16
યર્મિયાના જીવન માટે ઈશ્વરેચ્છા
યહોવાહનું વચન આ મુજબ મારી પાસે આવ્યું અને કહ્યું કે, “તું પરણીશ નહિ અને આ જગ્યાએ તને દીકરા કે દીકરીઓ થાય નહિ.” કેમ કે આ જગ્યાએ જન્મેલા દીકરા દીકરીઓ વિષે અને તેઓને જન્મ આપનાર માતાપિતા વિષે યહોવાહ કહે છે કે, “તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તલવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાઈ જશે.”
કેમ કે યહોવાહ કહે છે કે, શોકના ઘરમાં જઈશ નહિ. તેઓને લીધે રડારોળ કરવા જઈશ નહિ કે તેઓના માટે વિલાપ કરીશ નહિ કેમ કે મેં આ લોક પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.” એમ યહોવાહ કહે છે. “તેથી મોટા તથા નાના બન્ને આ દેશમાં મૃત્યુ પામશે. તેઓને દફનાવવામાં આવશે નહિ. તેઓને લીધે કોઈ શોક કરશે નહિ, કોઈ પોતાના શરીર પર ઘા કરશે નહિ અને કોઈ પોતાનું માથું મુંડાવશે નહિ.
વળી લોકો મૂએલા સંબંધી સાંત્વના આપવા સારુ તેઓને માટે શોક કરી રોટલી ભાગશે નહિ. અને લોકો માતાપિતાના મરણને માટે દિલાસાનો પ્યાલો તેઓને પીવાને આપશે નહિ. ખાવાપીવાને અર્થે જમણવારના ઘરમાં તું તેઓની સાથે બેસી જઈશ નહિ. કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જુઓ, હું અહીં તમારી નજર સમક્ષ તથા તમારી હયાતીમાં આનંદ તથા હાસ્યનો સાદ, તેમ જ વર-કન્યાનો સાદ બંધ પાડીશ.
10 “જ્યારે તું આ લોકોની આગળ આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાહે આ બધી આફતો આપણે માથે શા માટે નાખી છે? આપણો શો અપરાધ છે? અને આપણે શો ગુનો કર્યો છે કે યહોવાહ અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે કયું પાપ કર્યું છે?’ 11 ત્યારે તું કહે જે કે, યહોવાહ કહે છે કે વિપત્તિ આવવાનું કારણ એ છે કે, ‘તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો’ ‘અને અન્ય દેવોની પાછળ ગયા છે. અને તેમની સેવાપૂજા કરી તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.
12 અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી. 13 આથી હું તમને આ દેશમાંથી કાઢીને તમને અને તમારા પિતૃઓને અજાણ્યા દેશમાં હાંકી કાઢીશ, ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની સેવા કરજો. હું તમારા પર દયા રાખીશ નહિ.
બંદીવાસમાંથી પાછા આવવાની ભવિષ્યવાણી
14 માટે જુઓ! યહોવાહ કહે છે કે, હવે એવો સમય આવે છે કે” “જ્યારે ઇઝરાયલપુત્રોને મિસર દેશમાંથી બહાર લાવનાર ‘યહોવાહ જીવતા છે, એમ ક્યારેય કહેવાશે નહિ.’ 15 માટે જે ઇઝરાયલપુત્રોને ઉત્તરના દેશમાંથી તથા જે કોઈ દેશમાંથી તેઓને નસાડી મૂક્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાહ જીવતા છે એમ કહેવાશે. અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ.
16 જુઓ! હું ઘણા માછીમારોને મોકલીશ” તેમ યહોવાહ કહે છે. “તેઓ લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું ઘણા શિકારીઓને મોકલીશ અને તેઓ તેઓને દરેક પર્વત પરથી, ડુંગર પરથી અને ખડકોની ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે. 17 કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે. તેઓ મારાથી છુપાયેલા નથી. અને તેઓનો અન્યાય મારાથી ગુપ્ત નથી. 18 પ્રથમ હું તેઓની પાસે તેઓનાં પાપોનો અને ધિક્કારપાત્ર કૃત્યોનો બમણો બદલો લઈશ, કેમ કે તેઓએ મારા વારસાને અશુદ્ધ મૃતદેહોથી અભડાવી છે.
યર્મિયાની પ્રભુને પ્રાર્થના
19 હે યહોવાહ, સંકટના સમયમાં મારું સામર્થ્ય તથા મારા ગઢ, તથા મારા આશ્રય
સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવી અને કહેશે કે,
અસત્ય, વ્યર્થ; અને નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પિતૃઓનો વારસો છે.
20 માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું?
21 માટે જુઓ, હું તેઓને જણાવીશ તેઓને હું મારું સામર્થ્ય અને મારો હાથ દેખાડીશ,
ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવાહ છે.