3
યમિર્યાનો યહોવામાં વિશ્વાસ અને પશ્ચાતાપ 
 
1 હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના  
દંડાનો માર અનુભવ્યો છે.   
2 હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર  
દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.   
3 ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને  
આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.   
4 તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે.  
તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.   
5 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી  
તેણે મને કેવો રૂંધી નાખ્યો છે!   
6 મરી ગયેલા માણસની જેમ.  
તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.   
7 હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે.  
અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.   
8 જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું,  
ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.   
9 તેણે ઘડેલા પથ્થરોથી મારા માગોર્ને બંધ કર્યા છે  
અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.   
10 તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે,  
સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.   
11 મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે.  
તેણે મારા ટૂકડે-ટૂકડા કરીને મને ત્યાં પડ્યો રહેવા દીધો છે.   
12 તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે  
અને તેને મારી સામે તાક્યું છે.   
13 તેણે પોતાના જ ભાથાનાં બાણોથી.  
મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે.   
14 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું;  
અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.   
15 તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે.  
તેણે મને કટુઝેરથી ભરી દીધો છે.   
16 વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે,  
તેણે મને રાખમાં રગદોળી દીધો છે.   
17 મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે,  
સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું.   
18 હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે  
અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે.   
19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,  
અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.   
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;  
અને હું નાહિમ્મત થઇ જાઉં છું.   
21 એ હું મનમાં લાવું છું  
અને તેથી જ હું આશા રાખું છું.   
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ  
તેની દયાનો પણ અંત આવ્યો નથી.   
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,  
માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.   
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.  
તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”   
   
 
25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે.  
તેમના માટે યહોવા સારો છે.   
26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે  
તેની રાહ જોવી તે સારું છે.   
27 હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની  
ઝૂંસરી ઉપાડે એમાંજ એનું કલ્યાણ છે.   
28 જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે,  
તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ.   
29 ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે,  
ત્યાં હજી પણ કદાચ આશા હશે.   
30 જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે;  
અને બધા અપમાન વેઠી લો.   
31 યહોવા આપણને કદી  
પણ નકારશે નહિ.   
32 કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે;  
છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે.   
   
 
33 તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી,  
અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી.   
34 જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા  
કચડી નાંખવામાં આવે છે ત્યારે,   
35 જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે,  
“પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે.”   
36 જ્યારે પણ ન્યાય થતો નથી,  
યહોવાને તે મંજૂર નથી.   
37 યહોવાની આજ્ઞા વિના  
કોનું ધાર્યું થાય છે?   
38 પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ  
અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે.   
39 પાપની સજા સામે કોઇ માણસે  
શા માટે ફરિયાદ કરવી જોઇએ?   
40 આપણી રીતભાત તપાસીએ અને  
કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.   
   
 
41 આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી.  
સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.   
42 અમે બળવો કરીને અપરાધ કર્યો છે;  
અને તમે અમને માફ કર્યા નથી.   
43 રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે  
અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે.   
44 તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો;  
જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ.   
45 તમે અમને પ્રજાઓની વચમાં.  
કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.   
46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા  
સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.   
47 અમે ભયભીત થયા છીએ,  
જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે.  
અમે એકલા છીએ  
અને ભાંગી પડ્યા છીએ.   
48 મારા લોકોનો વિનાશ જોઇને મારી  
આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.   
49 યહોવા આકાશમાંથી  
દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી.   
50 નિરંતર મારી  
આંખમાંથી આંસુઓ વહે છે.   
51 મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા  
જોઇને મારી આંખો સૂજી ગઇ છે.   
52 તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે  
અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે.   
53 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે  
અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.   
54 મારા માથા પર પાણી ફરી વળ્યાં  
અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”   
55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી.  
મેં તમારા નામનો પોકાર કર્યો.   
56 હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ  
સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.   
57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા,  
અને કહ્યું પણ ખરુ કે, “ડરીશ નહિ.”   
58 હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે  
અને મારું જીવન બચાવ્યું છે.   
59 હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે.  
તમે મારો ન્યાય કરો.   
60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ,  
અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે.   
61 હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા  
તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.   
62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે.  
તમે તેમના કાવાદાવા જાણો છો.   
63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય,  
હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.   
64 હે યહોવા, તમે તેમના હાથની  
કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.   
65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો  
અને તેમના પર શાપ વરસાવજો.   
66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા!  
તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.