27
ઈસુને પિલાત હાકેમ પાસે સુપ્રત કરવા લઈ જાય છે
(માર્ક 15:1; લૂક 23:1-2; યોહાન 18:28-32)
બીજા દિવસની વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા અને ઈસુને મારી નાખવાની યોજના કરી. તેઓએ ઈસુને સાંકળોએ બાંધ્યો. પછી તેને લઈ જઈને પિલાત હાકેમને સુપ્રત કર્યો.
યહૂદાનું પોતાની જાતે મરણ પામવું
(પ્રેરિતોનાં કૃત્યો 1:18-19)
યહૂદાએ જોયું કે તેઓએ ઈસુને મારી નાખવાનું નક્કી કર્યુ છે. યહૂદા ઈસુને તેના દુશ્મનોને સોંપનારાઓમાંનો એક હતો. જ્યારે યહૂદાઓ શું બન્યું તે જોયું ત્યારે તેણે જે કંઈ કર્યુ હતું તે માટે ઘણો દિલગીર થયો. તેથી તે મુખ્ય યાજકો તથા વડીલ આગેવાનો પાસે 30 ચાંદીના સિક્કા પાછા લાવ્યો. યહૂદાએ કહ્યું, “મેં પાપ કર્યુ છે, મે એક નિર્દોષ માણસને મારી નાખવા આપ્યો છે.”
યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો, “અમને કોઈ ચિંતા નથી! તે પ્રશ્ન તારો છે. અમારો નથી.”
તેથી યહૂદાએ પૈસા મંદિરમાં ફેંક્યા. પછી યહૂદાએ તે સ્થળ છોડ્યું અને પોતે જાતે લટકીને ફાંસો ખાધો.
મુખ્ય યાજકોએ મંદિરમાંથી ચાંદીના સિક્કા ઊંચકી લીઘા. તેઓએ કહ્યું, “અમારો કાયદો આ પૈસાને મંદિરના ભંડારમાં રાખવાની પરવાનગી આપતો નથી, કારણ કે આ પૈસા માણસના મરણ માટે આપવામાં આવ્યા છે.” તેથી તેઓએ એક ખેતર જે કુંભારના ખેતરના નામે ઓળખાય છે તે આ પૈસાથી ખરીદવાનું નક્કી કર્યુ. જે લોકો યરૂશાલેમની મુલાકાતે આવતાં મરણ પામતાં તેઓને માટે દફનાવવાની જગ્યા તરીકે તે ખેતર ઉપયોગમાં લેવાશે. તેના કારણે હજુ પણ તે લોહીના ખેતર તરીકે ઓળખાય છે. તેથી પ્રબોધક યર્મિયાએ જે કહ્યું તે આ રીતે વચન પૂરું થયું:
 
“તેઓએ 30 ચાંદીના સિક્કા લીધા. તેના જીવન માટે યહૂદિ લોકોએ આ કિંમત ઠરાવેલી હતી. 10 તેઓએ તે 30 ચાંદીના સિક્કાઓનો કુંભારનું ખેતર ખરીદવા માટે ઉપયોગ કર્યો. પ્રભુએ તેનો મને હુકમ કર્યો હતો.”*
હાકેમ પિલાત ઈસુને પ્રશ્ન કરે છે
(માર્ક 15:2-5; લૂક 23:3-5; યોહાન 18:33-38)
11 ઈસુ હાકેમ પિલાત સમક્ષ ઊભો રહ્યો. પિલાતે તેને પ્રશ્ર્નો પૂછયાં, તેણે કહ્યું, “શું તું યહૂદિઓનો રાજા છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું છું.”
12 જ્યારે મુખ્ય યાજક અને વડીલ યહૂદિ આગેવાનોએ ઈસુ પર આરોપો મૂક્યા. તેણે કંઈ જ કહ્યું નહિ.
13 તેથી પિલાતે ઈસુને કહ્યું, “તું આ લોકોને તારી આ બધી બાબતો માટે આરોપ મૂકતા સાંભળે છે, તું શા માટે ઉત્તર આપતો નથી?”
14 પરંતુ ઈસુએ પિલાતને ઉત્તરમાં કંઈ જ કહ્યું નહિ. આથી પિલાત ઘણો જ આશ્ચર્યચકિત થયો.
