25
મૂર્તિપૂજાના પાપમાં ઇસ્રાએલ
જયારે ઇસ્રાએલીઓએ શિટ્ટીમમાં મુકામ કર્યો હતો, ત્યારે એ લોકો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા. આ સ્ત્રીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવાના પ્રસંગોએ નિમંત્રણ પાઠવતી, એ લોકો યજ્ઞનો જમણ લેતા અને મોઆબીઓના દેવોની પૂજા કરતા. આમ ઇસ્રાએલીઓ પેઓરના બઆલને પૂજતા થઈ ગયા; એટલે યહોવા તેમના પર કોપાયમાંન થયા.
યહોવાએ મૂસાને આજ્ઞા કરી કે, “તું ઇસ્રાએલી લોકોના બધા આગેવાનોને લઈને તેમનો ધોળે દિવસે માંરી સમક્ષ વધ કર, જેથી ઇસ્રાએલ પરથી માંરો ક્રોધ શમી જાય.”
તેથી મૂસાએ ઇસ્રાએલના ન્યાયાધીશોને હુકમ કર્યો, “તમાંરામાંની પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના અધિકાર નીચેના માંણસોમાંથી જેણે જેણે પેઓરના બઆલની પૂજા કરી હોય તે સૌનો વધ કરે.”
પરંતુ મૂસા અને સમગ્ર ઇસ્રાએલી સંઘ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ રૂદન કરતા હતા તે સમયે તેમના દેખતાં જ એક ઇસ્રાએલી એક મિદ્યાની સ્ત્રીને પોતાની છાવણીમાં ખેંચી લાવ્યો. તેથી યાજક હારુનના પુત્ર એલઆઝારનો પુત્ર ફીનહાસ આ જોઈને સભામાંથી ઊભો થઈ ગયો અને પોતાના હાથમાં ભાલો લીધો. તે પેલા ઇસ્રાએલી વ્યક્તિની પાછળ છાવણીમાં ઝડપથી દોડી ગયો અને ભાલાનો એક ઘા કરીને તે ઇસ્રાએલી વ્યક્તિના દેહને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યો, અને પરિણામે ઇસ્રાએલીઓમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો તે બંધ થઈ ગયો. પરંતુ ત્યાં સુધીમાં તો 24,000 ઇસ્રાએલીઓ તે માંદગીથી મોતનો ભોગ બની ચૂક્યા હતા.
10 પછી યહોવાએ મૂસાને કહ્યું, 11 “હારુન યાજકના પુત્ર એલઆઝારના પુત્ર ફીનહાસે ઇસ્રાએલીઓ પરનો માંરો ક્રોધ શાંત કર્યો, એ લોકોમાં માંરા પ્રત્યેની નિષ્ઠાનો અભાવ જોઈ એણે એટલો બધો રોષ વ્યક્ત કર્યો, માંરો ક્રોધ શમી ગયો, જેથી મેં એમનો નાશ ન કર્યો. 12 તેથી તું તેને હવે કહે કે; હું એની સાથે હંમેશ માંટે શાંતિનો કરાર કરીને એને અને એના વંશજોને યાજકપદનો હક્ક આપું છું. જે હક્ક તેઓ સદાને માંટે ભોગવશે. 13 કારણ કે, તેણે પોતાના દેવ માંટેની શ્રદ્ધાનું ઉલ્લંઘન સહન ન્હોતું કર્યુ અને તેણે ઇસ્રાએલી પ્રજાના પાપોનું પ્રાયશ્ચિત કર્યુ હતું.”
14 પછી મિદ્યાની સ્ત્રીની સાથે માંરી નાખવામાં આવેલા ઇસ્રાએલી પુરુષનું નામ ઝિમ્રી હતું, તે શિમયોન કુળસમૂહના પરિવારના આગેવાન સાલૂનો પુત્ર હતો. 15 એ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું, તે મિદ્યાનીઓના એક કુટુંબના વડા સૂરની પુત્રી હતી.
16 પછી યહોવાએ મૂસાને આજ્ઞા કરી, 17 “જા, મિદ્યાનીઓ પર હુમલો કર અને તેઓનો સંહાર કર. 18 પેઓરમાં તેમણે મિદ્યાની સ્ત્રીઓ દ્વારા તને ખેલ કરાવી, તમને મિથ્યા દેવ બઆલની પૂજા કરતા કર્યા, મિદ્યાની આગેવાનની પુત્રી કોઝબી નામની સ્ત્રી દ્વારા તેઓએ તમને ફસાવ્યાં. પછી મૂર્તિપૂજાને કારણે ઇસ્રાએલીઓ એક રોગથી મૃત્યુ પામ્યા. તેથી તેઓ તમાંરા દુશ્મનો છે.”