11
ઈસુ પ્રાર્થના કરતાં શીખવે છે
(માથ્થી 6:9-15)
એક વખત ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. જ્યારે ઈસુએ પ્રાર્થના કરવાની પૂરી કરી ત્યારે તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું, “યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. પ્રભુ તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો.”
ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરો:
 
‘ઓ બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું નામ સદા પવિત્ર મનાઓ.
અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું રાજ્ય આવો.
દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ.
અમે કરેલાં પાપ તું માફ કર,
કારણ કે અમે અમારા પ્રત્યેક અપરાધીઓને માફ કરીએ છીએ.
અને અમને પરીક્ષણમાં ના લાવો પણ ભૂંડાઇથી અમારો છૂટકો કર.’ ”
માગવાનું ચાલુ રાખો
(માર્ક 7:7-11)
5-6 પછી ઈસુએ તેઓને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ એક મોડી રાત્રે તમારા મિત્રને ઘરે જાય અને કહે, ‘મારો એક મિત્ર મારી મુલાકાતે શહેરમાં આવ્યો છે. પરંતુ મારી પાસે તેને ખવડાવવા કંઈ નથી. કૃપા કરીને મને ત્રણ રોટલી આપ,’ તમારો મિત્ર ઘરમાંથી જ ઉત્તર આપે છે, ‘ચાલ્યો જા, મને તકલીફ ન આપ! હમણા બારણું બંધ છે. હું અને મારા બાળકો પથારીમાં છીએ. હું હમણા ઊઠીને તને રોટલી આપી શકું તેમ નથી.’ હું તમને કહું છું કે તમે એના મિત્ર હોવા છતાં કદાચ તે ન ઊઠે, પણ તમારા સતત આગ્રહને કારણે તે અવશ્ય ઊઠશે અને તમને જરૂરી બધું જ આપશે. તેથી હું તમને કહું છું. માગવાનું ચાલુ રાખો, અને દેવ તમને આપશે. શોધવાનું ચાલુ રાખો અને તમે તે મેળવશો. બારણું ખખડાવવાનું ચાલું રાખો, અને બારણું તમારા માટે ઉઘડશે. 10 હા, જો એક વ્યક્તિ માંગવાનું ચાલુ રાખે છે તો તે વ્યક્તિ મેળવશે. જો વ્યક્તિ શોધવાનું ચાલુ રાખે છે તો તેને મળે છે. જો વ્યક્તિ ખખડાવવાનું ચાલુ રાખે છે, તો તે વ્યક્તિ માટે બારણું ઉઘડશે. 11 તમારામાંથી કોઈને દીકરો છે? જો તમારો દીકરો તમારી પાસે એક માછલી માગશે તો તમે શું કરશો? શું કોઈ પિતા તેના પુત્રને સર્પ આપશે? ના! તમે તેને એક માછલી જ આપશો. 12 અથવા, જો તમારો દીકરો એક ઇંડુ માંગશે તો શું તમે તેને એક વીંછી આપશો? ના! 13 તમે બીજા લોકો જેવા જ છો, તમે ભૂંડા છો છતાં તમે જાણો છો કે તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી. તેથી તમારા આકાશમાંના બાપ જાણે છે. જે લોકો તેની પાસે માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે.”
ઈસુનું સાર્મથ્ય દેવ તરફથી
(માથ્થી 12:22-30; માર્ક 3:20-27)
14 એક વખતે ઈસુ માણસમાંથી ભૂતને બહાર કાઢતો હતો. તે માણસ વાત કરી શકતો ન હતો. જ્યારે દુષ્ટ આત્મા બહાર આવ્યો ત્યારે તે માણસ બોલી શક્યો. લોકો અચરત પામ્યા હતા. 15 કેટલાએક લોકોએ કહ્યું, “લોકોમાંથી ભૂતોને બહાર કાઢવા ઈસુ બાલઝબૂલની તાકાતનો ઉપયોગ કરે છે. બાલઝબૂલ ભૂતોનો સરદાર હતો.”
16 બીજા લોકો ઈસુનું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા. તેઓએ ઈસુની પાસેથી આકાશમાંથી નિશાની માગી. 17 તેઓ શું વિચારતા હતા તે જાણીને ઈસુએ લોકોને કહ્યું, “જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તેને નાશ થાય છે અને પરિવારના સભ્યો એકબીજા સાથે ઝઘડે તો તેથી તેમા ભાગલા પડે છે. 18 તેથી જો શેતાન પોતાની સામે થયેલો હોય તો તેનું રાજ્ય કેવી રીતે ટકી શકે? તમે કહો છો કે ભૂતોને બહાર કાઢવામાં હું બાલઝબૂલની શક્તિનો ઉપયોગ કરું છું. 19 પણ જો હું બાલઝબૂલની શક્તિથી ભૂતોને બહાર કાઢતો હોઉં તો કમારા લોકો કઈ શક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ ભૂતોને બહાર કાઢે છે? તેથી તમારા પોતાના લોકો જ સાબિત કરે છે કે તમે ખોટા છો. 20 પણ હું તો ભૂતોને કાઢવા માટે સાર્મથ્યનો ઉપયોગ કરું છું, આ બતાવે છે કે દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે!