પિલાત ઈસુને મુક્ત કરવાના પ્રયત્નમાં નિષ્ફળ
(માર્ક 15:6-15; લૂક 23:13-25; યોહાન 18:39-19:16)
15 પ્રતિ વર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ કેદમાંથી એક વ્યક્તિને મુક્ત કરતો. હંમેશા લોકો જે વ્યક્તિને ઈચ્છે તેને મુક્ત કરવામાં આવતો. 16 તે સમયે ત્યાં કેદમાં એક માણસ હતો જે ઘણો કુખ્યાત હતો. તેનું નામ બરબ્બાસ હતું.
17 બધા લોકો પિલાતને ઘરે ભેગા થયા. પિલાતે લોકોને કહ્યું, “હું તમારા માટે એક માણસને મુક્ત કરીશ. તમે ક્યા માણસને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો? બરબ્બાસ કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” 18 પિલાતે જાણ્યું કે લોકોએ ઈસુને અદેખાઈને કારણે તેને સોંપ્યો.
19 પિલાત જ્યારે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેણે આ બાબતો કહીં. જ્યારે તે ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો. સંદેશામાં કહ્યું, “તે માણસ સાથે કંઈ જ કરીશ નહિ, તે માણસ નિર્દોષ છે. આજે મને તેના વિષે સ્વપ્ન આવ્યું હતું, અને તેનાથી મને ઘણું દુ:ખ થયું.”
20 પરંતુ મુખ્ય યાજકો અને વડીલ યહૂદી નેતાઓએ લોકોને સમજાવ્યા કે બરબ્બાસને મુક્ત કરવો અને ઈસુને મારી નાખવા વિનંતી કરો.
21 પિલાતે કહ્યું, “મારી પાસે બરબ્બાસ અને ઈસુ છે. મારી પાસેથી આ બેમાંથી તમારા માટે કોને મુક્ત કરાવવા ઈચ્છો છો?”
લોકોએ ઉત્તર આપ્યો, “બરબ્બાસને!”
22 પિલાતે પૂછયું, “તો જે એક ખ્રિસ્ત કહેવાય છે, મારે તેની સાથે શું કરવું જોઈએ?”
પણ બધા લોકોએ ઉત્તર આપ્યો, “તેને વધસ્તંભ પર મારી નાખો!”
23 પિલાતે પૂછયું, “તમે શા માટે મારી પાસે તેને મારી નંખાવવા ઈચ્છો છો? તેણે શું ખોટું કહ્યું છે.”
પરંતુ બધા લોકોએ મોટે સાદે બૂમો પાડવાનું ચાલું રાખ્યું, “તેને વધસ્તંભ પર મારી નાખો!”
24 પિલાતે જોયું કે લોકોને વિચાર બદલવા માટે તે કંઈ કરી શકે તેમ નથી અને તેણે જોયું કે લોકો બેચેન થઈ રહ્યા હતા. તેથી પિલાતે થોડું પાણી લઈને હાથ ધોયા. જેથી તે બધા લોકો જોઈ શકે. પછી પિલાતે કહ્યું, “હું આ માણસના મરણ માટે દોષિત નથી. તમે જ તેમાંના એક છો જે તે કરી રહ્યાં છો!”
25 બધા લોકોએ ઉત્તર આપ્યો, “અમે તેના મરણ માટે જવાબદાર છીએ. અમે અમારી જાત માટે, તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ.”
26 પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો. પિલાતે કેટલાક સૈનિકને ઈસુને ચાબુક વડે મારવા કહ્યું. પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને સુપ્રત કર્યો.
પિલાતના સૈનિકો ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરે છે
(માર્ક 15:16-20; યોહાન 19:2-3)
27 પછી પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા. બધા સૈનિકો ઈસુને આજુબાજુ ઘેરી વળ્યા. 28 સૈનિકોએ ઈસુનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં અને લાલ ઝભ્ભો તેને પહેરાવ્યો. 29 પછી સૈનિકો મુગટ બનાવવા માટે કાંટાળી ડાળીઓનો ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુનાં માથા પર મૂક્યો, અને તેના જમણાં હાથમાં તેઓએ એક લાકડી મૂકી. પછી તે સૈનિકો ઈસુ આગળ નમ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “ઓ યહૂદિઓના રાજા, સલામ!” 30 સૈનિકો ઈસુ પર થૂંક્યા. પછી તેઓએ તેની લાકડી લીધી અને તેને માથામાં ઘણી વાર મારી. 31 તેઓએ ઈસુની મશ્કરી કરી રહ્યા પછી, સૈનિકોએ ઝભ્ભો ઉતારી લીધો અને ફરીથી તેને તેનાં પોતાનાં કપડાં પહેરાવ્યા. પછી તેઓ ઈસુને વધસ્તંભ જડવા માટે દૂર લઈ ગયા.
