23
ફરોશીઓ અને શાસ્ત્રીઓના શિક્ષણ સંબંધી સાવધાન
માર્ક 12:38-39; લૂક 11:43,46; 20:45-46
ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે, “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે; એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’ લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.
વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો, તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.
પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો. પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે. 10  તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.
11  પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે. 12  જે કોઈ પોતાને ઊંચો કરશે, તેને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઊંચો કરાશે.
ઈસુ તેઓના ઢોંગને વખોડે છે
માર્ક 12:40; લૂક 11:39-42,44,52; 20:47
13  ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી. 14 (ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટી સજા ભોગવશો.) 15  ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
ઓ આંધળા દોરાનારાઓ!
16  ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’ 17  ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?
18  અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’ 19  ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?
20  એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે. 21  જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે. 22  જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
23  ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં. 24  ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!
25  ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે. 26  ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.
27  ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે. 28  તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.
તેઓને થનારી શિક્ષાની આગાહી
લૂક 11:47-51
29  ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો. 30  તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’ 31  તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.
32  તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો. 33  ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?
34  તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો. 35  કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. 36  હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.
યરુશાલેમ માટે ઈસુનો પ્રેમ
લૂક 13:34-35
37  ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! 38  જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું. 39  કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’ ”