50
યહોવાહ પૂછે છે કે,
“છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા?
અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા?
જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી.
હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ?
શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી?
જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું;
તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.
હું આકાશને અંધકારથી ઢાકું છું; હું ટાટથી તેનું આચ્છાદન કરું છું.”
પ્રભુનો આજ્ઞાધીન સેવક
હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે,
પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે.
તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું.
પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે
અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી.
મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા;
અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ.
કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી;
તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ.
મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે?
આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ.
મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો.
જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે?
જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે.
10 તમારામાં યહોવાહની બીક રાખનાર કોણ છે? કોણ પોતાના સેવકની વાણી સાંભળે છે?
કોણ ઘોર અંધકારમાં પ્રકાશ વિના ચાલે છે?
તેણે યહોવાહના નામ પર ભરોસો રાખવો અને તેના ઈશ્વર પર આધાર રાખવો.
11 જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો:
તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો.
યહોવાહ કહે છે, ‘મારા હાથથી,’ ‘આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.’ ”