5
અછૂતો માંટેના નિયમો
યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલી પ્રજાને તું એવું જણાવ કે, તેઓ પોતાની છાવણીમાંથી બધા જરફતપિત્તના દર્દીઓને, જેમના શરીરમાંથી સ્ત્રાવ થતો હોય તેઓને, તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે. સ્ત્રી હોય કે પુરુષ, બંનેને બહાર કાઢી મૂકવાં, જેથી જે છાવણીમાં હું તમાંરી વચ્ચે રહું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ.”
યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓએ છાવણી બહાર એ લોકોને કાઢી મૂકયાં.
પાપોની ભરપાઈ
યહોવાએ મૂસાને કહ્યું, “તું ઇસ્રાએલીઓને કહે કે, જે પુરુષ અથવા સ્ત્રી યહોવાની આજ્ઞાઓનો ભંગ કરીને અન્યને નુકસાન કરે, તો તે દોષિત બને છે, તેથી તેણે તે બદલ પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. પોતે કરેલાં પાપની તેણે કબૂલાત કરવી અને જેનું તેણે જે કાંઈ નુકસાન કર્યુ હોય તે પૂરેપૂરું ભરપાઈ કરી આપવા ઉપરાંત વીસ ટકા જેટલું વધારે ચૂકવવું. પણ જેને નુકસાન કર્યું છે તે જો મૃત્યુ પામ્યો હોય અને ક્ષતિપૂર્તી માંટે તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાને આપવી અને યાજકને ચૂકવવી અને જે ઘેટો પાપોના પ્રાયશ્ચિત માંટે વધેરવા આપવાનો હોય છે, તે ઉપરાંત આ રકમ આપવાની છે.
“ઇસ્રાએલીઓ દેવને જે કંઈ ઉચ્છાલીયાર્પણ ઘરાવે છે, તે યાજકની ગણાય છે. 10 યાજકોને માંણસો જે કોઈ ભેટ આપે છે તે યાજકો પોતાને માંટે રાખે.”
વહેમી પતિ અને તેનું નિરાકરણ
11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “ઇસ્રાએલી પ્રજાને તું આ પ્રમાંણે કહે: જો કોઈ પુરુષની પત્ની આડે રસ્તે જાય અને વિશ્વાસઘાતી નીવડે, કોઈ પર પુરુષ સાથે સૂઈને વ્યભિચાર કરે, 13 પરંતુ તેની સાબિતી ના હોય અને સાક્ષી આપનાર કોઈ ના હોય, 14 અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી. 15 તેણે 8 વાટકા જવનો લોટ (એક દશાંશ એફાહ) લઈ યહોવાને અર્પણ કરે. તેણે તેના પર તેલ રેડવું નહિ કે ધૂપ પણ મૂકવો નહિ, કારણ કે એ વહેમને કાઢવા ગુનાનું પારખું કરવા માંટેનું સ્મરણદાયક ખાધાર્પણ છે.
16 “યાજકે તે સ્ત્રીને યહોવા સમક્ષ રજૂ કરવી. 17 પછી યાજકે માંટીના પાત્રમાં પવિત્ર જળ લેવું, અને તેમાં પવિત્રમંડપની પવિત્ર ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી. 18 પછી તેણે તે સ્ત્રીને યહોવા સમક્ષ ઊભી રાખી તેના વાળ છોડી નાખશે, અને તેણીના હાથમાં ખાધાર્પણ મૂકશે. પતિની ઈર્ષ્યાને કારણે આપવામાં આવેલો આ જવનો લોટ છે. પછી યાજક નક્કી કરે કે તેના પતિનો વહેમ સાચો છે કે નહિ, યાજકે શ્રાપ આપવા માંટેના કડવા જળનું પાત્ર પોતાના હાથમાં રાખવું.
19 “ત્યારબાદ યાજકે સ્ત્રી પાસે સોગન લેવડાવવા, તેને કહેવું કે, ‘જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો ન હોય, તો આ શ્રાપના કડવા જળથી તને કશું જ નુકસાન નહિ થાય. 20 પણ જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો હશે તો 21 યહોવા તારા નામને તારા લોકમાં શ્રાપરૂપ બનાવી દો. તારી જાંધોમાં સડો પેદા કરો, અને તારા શરીરને ફુલાવી દો.’
22 “આ જળ તારા પેટમાં પ્રવેશીને તેને ફુલાવી દો, અને તારા ગર્ભાશયને સંકોચાવી દો. પછી તે સ્ત્રીએ ‘આમીન’ ‘આમીન’ એમ જવાબ આપે.”
23 “પછી યાજકે તે શ્રાપ સૂચિપત્રમાં લખવા અને તેને કડવા જળમાં ધોઈ નાખવા, 24 ત્યારબાદ યાજક તે સ્ત્રીને તે પાણી પીવડાવે, જેથી તે ગુનેગાર હોય તો ખૂબ હેરાન થાય.
25 “પણ જળ પીવડાવતાં પહેલાં યાજક પાપની કસોટી કરવા ખાધાર્પણને સ્ત્રીના હાથમાંથી લઈને યહોવા સમક્ષ ઘરાવીને વેદી પર અર્પણ કરશે. 26 એ પછી યાજકે તે ખાધાર્પણમાંથી એક મૂઠી ભરી વેદીમાં હોમવું. અને પછી સ્ત્રીને જળ પાઈ દેવું. 27 જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો શ્રાપનું પાણી પેટમાં જતાં જ તેનું પેટ ફૂલી જશે અને તેનું ગર્ભાશય સંકોચાઈ જશે, અને તેનું નામ તેના લોકોમાં શ્રાપરૂપ થઈ પડશે. 28 પણ જો તે સ્ત્રી પવિત્ર હશે અને પોતાની જાતને કલંકિત નહિ કરી હોય તો તેને કંઈ પણ હાનિ થશે નહિ અને થોડા સમય પછી તે ગર્ભ ધારણ કરશે.
29 “આ નિયમો સ્વચ્છંદી પત્ની માંટે અથવા જેના પર પતિને વહેમ હોય એવી પત્ની માંટે છે. 30 પછી એ સ્ત્રીએ ખરેખર વ્યભિચાર કર્યો હોય કે ખાલી વહેમ આવ્યો હોય પતિએ આવી સ્ત્રીને યહોવા સમક્ષ લાવવી અને યાજકે ઉપર દર્શાવેલી રીત અનુસાર નક્કી કરવું. 31 પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.”