25
જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે. જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે.
ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.
પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ.
મૃતભાઈ પ્રત્યેની ફરજ
જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે. અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.
પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે, “મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇનકાર કરે છે; વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.” ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, “હું તેને લેવા ઇચ્છતો નથી.”
તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, “જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય.” 10 ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, “જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ.”
બીજા કેટલાક નિયમો
11 જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે, 12 તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
13 તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં. 14 વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.
15 તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. 16 જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
અમાલેકીઓનો સંપૂર્ણ સંહાર કરવા વિષે
17 તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો; 18 તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ. 19 તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.