે.”