12
બેથનિયામાં ઈસુ તેના મિત્રો સાથે
(માથ્થી 26:6-13; માર્ક 14:3-9)
પાસ્ખાપર્વના છ દિવસો અગાઉ, ઈસુ બેથનિયા ગયો. લાજરસ જ્યાં રહેતો હતો તે ગામ બેથનિયા હતું. (લાજરસ એ માણસ હતો જેને ઈસુએ મૃત્યુમાંથી ઉઠાડ્યો હતો.) તેઓએ ઈસુ માટે બેથનિયામાં ભોજન રાખ્યું હતું. માર્થાએ ભોજન પીરસ્યું. તે લોકોમાં લાજરસ હતો જે ઈસુ સાથે જમતો હતો. તે સમયે મરિયમે ઘણું કિંમતી જટામાંસીનું એક શેર અત્તર આણ્યું. મરિયમે તે અત્તર ઈસુના પગ પર લગાડ્યું. પછી તેણે તેના પગ તેના વાળ વડે લૂછયા. અને અત્તરની મીઠી સુગંધથી આખું ઘર ભરાઈ ગયું.
યહૂદા ઈશ્કરિયોત ત્યાં હતો. યહૂદા ઈસુના શિષ્યોમાંનો એક હતો. (તે એક કે જે પાછળથી ઈસુની વિરૂદ્ધ થનાર હતો.) મરિયમે જે કર્યુ તે યહૂદાને ગમ્યું નહિ. તેથી તેણે કહ્યું, “તે અત્તરની કિંમત ચાંદીના 300 સિક્કા હતી. તે વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” પણ યહૂદા ખરેખર ગરીબ લોકો વિષે ચિંતા કરતો ન હતો. યહૂદાએ આ કહ્યું કારણ કે તે એક ચોર હતો. યહૂદા જે શિષ્યોના સમૂહ માટે પૈસાની પેટી રાખતો હતો અને તે વારંવાર પેટીમાંથી પૈસા ચોરતો હતો.
ઈસુએ ઉત્તર આપ્યો, “તેને રોકશો નહિ. આજના દિવસ માટે તેણીના માટે આ અત્તર બચાવવું યોગ્ય હતું. આ દિવસ મારા માટે દફનની તૈયારીનો હતો. ગરીબ લોકો હંમેશા તમારી સાથે હશે પણ હું હમેશા તમારી સાથે નથી.”
લાજરસ વિરૂદ્ધ યોજન
યહૂદિઓમાંના ઘણાએ સાંભળ્યું કે ઈસુ બેથનિયામાં હતો. તેથી તેઓ ઈસુને જોવા ત્યાં ગયા. તેઓ ત્યાં લાજરસને જોવા પણ ગયા. ઈસુએ મૃત્યુમાંથી ઊભા કરેલામાંનો એક લાજરસ હતો. 10 તેથી તે મુખ્ય યાજકોએ લાજરસને મારી નાખવા માટે પણ યોજના કરી. 11 લાજરસને કારણે ઘણા યહૂદિઓ તેમના આગેવાનોને છોડતા હતા અને ઈસુમાં વિશ્વાસ કરતા હતા. તે જ કારણે યહૂદિ આગેવાનો પણ મારી નાખવા ઈચ્છતા હતા.
ઈસુનો યરૂશાલેમમાં પ્રવેશ
(માથ્થી 21:1-11; માર્ક 11:1-11; લૂક 19:28-40)
12 બીજે દિવસે યરૂશાલેમમાં લોકોએ સાંભળ્યું કે ઈસુ ત્યાં આવતો હતો. ત્યાં ઘણા લોકો હતા જે પાસ્ખાપર્વમાં આવ્યા હતા. 13 તે લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ લીધી અને ઈસુને મળવા બહાર ગયા. લોકોએ પોકાર કર્યા,
 
“ ‘હોસાન્ના!’
‘જે પ્રભુના નામે આવે છે, તેને ધન્ય છે!’ ગીતશાસ્ત્ર 118:25-26
 
ઈઝરાએલનો રાજા આવે છે તેને ધન્ય છે!”
 
