8
ઈસુ 4,000 થી વધારે લોકોને જમાડે છે 
 
(માથ્થી 15:32-39)  
1 બીજી વખતે ઈસુ સાથે ત્યાં ઘણા લોકો હતા. લોકો પાસે ખાવાનું ન હતું. તેથી ઈસુએ તેના શિષ્યોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું,  
2 “મને આ લોકોની દયા આવે છે. તેઓ મારી સાથે ત્રણ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કઈ ખાવાનું નથી.  
3 મારે તેઓને ઘેર ભૂખ્યા મોકલવા જોઈએ નહિ. જો તેઓ જમ્યા વિના જશે તો ઘરે જતાં તેઓ રસ્તામાં બેહોશ થઈ જશે. આ લોકોમાંના કેટલાક તો ખૂબ દૂરથી અહીં આવ્યા છે.”   
4 ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, “પરંતુ આપણે કોઈ પણ ગામથી ઘણા દૂર છીએ. આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી મેળવી શકીએ?”   
5 પછી ઈસુએ તેઓને પૂછયું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે?”  
શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમારી પાસે સાત રોટલીઓ છે”   
6 ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ.  
7 તે શિષ્યો પાસે થોડી માછલીઓ હતી. ઈસુએ માછલી માટે સ્તુતિ કરી અને લોકોને માછલી આપવા શિષ્યોને કહ્યું.   
8 બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી.  
9 ત્યાં લગભગ 4,000 પુરુંષોએ ખાધુ. તેઓના ખાધા પછી ઈસુએ તેઓને ઘેર જવા માટે કહ્યું.  
10 ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં દલ્મનૂથાની હદમાં ગયો.   
ઈસુની કસોટી કરવાનો ફરોશીઓનો પ્રયત્ન 
 
(માથ્થી 16:1-4; લૂક 11:16, 29)  
11 ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્રો પૂછયા. તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેથી તેઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કહ્યું.  
12 ઈસુએ નિસાસો નાખ્યો. તેણે કહ્યું, “તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો? હું તમને સત્ય કહું છું. તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ.”  
13 પછી ઈસુ ફરોશીઓને છોડીને હોડીમાં બેસીને પેલે પાર ગયો.   
ઈસુની યહૂદિ આગેવાનો વિરૂદ્ધ ચેતવણી 
 
(માથ્થી 16:5-12)  
14 તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા.  
15 ઈસુએ તેમને ચેતવણી આપી, “સાવધાન રહો! ફરોશીઓના ખમીર અને હેરોદના ખમીરથી સાવધ રહો.”   
16 શિષ્યોએ આના અર્થની ચર્ચા કરી. તેઓએ કહ્યું, “તેણે આ કહ્યું કારણ કે આપણી પાસે રોટલી નથી.”   
17 ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, “શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી?  
18 શું તમારી પાસે જે આંખો છે તે આ જોઈ શકતી નથી? શું તમારી પાસે જે કાન છે તે સાંભળી શક્તા નથી? યાદ કરો મેં અગાઉ શું કર્યું હતુ. જ્યારે આપણી પાસે પૂરતી રોટલી ન હતી.  
19 મેં પાંચ રોટલીમાંથી 5,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓ વડે કેટલી ટોપલીઓ ભરી હતી?”  
તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે બાર ટોપલીઓ ભરી હતી.”   
20 “અને યાદ કરો કે મેં સાત રોટલીમાંથી 4,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?”  
તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે સાત ટોપલીઓ ભરી હતી.”   
21 પછી ઈસુએ તેઓને કહ્યું, “મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?”   
ઈસુનું બેથસૈદામાં આંધળા માણસને સાજા કરવું 
 
