17
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકો પાપ કરે એવી ઘટનાઓ તો બનવાની જ. પણ જે માણસો દ્ધારા એ ઘટનાઓ બને છે તેને અફસોસ છે. જો કોઈ નિર્બળ માણસોમાંના કોઈ એકને પાપમાં નાખે તો તે માણસ માટે અફસોસ છે. તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બાંધીને તેને સાગરમાં ડૂબાડવામાં આવે તે તેને માટે વધારે સારું છે. તેથી સાવધાન રહો!
“જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર. જો તારો ભાઈ દિવસમાં સાત વાર કંઈ ખોટું કરે, અને દરેક વખતે તારી પાસે પાછો આવે અને કહે કે, હું દિલગીર છું. તો તું તેને માફ કર.”
તમારો વિશ્વાસ કેટલો મોટો છે?
પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધાર!”
પ્રભુએ કહ્યું, “જો તમને રાઇના દાણા જેટલો વિશ્વાસ હોય તો તને આ ગુલ્લર ઝાડને કહેતા કે, ‘તું ઊખડીને સમુદ્ધમાં રોપાઇ જા!’ અને તે ઝાડ તમારું માનત.
સારા સેવક બનો
“ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા’? ના! તમે તમારા નોકરને કહેશો, મારા માટે કંઈક ખાવાનું તૈયાર કર. પછી કપડાં પહેર અને મારી સેવા કર. જ્યારે હું ખાવા પીવાનું પુરું કરું પછી તું ખાજે. નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે. 10 તમારી સાથે એવું જ છે. જ્યારે તમને જે કરવાનું કહેવામાં આવ્યું છે તે જ બધું તમે કર્યુ છે ત્યારે તમારે કહેવું જોઈએ, ‘અમે ફક્ત અમારે જે કામ કરવાનું હતું તે જ કર્યું છે, અમે ખાસ મહેરબાનીને લાયક નથી.’ ”
આભારી બનો
11 ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો. 12 તે એક નાના ગામમાં તેને દશ માણસો મળ્યા હતા. આ માણસો ઈસુની નજીક આવ્યા નહિ, કારણ કે તે બધા રક્તપિત્તિયા હતા. 13 પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!”
14 જ્યારે ઈસુએ માણસોને જોયા, તેણે કહ્યું કે, “જાઓ તમે તમારાં શરીરને યાજકોને દેખાડો.”
જ્યારે દશ માણસો યાજકો પાસે જતા હતા ત્યારે, તેઓ સાજા થયા. 15 જ્યારે તેઓના એક માણસે જોયું કે તે સાજો થયો હતો, તે ઈસુ પાસે પાછો ગયો. તેણે મોટા અવાજે દેવની સ્તુતિ કરી. 16 તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.) 17 ઈસુએ ઉત્તર આપ્યો, “દશ માણસો સાજા થયા હતા; બીજા નવ ક્યાં છે? 18 દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?” 19 પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તું જઇ શકે છે. તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”
દેવનું રાજ્ય તમારામાં છે
(માથ્થી 24:23-28; 37-41)
20 કેટલાએક ફરોશીઓએ ઈસુને પૂછયું, “દેવનું રાજ્ય ક્યારે આવશે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “દેવનું રાજ્ય આવે છે પણ તમે તમારી આખો વડે જોઈ શકો તે રીતે નહિ. 21 લોકો કહેશે નહિ, ‘જુઓ, અહી દેવનું રાજ્ય છે!’ અથવા ‘ત્યાં તે છે!’ ના, દેવનું રાજ્ય તો તમારામાં છે.”
22 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એવો સમય આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છશો પણ તમે જોઈ શકશો નહિ. 23 લોકો તમને કહેશે, ‘જુઓ ત્યાં તે છે!’ જુઓ, અહીં તે છે! તમે જ્યાં છો ત્યાં જ રહો; દૂર જશો ના અને શોધશો ના.
ઈસુ જ્યારે ફરીથી આવશે
24 “જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે તમે તે જાણી શકશો. જે દિવસે તે આવશે ત્યારે તે આકાશમાં વીજળીના ઝબકારાની જેમ પ્રકાશસે. 25 પણ તે પહેલા માણસના દીકરાને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીના લોકો દ્ધારા તેનું મરણ થશે.
26 “જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27 નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો.
28 “લોતના સમય દરમ્યાન પણ એમ જ થયું, જ્યારે દેવે સદોમનો નાશ કર્યો ત્યાં સુધી પેલા લોકો ખાતા, પીતા, ખરીદતા, વેચતા, રોપતા, અને તેઓના માટે મકાનો બાંધતા હતાં. 29 જ્યારે લોતે શહેર છોડ્યું ત્યારે તે દિવસે પણ લોકો આ બધું કરતા હતા. પછી આકાશમાંથી અજ્ઞિવર્ષા થઈ અને ગંધકનો વરસાદ થયો અને બધાનો નાશ થયો. 30 જે દિવસે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે પણ એમ જ બનશે.
31 “તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ. 32 યાદ કરો, લોતની પત્નીનું શું થયું?
33 “જે માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે જીવ ગુમાવશે અને જે કોઈ માણસ તેનો જીવ આપશે, તે બચાવી શકશે. 34 જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે. 35 જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે.” 36  *
37 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રભુ! આ ક્યાં થશે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં મડદું હોય, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”
* 17:36 કેટલીક લૂકની ગ્રીક નકલોમાં 36મી કલમ ઉમેરી છે: “બે માણસો એક ખેતરમાં હશે. એક માણસ ઉચકી લેવાશે, અને બીજો માણસ પડતો મૂકાશે.”