4
ઈસુનું પરીક્ષણ
(માર્ક 1:12-13; લૂક 4:1-13)
પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો. ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ. આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો. ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે, “જો તું દેવનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”
ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે, “ધર્મશાસ્ત્રમા* લખ્યું છે કે,
 
‘માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ
દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે.’ ” પુનર્નિયમ 8:3
 
પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે. પછી શેતાને કહ્યું કે, “જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર. શા માટે? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે,
 
‘દે પોતાના દૂતોને આજ્ઞા કરશે,
અને તેમના હાથમાં તને ઝીલી લેશે,
જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ.’ ” ગીતશાસ્ત્ર 91:11-12
 
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે,
 
‘પ્રભુ તારા દેવની પરીક્ષણ તું ન કર.’ ” પુનનિયમ 6:16
 
પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું. તેણે કહ્યુ, “જો તું પગે પડીને મારું ભજન કરીશ, તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ.”
10 ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે,
 
‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર.
ફક્ત તેની જ સેવા કર!’ ” પુનર્નિયમ 6:13
 
11 પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો, ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા.
ગાલીલમાં ઈસુનાં સેવા કાર્યો
(માર્ક 1:14-15; લૂક 4:14-15)
12 ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી તે ગાલીલ પાછો ગયો. 13 તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો. 14 યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ:
 
15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં,
સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં,
યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે.
16 જેઓ અંધકારમાં જીવતા હતાં.
પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો;
તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી
પર જીવે છે તેમના માટે આવ્યો છે.” યશાયા 9:1-2
 
17 ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો, તેણે કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે.”
ઈસુ દ્વારા કેટલાક પ્રેરિતોની પસંદગી
(માર્ક 1:16-20; લૂક 5:1-11)
18 ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન (જે પિતર કહેવાતો) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ જાળથી માછલા પકડતા હતાં. તેઓ માછીમાર હતા. 19 ઈસુએ કહ્યું, “ચાલો મારી પાછળ આવો. હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ. તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે.” 20 તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં.
21 ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો. 22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા.
ઈસુ બોધ કરે છે અને લોકોને સાજા કરે છે
(લૂક 6:17-19)
23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 24 ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા, આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને, તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં; અને ઈસુએ તે બધાને સાજા કર્યા. 25 આથી ગાલીલથી તથા દશનગરથી§ તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.
* 4:4 ધર્મશાસ્ત્ર પવિત્ર લખાણ – જૂનો કરાર. 4:14 પ્રબોધક દેવને માટે બોલનાર વ્યક્તિ. કેટલીક વખત ભવિષ્યમાં શું થનાર છે તે બાબતો પણ પ્રબોધક કહેતો. 4:23 સભાસ્થાનોમાં યહૂદિઓનું પ્રાર્થના માટે એકઠા મળવાનું સ્થળ જયાં જાહેર સભાઓ અને પવિત્રશાસ્ત્રના અભ્યાસ માટે પણ મળતા. § 4:25 દશનગર ગ્રીકમાં “દેકાપોલીસ.” ગાલીલ સમુદ્રની પૂર્વમાં આ પ્રદેશ આવેલો છે. એક સમયે ત્યાં દસ મુખ્ય નગરો હતાં.