વધસ્તંભ પર ઈસુનું મરણ
(માર્ક 15:21-32; લૂક 23:26-39; યોહાન 19:17-19)
32 સૈનિકો ઈસુ સાથે શહેરની બહાર જતા હતા. તે સૈનિકોએ બીજા માણસને ઈસુનો વધસ્તંભ લઈ જવા દબાણ કર્યુ. આ માણસનું નામ કુરેનીનો સિમોન હતું. 33 તેઓ ગુલગુથા નામના સ્થળે આવ્યા. (ગુલગુથાનો અર્થ ખોપરીની જગ્યા). 34 ગુલગુથામાં, સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા માટે આપ્યો. તે દ્રાક્ષારસમાં સરકો ભેળવેલો હતો. ઈસુએ દ્રાક્ષારસ ચાખ્યો પરંતુ તે પીવાની ના પાડી.
35 સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યો. પછી તેઓએ તેનાં લૂગડાં કોને મળે તે માટે સિક્કા ઉછાળ્યા. 36 સૈનિકો ત્યાં બેઠા અને ઈસુની ચોકી કરવા લાગ્યા. 37 સૈનિકોએ તેના વિરૂદ્ધનું તહોમતનામું ઈસુના માથા પર મૂક્યું, તેમાં લખેલું હતુ: “આ ઈસુ છે, જે યહૂદિઓનો રાજા છે.”
38 બે લૂટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર જડ્યા હતા. એક લૂટારાને ઈસુની જમણી બાજુએ અને બીજાને ડાબી બાજુએ રાખ્યો હતો. 39 ઈસુની બાજુમાંથી પસાર થતા લોકો તેની મશ્કરી કરતાં હતા. લોકોએ તેમના માથાં હલાવ્યા. 40 અને કહ્યું, “તેં કહ્યું હતું કે મંદિરનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધી શકે છે. તેથી તારી જાતને બચાવ! જો તું ખરેખર દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઉતર!”
41 મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો યહૂદિ આગેવાનો પણ ત્યાં હતા. આ માણસો પણ બીજા લોકોની જેમ ઈસુની મશ્કરી કરતાં હતા. 42 તેઓએ કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા, પણ તે તેની જાતને બચાવી શક્તો નથી. લોકો કહે છે તે ઈસ્રાએલનો રાજા છે. (યહૂદિઓનો) જો તે રાજા હોય તો તેને હવે વધસ્તંભ પરથી નીચે આવવું જોઈએ. પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું. 43 તેણે દેવમાં વિશ્વાસ મૂક્યો છે. દેવ તેને ખરેખર ઈચ્છતો હોય તો દેવને તેનો છૂટકારો કરવા દો. તેણે તેની જાતે કહ્યું છે કે, ‘હું દેવનો દીકરો છું.’ ” 44 અને તે જ રીતે, લૂંટરાઓ જે ઈસુની નજીક વધસ્તંભ પર મારી નંખાવા લટકાવવામાં આવ્યાં હતા તેમણે પણ ઈસુની મશ્કરી કરી.
ઈસુ મરણ પામે છે
(માર્ક 15:33-41; લૂક 23:44-49; યોહાન 19:28-30)
45 મધ્યાહને આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. આ અંધકાર ત્રણ કલાક ચાલુ રહ્યો. 46 લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજ સાથે બૂમ પાડી કે “એલી, એલી, લમા શબક્થની?” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો છોડી દીધો?”
47 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. લોકોએ કહ્યું, “તે એલિયાને બોલાવે છે.”
48 લોકોમાંના એકે ઝડપથી દોડીને એક વાદળી લીધી અને તેણે વાદળીને સરકાથી ભરી અને તે વાદળીને લાકડી સાથે બાંધી. પછી તેણે તે લાકડીનો ઉપયોગ કરીને ઈસુને વાદળી ચૂસવા માટે આપી. 49 પણ બીજા લોકોએ કહ્યું, “તેની (ઈસુ) ચિંતા કરશો નહિ. અમને જોવા દો કે એલિયા એને છોડાવવા આવે છે કે કેમ.”
