56
ઈશ્વરની પ્રજામાં બધી પ્રજાઓનો સમાવેશ
યહોવાહ એવું કહે છે, “ન્યાયનું પાલન કરો, પ્રામાણિકપણે વર્તો;
કેમ કે મારું તારણ પાસે છે અને મારું ન્યાયીપણું પ્રગટ થશે.
જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે તેને ચુસ્ત રીતે વળગી રહે છે,
જે વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને ભૂંડું કરવાથી પોતાનો હાથ પાછો રાખે છે તે આશીર્વાદિત છે.”
વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે,
“યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે.”
કોઈ ખોજાએ એમ ન કહેવું કે, “જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું.”
કેમ કે “જે ખોજાઓ મારા વિશ્રામવારો પાળે છે
અને જે મને ગમે છે તેને પસંદ કરે છે તથા મારા કરારને દૃઢતાથી વળગી રહે છે, તેઓ વિષે યહોવાહ કહે છે -
તેમને તો હું મારા ઘરમાં તથા મારા કોટમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તરીકે સ્થાપીશ;
જે નષ્ટ થાય નહિ એવું અનંતકાળનું સ્મારક હું તેને આપીશ.”
વળી જે પરદેશીઓ જોડાયાં છે કે તેઓ યહોવાહની
સેવા કરવા માટે અને જેઓ યહોવાહના નામ પર પ્રેમ કરે છે, તેમની આરાધના કરે છે તે,
દરેક જે કોઈ વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને જે મારા કરારને દૃઢતાથી વળગી રહે છે -
તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ અને મારા પ્રાર્થનાના ઘરમાં તેઓને આનંદ કરાવીશ;
તેઓનાં દહનીયાર્પણો તથા તેઓનાં બલિદાનો મારી વેદી પર માન્ય થશે,
કેમ કે મારું ઘર તે સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.
પ્રભુ યહોવાહ જે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે:
“તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.”
ઇઝરાયલના આગેવાનોને ઠપકો
ખેતરનાં સર્વ હિંસક પશુઓ, વનમાંનાં હિંસક પશુઓ આવો અને ફાડી ખાઓ!
10 તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી;
તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી:
તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે.
11 તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી;
તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે;
તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે.
12 “આવો” તેઓ કહે છે, “આપણે દ્રાક્ષાસવ અને દારૂ પીઈએ;
આવતીકાલનો દિવસ આજના જેવો, વળી તે કરતાં પણ મહાન થશે.”