21 “જ્યારે બળવાન માણસ ઘણા હથિયારોથી પોતાનું ઘર સાચવે છે ત્યારે તેના ઘરમાં વસ્તુઓ સલામત રહે છે. 22 પણ ધારો કે બીજો મજબૂત માણસ આવે છે અને તેને હરાવે છે, તે જેના પર પ્રથમ માણસે તેના ઘરને સલામત રાખવા વિશ્વાસ કર્યો હતો તે હથિયારો તે મજબૂત માણસ લઈ જશે. પછી વધારે મજબૂત માણસ બીજા માણસોની માલમિલ્કત બાબતે તેની ઈચ્છા પ્રમાણે કરે છે.
23 “જે વ્યક્તિ મારા પક્ષનો નથી તે મારી વિરૂદ્ધ છે. જે માણસ મારી સાથે કામ કરી શકતો નથી તે મારી વિરૂદ્ધ કામ કરે છે.”
ખાલી માણસ
(માથ્થી 12: 43-45)
24 “જ્યારે માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર આવે છે, પછી નિર્જળ પ્રદેશોમાં આરામ માટેની જગાની શોધમાં તે ભટકતો ફરે છે. પણ તે આત્માને આરામ માટેની જગ્યા મળતી નથી. તેથી આત્મા કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તે જ ઘરમાં હું પાછો જઇશ.’ 25 જ્યારે આત્મા પેલા માણસ પાસે પાછો આવે છે, ત્યારે તેનું અગાઉનું ઘર સ્વચ્છ અને સુશોભિત જુએ છે. 26 પછી તે અશુદ્ધ આત્મા બહાર જાય છે અને તેના કરતાં વધારે દુષ્ટ સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે. પછી બધાજ અશુદ્ધ આત્માઓ તે માણસમાં પ્રવેશીને ત્યાં જ રહે છે અને પેલા માણસની હાલત પહેલાં કરતાં વધારે ભૂંડી બને છે.”
સાચા સુખી લોકો
27 જ્યારે ઈસુએ વાતો કહી, ત્યારે એક સ્ત્રીએ ટોળામાંથી ઈસુને મોટા અવાજે કહ્યું, “તારી માતાને ધન્ય છે, કારણ કે તેણે તને જન્મ આપ્યો અને તને ધવડાવ્યો.”
28 પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.”
અમને સાબિતી આપો
(માથ્થી 12:38-42: માર્ક 8:12)
29 લોકોનો સમૂહ મોટો ને મોટો થતો ગયો. ઈસુએ કહ્યું, “આજે જે લોકો જીવે છે તેઓ દુષ્ટ છે, તેઓ દેવની પાસેથી એંધાણી રુંપે કોઈ ચમત્કાર માંગે છે, પણ તેઓને એંધાણીરુંપે કોઈ ચમત્કાર આપવામાં આવશે નહિ. યૂનાને જે ચમત્કાર થયો તે જ ફક્ત એંધાણી હશે. 30 નિનવેહમાં રહેતા લોકોને માટે યૂના જ નિશાની હતો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. આ સમયના લોકો માટે માણસનો દીકરો જ નિશાની થશે.
31 “ન્યાયના દિવસે દક્ષિણની રાણી* આ પેઢીના માણસો સાથે ઊભી રહેશે. તે બતાવશે કે તેઓ ખોટા છે. શા માટે? કારણ કે દૂર દૂરથી તે સુલેમાનનું જ્ઞાન ધ્યાનથી સાંભળવા આવી. અને હું તમને કહું છું કે હું સુલામાન કરતા મોટો છું.
32 “ન્યાયના દિવસે નિનવેહની આ પેઢીના માણસો લોકો સાથે ઊભા રહેશે અને તેઓ બતાવશે કે તમે દોષિત છો. શા માટે? કારણ કે જ્યારે યૂના પેલા લોકોને ઉપદેશ આપતો હતો ત્યારે તેઓએ પસ્તાવો કર્યો. હું તમને કહું છું કે, હું યૂના કરતાં વધારે મોટો છું.
જગત માટે પ્રકાશ બનો
(માથ્થી 5:15; 6:22-23)
33 “કોઈ પણ વ્યક્તિ દીવો લઈને તેને વાસણ નીચે સંતાડી મૂકશે નહિ. તેને બદલે તે દીવી પર મૂકે છે તેથી ઘરમાં પ્રવેશનારા તે જોઈ શકે. 34 તારી આંખ તારા શરીર માટે દીવો છે. જો તારી આંખો સારી હશે તો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. પણ જો તારી આંખો ખરાબ હશે તો તારું આખુ શરીર અંધકારથી ભરેલું હશે. 35 માટે સાવધાન રહે, તારામાં રહેલા પ્રકાશને અંધકાર થવા દઇશ નહિ. 36 જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે અને તેનો કોઈ ભાગ અંધકારરૂપ નહિ હોય તો તે બધું તેજસ્વી થશે. જેમ દીવો તને પ્રકાશ આપે છે તેમ.”
