12
ભજન-ભક્તિનું એકમાત્ર સ્થળ
તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે તમને જે દેશ વતન તરીકે આપ્યો છે, તેમાં તમારે નિયમો તથા કાનૂનો પૃથ્વી પરના તમારા બધા દિવસો પર્યંત પાળવા તે આ છે. જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.
તમારે તેઓની વેદીઓ તોડી નાખવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, અશેરીમ મૂર્તિઓને બાળી નાખવી અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખીને તે જગ્યાએથી તેઓના નામનો નાશ કરવો. તમારે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના તે પ્રમાણે ન કરવી.
પણ યહોવાહ તમારા ઈશ્વર તમારા સર્વ કુળમાંથી જે સ્થળ પસંદ કરશે તે સ્થળ આગળ એટલે જ્યાં તે રહે છે ત્યાં તમારે ભેગા થવું, ત્યાં તમારે આવવું. ત્યાં તમારે તમારાં બધાં દહનીયાર્પણો, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તમારી માનતાઓ, તમારાં ઐચ્છિકાર્પણ તથા તમારાં ઘેટાં બકરાનાં તથા અન્ય જાનવરોનાં પ્રથમજનિતને લાવવાં.
ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરની આગળ જમવું અને તમારા હાથની સર્વ બાબતોમાં યહોવાહ તારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારા કુટુંબોએ આનંદ કરવો.
આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ; કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.
10 તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો. 11 ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.
12 તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
13 સાવધ રહેજો, જે દરેક જગ્યા તમે જુઓ ત્યાં તમારે તમારા દહનીયાર્પણ ચઢાવવાં નહિ; 14 પણ જે જગ્યા યહોવાહ તમારા ઈશ્વર તમારા કુળો મધ્યેથી એકને પસંદ કરે ત્યાં તારે તારા દહનીયાર્પણો ચઢાવવાં.
15 તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો. 16 પણ લોહી તમારે ખાવું નહિ એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.
17 તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી. 18 પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. 19 પોતાના વિષે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહિ.
20 જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.
21 તમારા ઈશ્વર યહોવાહે પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાહે તમને આજ્ઞા આપી છે તેમ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવર કે જે યહોવાહે તમને આપ્યાં છે તે કાપવાં અને તમારી ઇચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવાં. 22 હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે.
23 પરંતુ એટલું સંભાળજો કે લોહી તમારા ખાવામાં ન આવે, કારણ કે, રક્તમાં જ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તમારે ખાવો નહિ. 24 તમારે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું. 25 તમારે તે ખાવું નહિ; એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તમારું તથા તમારી પાછળ તમારા સંતાનોનું ભલું થાય.
26 તમારી પાસેની અર્પિત વસ્તુઓ તથા તમારી માનતાઓ તે તમારે યહોવાહે પસંદ કરેલા સ્થાનમાં લઈ જવાં. 27 અને યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારાં દહનીયાર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવાં; પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું.
28 જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારાં સંતાનોનું સદા ભલું થાય.
મૂર્તિપૂજા સામે ચેતવણી
29 જે દેશજાતિઓનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો તેઓનો જયારે યહોવાહ તમારા ઈશ્વર તમારી આગળથી નાશ કરે અને તમે તેઓનું વતન પામી તેમના દેશમાં રહો, 30 ત્યારે સાવધ રહેજો, રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ. અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એવું કહો કે “આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે.”
31 યહોવાહ તમારા ઈશ્વર વિષે એવું કરશો નહિ; કેમ કે જે સર્વ અમંગળ કાર્યો યહોવાહની દૃષ્ટિએ ધિક્કારજનક છે. તે તેઓએ પોતાના દેવદેવીઓની સમક્ષ કર્યા છે. કેમ કે પોતાના દીકરા દીકરીઓને પણ તેઓ તેઓનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.
32 મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.