5
નહેમ્યાએ ગરીબોને મદદ કરી
તે વખતે યહૂદીઓ વિરૂદ્ધ લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે જબરો મોટો પોકાર કર્યો. એમાંના કેટલાક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ; અમને અનાજ આપો કે જેથી અમે તેને ખાઇને જીવતાં રહીએ.”
તો બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમે આ દુકાળમાં અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકી રહ્યાં છીએ.”
તો વળી બીજા કેટલાક એમ કહેવા લાગ્યા કે, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાઁ ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ સામે કરજ લીધું છે. અને જોકે અમે અને અમારા સગાંવહાંલા સરખાંજ રકતમાંસના બનેલા છીએ અને અમારાં બાળકો તેમના જેવાઁ જ છે, તેમ છતાં અમારે અમારાં પુત્રપુત્રીઓને ગુલામ તરીકે વેચવા પડે છે. અને અમારી કેટલીક પુત્રીઓ પર બળાત્કાર પણ થયો છે. અમે તદૃન નિરુપાય છીએ; કારણકે બીજા લોકો અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બની બેઠાં છે.”
તેઓની આ ફરીયાદ સાંભળીને હું બહુ ક્રોધિત થયો, ત્યારે મેં મનમાં વિચાર કર્યો અને ઉમરાવો તથા અમલદારો સામે આરોપ મૂકીને કહ્યું કે, “તમે બધા પોતાના સગાંવહાંલા પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેનું નિવારણ કરવાં તે બધાંની સભા બોલાવી, “અને તેમને કહ્યું કે, પરદેશીઓને ગુલામ તરીકે વેચાઇ ગયેલા યહૂદીઓને અમે બને ત્યાં સુધી છોડાવતા આવ્યા છીએ; અને હવે તમે જ તમારા પોતાના જ ભાઇઓને ગુલામ તરીકે વેચી રહ્યાં છો, જેમને અમારે જ છોડાવવા પડશે ને?”
તેઓ મૂંગા થઇ ગયા અને કંઇ બોલી ન શક્યા. વળી મેં કહ્યું કે, “તમે આ બધું ખોટું કરી રહ્યા છો! શું તમારે દેવથી ડરીને ચાલવું નથી જેથી આપણા શત્રુઓ વિદેશીઓ આપણી હાંસી ન ઉડાવે. 10 તે ઉપરાંત હું, મારા સગાવહાલાં તથા મારા સેવકો, તેઓને પૈસાને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે તમે વ્યાજ લેવાનું બંધ કરો. 11 અને હવે મહેરબાની કરીને અત્યારે જ તેમનાઁ ખેતરો, દ્રાક્ષની વાડીઓ, જૈતૂનના બગીચા અને તેમનાં ઘરબાર પાછાં આપી દો, અને તેમની પાસે તમારું જે કઇં લેણું હોય, પછી એ નાણાં હોય, અનાજ હોય, દ્રાક્ષારસ હોય કે તેલ હોય તે બધું માંડી વાળો.”
12 પછી તેમણે કહ્યું કે, “અમે બધું પાછું સોંપી દઇશું અને હવે અમે બીજી કોઇ વસ્તુની માંગ નહિ કરીએ. અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું.”
તેથી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ લેવડાવ્યાં, તેઓ પોતાનું વચન પાળશે. 13 ત્યારબાદ મેં મારા કપડા પર પડેલી ઘડીઓ ખંખેરતા કહ્યું, “જે માણસ પોતાનું વચન ન પાળે તેની પાસેથી દેવ તેનું ઘર અને મિલકત આ રીતે ખંખેરી લો; એને ખંખેરીને ખાલી કરી નાખો.”
તેથી ત્યાં ભેગા થયેલા બધા લોકો બોલી ઊઠયા, “આમીન!” પછી તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને તેઓ બધા આપેલા વચન પ્રમાણે ર્વત્યા.
14 તદુપરાંત જે સમયથી યહૂદાના દેશમાં મારી પ્રશાસક તરીકે નિમણૂક થઇ ત્યારથી, એટલે આર્તાહશાસ્તા રાજાના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી, બાર વર્ષના પ્રશાસકના હોદ્દાંમાં મેં તથા મારા ભાઇઓએ પ્રશાસકને જે ખાવાનું અપાતું હતું તે ખાધું નથી. 15 મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલ* ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો. 16 વળી, હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો, ને અમે કઇં પણ જમીન ખરીદી નહિ; અને મારા સર્વ ચાકરો પણ તે કામ કરવા ભેગાં થયાં હતાં.
17 મારી સાથે 150 થી વધારે અમલદારો અને બીજા યહૂદીઓ મારા ટેબલ પર જમતા હતા. આજુબાજુની પ્રજાઓમાંથી જે લોકો આવતા તે તો જુદા. 18 દરરોજ એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને મુરધાં રંધાતા હતા. અને દર દશ દિવસે પીપડા ભરીને દ્રાક્ષારસ પૂરો પાડવામાં આવતો હતો. તો પણ મેં પ્રશાશક તરીકેનું ખાધાં ખોરાકી ભથ્થું માગ્યું નહિ, કારણકે આ લોકો પર ભારે બોજો હતો. 19 હે મારા દેવ, મેં આ લોકો માટે જે જે કર્યુ છે તે બધું યાદ કરી મારું ભલું કરજે.
* 5:15 40 શેકેલ ચાંદી 1 પૌન્ડ, અથવા 1/2 કિલોગ્રામ.