22 ઈસુ અને તેના શિષ્યો બેથસૈદામાં આવ્યા. કેટલાએક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તે માણસને સ્પર્શ કરવા ઈસુને વિનંતી કરી.  
23 તેથી ઈસુએ તે આંધળા માણસનો હાથ પકડ્યો અને તેને ગામની બહાર દોરી ગયા. પછી ઈસુ તે માણસની આંખો પર થૂંક્યો. ઈસુએ તેના હાથ આંધળા માણસ પર મૂક્યા અને તેને કહ્યું, “હવે તું જોઈ શકે છે?”   
24 આંધળા માણસે ઊંચુ જોયું અને કહ્યું, “હા, હું લોકોને જોઈ શકું છું. તેઓ આજુબાજુ ચાલતા વૃક્ષો જેવા દેખાય છે.”   
25 ફરીથી ઈસુએ તેનો હાથ આંધળા માણસની આંખો પર મૂક્યો. પછી તે માણસે તેની આંખો પહોળી કરીને ખોલી. તેની આંખો સાજી થઈ ગઈ, અને તે દરેક વસ્તુ સ્પષ્ટતાપૂર્વક જોઈ શકતો હતો.  
26 ઈસુએ તેને ઘેર જવા કહ્યું. ઈસુએ કહ્યું, “ગામમાં જઈશ નહિ.”   
પિતર કહે છે ઈસુ એ જ ખ્રિસ્ત છે 
 
(માથ્થી 16:13-20; લૂક 9:18-21)  
27 ઈસુ અને તેના શિષ્યો કૈસરિયા ફિલિપ્પીનાં ગામડાઓમાં ગયા. જ્યારે તેઓ મુસાફરી કરતા હતા, ઈસુએ શિષ્યોને પૂછયું, “હું કોણ છું, એ વિષે લોકો શું કહે છે?”   
28 શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાક લોકો તને યોહાન બાપ્તિસ્ત કહે છે. બીજા કેટલાક લોકો તને એલિયા કહે છે. અને બીજા કેટલાક લોકો કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે.”   
29 પછી ઈસુએ પૂછયું, “હું કોણ છું એ વિષે તમે શું કહો છો?”  
પિતરે ઉત્તર આપ્યો, “તુ તો ખ્રિસ્ત છે.”   
30 ઈસુએ તેના શિષ્યોને કડકાઇથી કહ્યું: “હું કોણ છું તે કોઈને કહેવું નહિ.”   
ઈસુના મરણની આગાહી 
 
(માથ્થી 16:21-28; લૂક 9:22-27)  
31 પછી ઈસુએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ. કે માણસના પુત્રે ઘણું બધું સહન કરવું જોઈએ. ઈસુએ બોધ આપ્યો કે માણસનો પુત્ર, વડીલ યહૂદિ આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્ધારા નાપસંદ થશે. ઈસુએ બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંખાશે અને પછી મૃત્યુમાંથી ત્રણ દિવસો પછી તે ઊભો થશે.  
32 ઈસુએ તેઓને દરેક જે બનવાનું હતું તે કહ્યું. તેણે કશુંય ગુપ્ત રાખ્યું નહિ. પિતર ઈસુને બાજુમાં લઈ ગયો અને વાતો કહેવા માટે તેને ઠપકો આપવા લાગ્યો.  
33 પણ ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ જોયું. પછી તેણે પિતરને ઠપકો આપ્યો. ઈસુએ પિતરને કહ્યું, “શેતાન! મારી પાસેથી દૂર જા, તું દેવની વાતોની પરવા કરતો નથી. તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે તેની જ કાળજી રાખે છે.”   
34 પછી ઈસુએ લોકોને તેની પાસે બોલાવ્યા. તેના શિષ્યો પણ ત્યાં હતા. પછી ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ મને અનુસરવા ઈચ્છે તો તેણે જે વસ્તુઓ તે ઈચ્છે છે તેની ‘ના’ કહેવી જોઈએ. તે વ્યક્તિએ વધસ્તંભ (પીડા) સ્વીકારવો જોઈએ જે તેને આપવામાં આવેલ છે, અને તેણે મને અનુસરવું જોઈએ.  
35 જે વ્યક્તિ તેનું જીવન બચાવવા ઈચ્છે છે તે ગુમાવશે. અને પ્રત્યેક વ્યક્તિ જે મારા માટે અને સુવાર્તા માટે તેનું જીવન આપે છે, તે હંમેશને માટે તેનું જીવન બચાવશે.  
36 જો કોઈ વ્યક્તિ આખું જગત જીતે છે પણ તેનું જીવન ગુમાવે છે તો તેને કઈ રીતે લાભદાયી છે?  
37 વ્યક્તિ ફરીથી તેનો જીવ ખરીદવા કદાપિ કશું પૂરતું આપી શકતો નથી.  
38 જે લોકો હમણા જીવે છે; તેઓ પાપી અને દુષ્ટ સમયમાં જીવે છે. જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે હું જ્યારે મારા પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવીશ, ત્યારે તે વ્યક્તિથી શરમાઈશ.”