ઈસુ ફરોશીઓની ટીકા કરે છે
(માથ્થી 23:1-36; માર્ક 12:38-40; લૂક 20:45-47)
37 ઈસુએ બોલવાનું પૂરું કર્યા પછી ફરોશીએ ઈસુને પાતાની સાથે જમવા બોલાવ્યો તેથી ઈસુ આવ્યો અને મેજ પાસે બેઠો. 38 પણ ફરોશીને તે જોઈને આશ્ચર્ય થયું જ્યારે ઈસુએ જમતાં પહેલા તેના હાથ ધોયા નહિ. 39 પ્રભુએ (ઈસુ) તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પરંતુ તમારા અંતરમાં તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી વસ્તુઓ અને દુષ્ટતા છે. 40 તમે મૂર્ખ છો! જેણે (દેવ) બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ નથી બનાવ્યું શુ? 41 તેથી તમારી થાળીમાં અને વાટકામાં જે છે તે લોકોને જરૂર છે તેમને આપો, પછી તમે સંપૂર્ણ શુદ્ધ થશો.
42 “પણ તમે ફરોશીઓને અફસોસ છે. તમે દેવને તમારી પોતાની બધી વસ્તુઓનો દશમો ભાગ આપો છો, તમે તમારા બાગમાં થતી ફુદીનાનો, સિતાબનો તથી બીજા નાના છોડનો દશાંશ જ આપો છો. પણ તમે બીજા લોકો તરફ ન્યાયી થવાનું અને દેવને પ્રેમ કરવાનું ભૂલી જાઓ છો. તમારે આ પ્રમાણે કરવું જોઈએ, અને પેલી બીજી બાબતો જેવી કે દશમો ભાગ આપવાનું પણ ચાલુ રાખવું જોઈએ.
43 “ફરોશીઓ તમારે માટે અફસોસની વાત છે કારણ કે તમે સભાસ્થાનોમાં માનવંત સ્થાનોને ચાહો છો, અને રસ્તે જતાં લોકો તમને સલામ કરીને માન આપે એવું તમે ચાહો છો. 44 તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.”
45 પંડિતોમાંના એકે ઈસુને કહ્યું, “ઉપદેશક, જ્યારે તમે ફરોશીઓ માટે આમ કહો છો, તેથી તમે અમારા સમૂહની પણ ટીકા કરો છો.”
46 ઈસુએ ઉત્તર આપ્યો, “તમને અફસોસ છે! તમે પંડિતો છો! કારણ કે તમે એવા કડક કાયદાઓ બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોને માટે ઘણું કઠિન છે. તમે બીજા લોકોને તે કાયદાનું પાલન કરવા દબાણ કરો છો, પણ તમે તમારી જાતે તે કાયદાઓને અનુસરવાનો જરાય પ્રયત્ન કરતા નથી. 47 તમને અફસોસ છે કેમ કે તમે તમારા પૂર્વજોએ મારી નાંખેલા પ્રબોધકો માટે કબરો બાંધો છો. 48 અને હવે તમે બધા લોકોને બતાવો છો, તમે તમારા બાપ દાદાઓએ જે કર્યુ તેની સાથે સંમત છો. તેઓએ પ્રબોધકોને મારી નાંખ્યા છે, અને તમે પ્રબોધકો માટે કબર બાંધો છો! 49 તેથી દેવના જ્ઞાને પણ કહ્યું છે, ‘હું તેઓની પાસે પ્રબોધકો તથા પ્રેરિતોને મોકલીશ. મારા પ્રબોધકો અને પ્રેરિતોમાંના કેટલાએકને દુષ્ટ માણસો દ્ધારા મારી નાખવામાં આવશે. બીજાઓને સતાવવામાં આવશે.’
50 “તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે. 51 હાબેલની હત્યા માટે તમને શિક્ષા થશે. જે રીતે ઝખાર્યા જે વેદી અને મંદિરની વચ્ચે માર્યો ગયો હતો. હા, હું તમને કહું છું તમે લોકો જે હાલમાં જીવો છો તેઓને તે બધા માટે શિક્ષા થશે.
52 “ઓ પંડિતો, તમને અફસોસ છે! કેમ કે તમે દેવ વિષે શીખવાની ચાવી સંતાડી દીધી છે. તમે તમારી જાતે શીખતા નથી અને બીજાઓને પણ તે શીખવામાંથી અટકાવ્યા છે.”
53 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેને વધારે કષ્ટ આપવા લાગ્યા. તેઓ ઘણી બાબતો વિષે પ્રશ્રોના ઉત્તર આપવા માટે પ્રયત્ન કરીને ઈસુને ઉશ્કેરવા લાગ્યા. 54 ઈસુને કંઈ ખોટું બોલતાં પકડી શકાય તે માટે તક શોધવાનો તેઓ પ્રયત્ન કરતા હતા.
* 11:31 દક્ષિણની રાણી દક્ષિણની રાણી. તે સુલેમાન પાસે 1,000 માઈલની મૂસાફરી કરીને દેવનું જ્ઞાન (ડાહપણ) શીખવા માટે આવી. વાંચો 1 રાજા 10:1-13.