14 ઈસુને એક ગધેડાનો વછેરો મળ્યો અને તેના પર તે બેઠો. શાસ્ત્રલેખ કહે છે તેવું આ હતુ:
 
15 “સિયોન* ની દીકરી, બી મા!
જો! તારો રાજા આવે છે.
તે ગધેડાના વછેરા પર બેસીને આવે છે.” ઝખાર્યા 9:9
 
16 ઈસુના શિષ્યો તે સમયે જે બનતું હતું તે સમજી શક્યા નહિ. પરંતુ ઈસુ મહિમાવાન થયો, તેઓ સમજ્યા કે આ બાબતો તેના વિષે લખેલી હતી. પછી તે શિષ્યોને યાદ આવ્યું કે લોકોએ તે બધું તેને માટે કર્યુ હતું.
17 ત્યાં ઈસુ સાથે ઘણા લોકો હતા જ્યારે તેણે લાજરસને મૃત્યુમાંથી ઊઠાડ્યો અને તેને કબરમાંથી બહાર આવવા કહ્યું. હવે પેલા લોકોએ ઈસુએ જે કર્યુ તેના વિષે બીજા લોકોને કહ્યું. 18 ઘણા લોકો ઈસુને મળવા બહાર ગયા, કારણ કે તેઓએ સાંભળ્યું કે ઈસુએ આ ચમત્કાર કર્યો. 19 તેથી તે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ! નોંઘ કરો તમે કશામાં સફળતા પ્રાપ્ત કરી નથી. આખું જગત તેને અનુસરે છે!”
ઈસુ જીવન અને મૃત્યુ વિષે વાત કરે છે
20 ત્યાં કેટલાક ગ્રીક લોકો પણ હતા. પાસ્ખાપર્વમાં જે લોકો યરૂશાલેમથી આવેલા હતા તે ભજન કરવા ગયા. 21 આ ગ્રીક લોકો ફિલિપ પાસે ગયા. (ફિલિપ ગાલીલના બેથસૈદાનો હતો.) ગ્રીક લોકોએ કહ્યું, “સાહેબ, અમારી ઈચ્છા ઈસુને મળવાની છે.” 22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને કહ્યું.
23 ઈસુએ તેઓને કહ્યું, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું તમને સત્ય કહું છું એક ઘઉંનો દાણો જમીન પર પડે છે અને મરી જાય છે. પછી તે ઊગે છે અને ઘણા બીજ બનાવે છે. પણ જો તે કદી મરી નહિ જાય, તો પછી તે ફક્ત એક સાદો દાણો જ રહેશે. 25 જે વ્યક્તિ તેના પોતાના જીવ પર પ્રીતિ કરે છે તે જીવન ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ દુનિયામાં પોતાના જીવને ધિક્કારે છે તે જીવન ને ટકાવે છે. તેને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ. 28 પિતા, તારા નામનો મહિમા થાઓ!”
પછીથી એક વાણી આકાશમાંથી આવી, “મેં તેના નામનો મહિમા કર્યો છે. હું ફરીથી તે કરીશ.”
29 ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી. પેલા લોકોએ કહ્યું, તે ગર્જના હતી.
પણ બીજા લોકોએ કહ્યું, “એક દૂતે ઈસુ સાથે વાત કરી!”
30 ઈસુએ લોકોને કહ્યું, “તે વાણી તમારા માટે હતી મારા માટે નહિ. 31 હવે જગતનો ન્યાય કરવાનો સમય છે. હવે આ જગતનો શાસક (શેતાન) બહાર ફેંકાઇ જશે. 32 મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે અને જ્યારે આ બનશે ત્યારે હું બધા લોકોને મારી તરફ ખેંચીશ.” 33 ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.
34 લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”
35 પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે. 36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.
યહૂદિઓએ ઈસુમાં વિશ્વાસ કરવાની ના પાડી
37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ. 38 તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:
 
“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે?
પ્રભુની સત્તા કોણે જોઈ છે?” યશાયા 53:1
 
39 આના કારણે જ લોકો વિશ્વાસ કરી શક્યા નહિ. કારણ કે યશાયાએ વળી કહ્યું હતુ કે,
 
40 “દેવે લોકોને આંધળા બનાવ્યા.
દેવે તેમનાં મન જડ કર્યા દેવે
આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ
અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.” યશાયા 6:10
 
41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે તેનો (ઈસુનો) મહિમા જોયો. તેથી યશાયા તેના (ઈસુ) વિષે બોલ્યો.
42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે. 43 આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.
ઈસુનો બોધ લોકોનો ન્યાય કરશે
44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે. 45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.
47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી. 48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. 49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે. 50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”
* 12:15 સિયોન અક્ષરશ: “સિયોનની દીકરી,” અર્થાત યરૂશાલેમ.