23
લેવીઓની ફરજો
હવે દાઉદ ઘણો વૃદ્ધ થયો હતો તેથી તેણે તેના પુત્ર સુલેમાન પાસે ઇસ્રાએલના રાજા તરીકે રાજ્ય કરવાનું શરૂ કરાવ્યું. દાઉદે ઇસ્રાએલના બધા આગેવાનોને, યાજકોને અને લેવીઓને બોલાવ્યા. ત્રીસ વર્ષના અને તેની ઉપરના લેવીઓની ગણતરી કરવામાં આવી તો પુરુષોની સંખ્યા 38,000 થઇ. “એમાંના 24,000 ને યહોવાના મંદિરની સેવા સોંપવામાં આવી. 6,000 ને અમલદારો અને ન્યાયાધીશો નીમવામાં આવ્યા. ચાર હજારને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યા અને 4,000ને દાઉદે બનાવેલા વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ ગાવા માટે નિયુકત કરવામાં આવ્યા.”
પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.
ગેશોર્નનું કુલસમૂહ
ગેશોર્નના પુત્રો હતા: લાઅદાન અને શિમઇ. લાઅદાનના પુત્રો: પહેલો યહીયેલ પછી ઝેથામ અને યોએલ, એમ કુલ ત્રણ. એ લોકો લાઅદાનના વંશજોનાં કુટુંબોના વડા હતા. શિમઇને ત્રણ પુત્રો હતા: શલોમોથ, હઝીએલ, અને હારાન.
10 શલોમોથને ચાર પુત્રો હતા: યાહાથ, ઝીઝાહ, યેઉશ, અને બરીઆહ. 11 યાહાથ જ્યેષ્ઠ હતો અને ઝીઝાહ બીજો હતો; યાહાથ અને બરીઆહને ઘણા પુત્રો ન હતા તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
કોહાથનું કુલસમૂહ
12 કેહાથના ચાર પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ. 13 આમ્રામનાપુત્રો: હારુન અને મૂસા. હારુનને અને તેના વંશજોને કાયમને માટે જુદા પાડવામાં આવ્યા હતા. તેમણે ઉપાસનાની સાધનસામગ્રી સંભાળવાની હતી, યહોવા આગળ ધૂપ કરવાનો હતો, તેની યાજક તરીકે સેવા કરવાની હતી, અને તેને નામે આશીર્વાદ આપવાના હતા.
14 દેવના સેવક મૂસાના વંશજોને લેવીઓમાં ગણવામાં આવ્યા હતા. 15 મૂસાને બે પુત્રો હતા: ગેશોર્મ અને એલીએઝેર, 16 ગેશોર્મનો સૌથી મોટો પુત્ર હતો; શબુએલ, 17 એલીએઝરનો સૌથી મોટો પુત્ર રહાબ્યા; એલીએઝેરને બીજા પુત્રો ન હતા, પણ રહાબ્યાને ઘણા હતા.
18 યિસ્હારનો સૌથી મોટો પુત્ર શલોમીથ.
19 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ.
20 ઉઝઝીએલના પુત્રો: સૌથી મોટો મીખાહ અને બીજો યિશ્શિયા.
મરારીનું કુલસમૂહ
21 મરારીના પુત્રો: માહલી અને મૂશી. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. 22 એલઆઝાર મરી ગયો ત્યારે તેને કોઇ પુત્ર નહોતો. બધી પુત્રીઓ જ હતી. તેના ભાઇ કીશના પુત્રો તેમને પરણ્યા. 23 મૂશીને ત્રણ પુત્રો હતા; માહલી, એદેર અને યરેમોથ.
લેવીના કામ
24 લેવીના વંશજોના વીસ વર્ષ અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી કરીને પર પ્રમાણે વિભાગો અને પેટાવિભાગોમાં તેઓનું વગીર્કરણ કરવામાં આવ્યું. યહોવાના મંદિરમાં જુદી જુદી સેવાઓ માટે તેઓને નિયુકત કરવામાં આવ્યાં.
25 દાઉદે કહ્યું, “ઇસ્રાએલના યહોવા દેવે આપણને શાંતિ બક્ષી છે. યહોવા હંમેશા યરૂશાલેમમાં નિવાસ કરશે. 26 હવે લેવીઓને પવિત્ર મંડપ અને તેની સામગ્રીને લઇને એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાની જરૂર પડશે નહિ.”
27 મૃત્યુ પહેલા દાઉદે જે છેલ્લું કામ કર્યુ તે જે વીસ વરસ કે તેથી વધારે ઉમર વાળા હતા. લેવીના કુલસમૂહના વંશજોની ગણતરી કરી.
28 લેવીઓને સોંપાયેલા કામ; યાજકોને એટલે હારુનના વંશજોને મંદિરમાં બલિદાનની વિધિમાં મદદ કરવી. આંગણાઓની તેમજ ઓરડાઓની જવાબદારી યહોવાના પવિત્ર મંદિરમાંની પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં મદદ કરવી. 29 દેવને ધરાવેલી રોટલી માટે, ખાદ્યાર્પણ માટેના લોટ માટે, ખમીર વગરની રોટલી માટે, શેકેલા ખાદ્યાર્પણ માટે તેલથી મોયેલા લોટ માટે તેમજ મંદિરમાં ધરાવેલી વસ્તુઓના વજન અને માપ માટે તેઓ જ જવાબદાર હતા. 30 વળી, તેમણે જ દરરોજ સવારે અને સાંજે યહોવાના ભજન-કીર્તન કરવાનાં હતા. 31 વિશ્રામવાર, ચંદ્ર દર્શન અને અન્ય તેહવારોને દિવસે યહોવાને દહનાર્પણો ચઢાવતી વખતે તેમણે ઠરાવેલી સંખ્યામાં સતત યહોવાની સેવામાં મદદમાં રહેવાનું હતું. 32 લેવીઓએ મુલાકાત મંડપની અને પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. તેઓ તેમના હારુનવંશી સંબંધીઓને યહોવાનાં મંદિરની સંભાળ રાખવામાં મદદ કરવાની હતી.