15
ઈશ્વર મોઆબનો વિનાશ કરશે
મોઆબ વિષે ઈશ્વરવાણી.
ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે;
ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.
તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે;
નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે.
તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર
અને ચોકમાં પોક મૂકીને રડે છે.
વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે.
તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે.
લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે.
હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે;
ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે
તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે;
એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.
દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ.
મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.