20
દ્રાક્ષાવાડીના મજૂરોને સરખું વેતન
કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા.
વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિકે તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’ ”
સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિકે પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’ જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10  પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.
11  ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. 12  અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’ ”
13  પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14  તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.
15  જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’ 16  એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”
ઈસુએ પોતાના મૃત્યુની કરેલી ત્રીજી આગાહી
માર્ક 10:32-34; લૂક 18:31-34
17 ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે, 18  જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે 19  અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”
એક માતાની માગણી
માર્ક 10:35-45
20 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી. 21 ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેણે તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”
22 પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, “તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.” 23 તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.” 24 જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.
25 પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26  પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય; 27  અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય; 28  જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
ઈસુ બે દ્રષ્ટિહિનોને સાજાં કરે છે
માર્ક 10:46-52; લૂક 18:35-43
29 જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. 30 જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” 31 પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”
32 ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?” 33 તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.” 34 ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.