48
મોઆબના લોકોનું ભાવિ
ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે,
 
“નબોનું આવી બન્યું!
તે ભોંય ભેંગુ થઇ ગયું છે,
કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે,
તે જીતાઇ ગયું છે.
તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે!
હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું!
મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી,
હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે.
તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’
માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે;
શત્રુઓની તરવાર તારો પીછો કરશે.
સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે;
‘હિંસા, વિનાશ.’
મોઆબ નષ્ટ થઇ ગયું છે,
સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે.
કારણ કે તેઓ રડતાં રડતાં
લૂહીથના ઢોળાવો પર ચઢે છે.
અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં
હોરોનાયિમના ઢોળાવો ઉતરે છે.
નાસો, તમારો જીવ લઇને નાસો!
વગડાનાં જંગલી ગધેડા જેવા થાઓ.
 
“હા, તમે પોતાની સંપત્તિ
અને આવડત પર નિર્ભર રહ્યાં છો,
તમે પણ નાશ પામશો, તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે,
તેના યાજકો અને અમલદારો તેની સાથે જશે.
દરેક નગર પર વિનાશ ઊતરશે,
એક પણ શહેર બચવા પામશે નહિ.”
આ હું યહોવા બોલું છું.
“મોઆબ માટે મીઠું અલગ
રાખો કારણકે તે ચોક્કસ પડશે.
તેના નગરો વસ્તી વિનાના
ઉજ્જડ ખંડેર થઇ જવાના છે.
10 જે યહોવાનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ!
જે માણસ તરવારથી રકતપાત કરતા નથી તેને ધિક્કાર હો!”
 
11 યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી,
ને તેને હેરાન કરવામાં આવ્યું નથી,
તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી,
મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે
કે જેને એક પાત્રમાંથી બીજા
પાત્રમાં રેડવામાં આવ્યો નથી.
તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે,
ને તેની સુગંધ બદલાઇ નથી.”
12 યહોવાએ કહ્યું છે કે,
“આ લોકો મોઆબ શહેરને ખાલી કરી
નાખશે જેમ લોકો દ્રાક્ષારસની બરણી ખાલી કરે છે.
જેમ લોકો માટીના ઘડાના ટૂકડે ટૂકડા કરી નાખે છે
તેમ તેના નગરોનો નાશ કરવામાં આવશે.”
 
13 ત્યારે મોઆબનો કમોશદેવ વિષેનો મ ભાંગી જશે, જેમ ઇસ્રાએલનો બેથેલના દેવ વિષે મ ભાંગી ગયો હતો જેના પર તેણે વિશ્વાસ રાખ્યો હતો.
 
14 “હે મોઆબના લોકો, આ રાજાઓના રાજા
એવા સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
‘તમારી હિંમ્મત કઇ રીતે થઇ આવુ કહેવાની.
કે અમે બહાદુર છીએ, કેળવાયેલા યોદ્ધાઓ છીએ?’
15 મોઆબ અને તેના નગરોનો નાશ થયો છે,
તેના ચુનંદા જુવાનો રહેંસાઇ ગયા છે.”
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
16 “હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે,
એનું પતન વાયુવેગે આવી રહ્યું છે.
17 હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો.
જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા
ધૂળધાણી થઇ ગયા છે!
 
18 “હે દીબોનના લોકો,
તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરો
અને ભોંય પર ધૂળમાં બેસો.
કારણ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે.
અને તેણે તમારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
 
19 “હે અરોએરના લોકો,
રસ્તે ઊભા રહીને ચોકી કરો,
ભાગી જતા લોકોને પૂછો.
શું થયું છે?
 
20 “તેઓ તને જવાબ આપશે,
મોઆબ ખંડેર થઇ ગયું છે;
રૂદન અને શોક કરો.
આનોર્નના કિનારાઓ પરથી જાહેર કરો કે,
મોઆબ ખેદાન મેદાન થઇ ગયું છે!
21 મોઆબના ઉચ્ચ મેદાન પરના નગરો તે હોલોન,
યાહસાહ, મેફાઆથને સજા કરવામાં આવશે,
22 દીબોન, નબો, બેથ દિબ્લાથાઇમ છે.
23 ક્રિયા-થાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,
24 કરીઓથ, બોસ્રાહ, અને મોઆબના
સર્વ નગરો જે નજીકમાં છે
તે તથા જે દૂર આવેલા છે,
આ બધાને સજા થઇ છે.
25 મોઆબનું બળ તોડી નાખવામાં આવ્યું છે,
અને તેની સત્તા ભાંગી નાખવામાં આવી છે.”
આ યહોવાના વચન છે.
 
26 “મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે.
એ એની ઊલટીમાં આળોટશે
અને લોકોની હાંસીનું પાત્ર થશે,
સર્વ કોઇ તેનો તિરસ્કાર કરશે.
 