50 ફરીથી ઈસુએ મોટા સાદે, બૂમ પાડી. પછી તે મરણ પામ્યો.
51 જ્યારે ઈસુ મરણ પામ્યો, ત્યારે મંદિરનો પડદો ઉપરથી નીચે બે ભાગમાં ફાટી ગયો. પડદો ટોચ પરથી શરૂ થઈ અને તે નીચે સુધી ફાટી ગયો અને ધરતી પણ કાંપી અને ખડકો ફાટી ગયા. 52 બધી કબરો ઉઘડી અને દેવના સંતોમાંના ઘણા જે મરણ પામ્યા હતા, તે ઊભા થયા. 53 ઈસુના મરણમાંથી ઊઠયા બાદ પેલા લોકો પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોએ તેને જોયો.
54 લશ્કરના અમલદારો અને તેના માણસો જે ઈસુની ચોકી કરતા હતા તેમણે ધરતીકંપ અને આ બધું થયેલું જોયું. તે ઘણા ગભરાઈ ગયા હતા અને કહ્યું, “ખરેખર તે દેવનો દીકરો હતો!”
55 ઘણી સ્ત્રીઓ વધસ્તંભથી દૂર ઊભી રહીને જોતી હતી. આ સ્ત્રીઓ ઈસુ સાથે ગાલીલમાંથી આવી હતી. અને તેની સેવા કરતી હતી. 56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબ તથા યોસેની મા મરિયમ, તથા ઝબદીના પુત્રોની મા હતી.
પ્રભુ ઈસુનું દફન
(માર્ક 15:42-47; લૂક 23:50-56; યોહાન 19:38-42)
57 તે સાંજે યૂસફ નામનો એક ધનવાન યરૂશાલેમમાં આવ્યો. અરિમથાઈના શહેરમાંથી યૂસફ ઈસુનો એક શિષ્ય હતો. 58 યૂસફ પિલાત પાસે ગયો અને ઈસુનો દેહ તેને આપવા કહ્યું. પિલાતે ઈસુનો દેહ યૂસફને આપવા માટે સૈનિકોને હુકમ કર્યો. 59 યૂસફે દેહ લીધા પછી શણના સફેદ વસ્ત્રોમાં વીટાંળ્યો. 60 યૂસફે ઈસુના દેહને એક નવી કબરમાં મૂક્યો. યૂસફે એક ખડકની દિવાલમાં તે કબર ખોદી હતી. પછી તેણે એક મોટા પથ્થરને ગબડાવી પ્રવેશદ્વારને ઢાંકી દીધું. આ પ્રમાણે કર્યા પછી યૂસફ ચાલ્યો ગયો. 61 મગ્દલાની મરિયમ અને મરિયમ નામની બીજી સ્ત્રી કબરની નજીક બેઠી હતી.
ઈસુની કબરની ચોકી
62 તે દિવસ સિદ્ધિકરણ દિવસ કહેવાતો હતો. બીજે દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા. 63 તેઓએ કહ્યું, “સાહેબ, અમે યાદ કરીએ છીએ કે, જ્યારે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ‘ત્રણ દહાડા પછી હું મરણમાંથી સજીવન થઈશ.’ 64 તેથી ત્રણ દહાડા સુધી કબરની ચોકી કરવાનો હુકમ કર. તેના શિષ્યો આવે અને કદાચ લાશને ચોરી જાય. પછી તેઓ લોકોને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આ ભૂલ તેઓએ પહેલા તેના વિષે જે કહ્યું હતું તેનાં કરતાં વધારે ખરાબ હશે.”
65 પિલાતે કહ્યું, “થોડાક સૈનિકો લઈ જાવ અને જાઓ અને તમે જે ઉત્તમ રીત જાણતા હોય તે રીતે કબરની ચોકી કરો.” 66 તેથી તેઓ બધા કબર પાસે ગયા અને તેને ચોકીદારોથી સુરક્ષિત કરી. તેઓએ કબરના મુખ પર મોટો પથ્થર મૂકી સીલ માર્યું અને ત્યાં રક્ષણ માટે ચોકીદારો મૂક્યા.
* 27:10 “તેઓએ … કર્યો હતો” ઝખાર્યા 11:12-13; યર્મિ 32:6-9