27 “શું તેં ઇસ્રાએલની હાંસી કરી નહોતી?
શું તેં તેઓને ચોરોની ટોળી માની નહોતી?
હા, જ્યારે પણ તે તેમના વિષે વાત કરી છે,
ત્યારે તેં તુચ્છકારથી તારુંડોકુ હલાવ્યુ છે.
28 હે મોઆબના લોકો, તમારા નગરોમાંથી ભાગી જાઓ
અને ઊંડી સાંકડી ખીણોમાં
પોતાના માળા બાંધીને રહેતા
કબૂતરોની માફક તમે ગુફાઓમાં રહો.
 
29 “મોઆબ અતિ ગવિર્ષ્ઠ છે.
અમે તેના અભિમાન,
ઉદ્ધતાઇ અને તુમાખી વિષે સાંભળ્યું છે.”
 
30 યહોવા કહે છે, “મને પોતાને એની ઉદ્ધતાઇની ખબર છે.
તેની ડંફાસો બધી ખોટી છે,
અને તેનાં કાર્યો બધા પોકળ છે.
31 અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું.
સમગ્ર મોઆબ માટે હું પોકે પોકે રડું છું
અને કીરહેરેસના માણસો માટે હું શોક કરું છું.
32 દ્રાક્ષાવાડીઓથી ભરપૂર સિબ્માહના લોકો,
હું યાઝેરના કરતાં પણ તમારા માટે વધુ વિલાપ કરું છું.
કારણ કે વિનાશે તમારી ફેલાયેલી ડાળીઓને કાપી નાખી છે
અને તમારી દ્રાક્ષાઓ તથા ઉનાળાનાં ફળોની ફસલને લઇ લીધી છે.
તેણે તમને ઉજ્જડ કરી મૂક્યા છે!
33 મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી
અને આનંદ અદ્રશ્ય થઇ ગયાં છે,
દ્રાક્ષારસના કોલુમાંથી દ્રાક્ષારસ વહેતો નથી.
દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં હવે કોઇ આનંદના પોકારો કરતું નથી.”
 
34 “તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે. 35 યહોવા કહે છે: મોઆબ જૂઠા દેવોની પૂજા કરતું હતું અને મૂર્તિઓ આગળ ધૂપ બાળતું હતું. તે સર્વ મેં બંધ કરાવી દીધું છે.” આ યહોવાના વચન છે.
36 “આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે મારા હૃદયમાં શોક છે. કારણ કે તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે. 37 હા, હરેક માણસનું માથું મૂડાયું છે અને બધા માણસની દાઢી બોડવામાં આવી છે. તેઓના હાથ કાપાઓથી ભરેલા છે. અને તેઓ સૌએ શણના વસ્રો પહેર્યા છે. 38 મોઆબને ઘેરઘેર અને ચોરેચૌટે પસ્તાવા સિવાય કશું નથી, કારણ, મેં મોઆબને જૂની અને નકામી બાટલીની જેમ તેના ચૂરેચૂરા કર્યા છે.” આ યહોવાના વચન છે.
39 “મોઆબ ભાંગી ગયું! રડો! મોઆબ શરમજનક રીતે પીછેહઠ કરે છે! મોઆબના બધા પડોશીઓ એની હાંસી ઉડાવે છે!” આ યહોવાના વચન છે.
 
40 કારણ કે આ યહોવા કહે છે, “જો, તેના શત્રુઓ એક ગરૂડની જેમ મોઆબ પર ચકરાવો લે છે,
અને તેની પર આક્રમણ કરે છે.
41 તેનાં નગરોનો નાશ થશે,
તેના મજબૂત કિલ્લાઓને કબજે કરવામાં આવશે.
પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીઓની જેમ
તેના શૂરવીર યોદ્ધાઓ ભયથી ધ્રૂજશે.
42 પછી મોઆબનું નામોનિશાન મિટાઇ જશે.
તેની પ્રજા નાશ પામશે, કારણ કે, તેમણે મારો યહોવાનો વિરોધ કર્યો છે.”
 
43 યહોવા કહે છે કે,
“અરે મોઆબ, તારા માર્ગમાં ભય, ફાંદો અને ખાડા તારી રાહ જોઇ રહ્યા છે.
44 જે કોઇ માણસ ભયનો માર્યો ભાગી જશે તે ખાડામાં પડશે,
જે ખાડામાંથી ઊભો થઇને બહાર આવશે તે પકડાઇ જશે,
મોઆબને સજા કરવાનો સમય આવશે
ત્યારે તેણે આ બધાંનો સામનો કરવો પડશે.”
આ યહોવાના વચન છે.
 
45 “નાસી ગયેલા અસહાય નિર્વાસિતો
હેશ્બોનની છાયા તળે વિસામો લે છે,
પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે.
સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે,
અને એ તોફાનીઓની ભૂમિને,
મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.
46 હે મોઆબ, આ તે તમારી કેવી દશા!
હે મોઆબના લોકો!
હે કમોશદેવના ભકતો, તમારું આવી બન્યું! કારણ,
તમારાં પુત્રો અને પુત્રીઓને કેદ પકડીને દેશવટે લઇ જવામાં આવ્યા છે.”
 
47 પરંતુ યહોવા કહે છે, “ભવિષ્યમાં હું મોઆબનું ભાગ્ય પલટી નાખીશ, હું મોઆબને સંસ્થાપિત કરીશ.”
અહીં મોઆબ અંગેનો ચુકાદો પૂરો થાય છે.