9
યહૂદીઓનો શત્રુઓ પર વિજય
હવે બારમા, એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, એ દિવસે યહૂદીઓના દુશ્મનોએ તેમને કચડી નાખવાની આશા રાખી હતી. પણ બન્યુ તેનાથી ઊલટું જ; યહૂદીઓએ દુશ્મનોને કચડી નાખ્યા. તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાઁ યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકઠા થયા, જેથી તેઓનું નુકશાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હાથ નાખે; તેઓની વિરુદ્ધ કોઇ ઉભો રહી શક્યું નહિ; કારણ કે તેઓ બધા તેમનાથી ડરેલા હતા. અને પ્રાંતોના બધાં અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓ યહૂદીઓને મદદ કરી, કારણ કે, તે બધાં મોર્દખાયથી ડરેલા હતા. મોર્દખાય રાજમહેલમાં ખૂબ મહત્વનો બની ગયો હતો, તેની નામના બધાં પ્રાંતમા ફેલાઇ ગઇ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઇ.
નક્કી કરેલા દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓની હત્યા કરી. વિરોધીઓ સાથે તેઓએ મન ફાવે તેવું વર્તન કર્યુ. પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો. વળી તેઓએ પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, પોરાથા, અદાલ્યા, અરીદાથાને, પાર્માશ્તાને, અરીસાય, અરીદાય તથા વાઇઝાથાને. 10 આ રીતે તેઓએ યહૂદીઓના શત્રુ હામ્મદાથાના પુત્ર હામાનના દશે પુત્રોને, તેઓએ મારી નાખ્યા; પણ તેઓએ તેમને લૂંટી લીધા નહિ અને તેમની કોઇ પણ વસ્તુને હાથ લગાડ્યો નહિ.
11 સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી. 12 તેણે રાણી એસ્તેરને જણાવ્યું, “પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દશ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેમણે રાજ્યના બીજા પ્રાંતોમાં તું મારા દ્વારા શું કરાવા માંગે છે! જે માગે તે આપુ, તારે બીજું શું જોઇએ છે? માંગ અને તે મંજૂર થશે.”
13 ત્યારે એસ્તેરે તેને જણાવ્યું કે, “જો રાજાને ગમે તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે પણ તેમજ કરવા દેવામાં આવે. અને હામાનના દશે પુત્રોને ફાંસીને માચડે લટકાવવા જોઇએ.”
14 રાજા સંમત થયા અને પાટનગર સૂસામાં હુકમ જાહેર કરવામાં આવ્યો. હામાનના દશ પુત્રોના મૃત શરીરને ફાંસી પર લટકાવવામાં આવ્યા. 15 સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ ભેગા થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
16 રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છૂટકારો મેળવવાં માટે ભેગા થયા. તેમણે પંચોતેર હજાર શત્રુઓનો સંહાર કર્યો; પણ તેમણે કોઇની કોઇ વસ્તુ લૂંટી નહિ. 17 આ તો અદાર મહિનાના તેરમા દિવસે બન્યું. ચૌદમે દિવસે તેમણે વિશ્રાંતી લીધી અને તે દિવસે તેમણે ઉજવણી કરીને આનંદોત્સવ ઊજવ્યો.
પૂરિમનું પર્વ
18 પણ સૂસામાં યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે સ્વરક્ષણ માટે ભેગા થયા; પંદરમા દિવસે તેઓએ ઉજાણી કરી અને વિશ્રાંતિ લીધી. 19 આ કારણથી જ યહૂદીઓ કોટ વિનાના ગામડાંઓમાં અને શહેરોમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે એક બીજાને ભેટો આપી અને ઉજાણી કરીને ઉજવે છે.
20 મોર્દખાયે આ સર્વ બનાવોને લખી અને અહાશ્વેરોશ રાજાના નજીકના તેમજ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા. 21 તેણે જણાવ્યું કે, દર વષેર્ અદાર મહિનાનો ચૌદમો અને પંદરમો દિવસ ઊજવવો. 22 કારણ તે દિવસે યહૂદીઓએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો હતો, અને તે મહિનામાં તેમનો શોક આનંદમા પલટાઇ ગયો હતો, અને તેમના દુ:ખના દિવસો આનંદના દિવસોમાં બદલાઇ ગયા હતાં, જેમાં એકબીજાને ભેટ આપવી અને ગરીબોને દાન આપવું.
23 આથી યહૂદીઓએ મોર્દખાયની સૂચના મુજબ દરેક વષેર્ તે જ સમયે તહેવાર ઉજવવાનું શરૂ કર્યુ હતું અને રિવાજ પાળવાનો ચાલુ રાખવાનું માથે લીધું.
24 યહૂદીઓના દુશ્મન અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓને સંહાર કરી નાખવાની યોજના કરી હતી. અને તેઓનો સંહાર કરવા અને વિનાશ કરવા ચિઠ્ઠીઓ (એટલે “પૂર”) નાખી હતી; 25 પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરૂદ્ધ યોજી હતી તે અને તેના કુટુંબીઓને જ તેનો ભોગ બને; અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઇએ.
26 આથી “પૂર” નામ ઉપરથી આ ઉત્સવના દિવસો પૂરીમ તરીકે ઓળખાયા, એ મોર્દખાયના પત્રમાં જે લખ્યું હતું તે પ્રમાણે જ ઉજવાયા, તેને કારણે તેમણે જાતે જે નજરોનજર જોયું હતું અને તેમના પર જે વીત્યું હતું, 27 યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો ચૂક્યા વગર ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું. 28 એ દિવસોને, વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં ઉજવવાના હતાં, તેઓએ પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં તેને ઉજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઉજવવાનું બંધ ન થાય, અને તેઓના વંશજોએ કદી તે ભૂલવું જોઇએ નહિ.
29 ત્યારબાદ અબીહાઇલની પુત્રી રાણી એસ્તેર અને યહૂદી મોર્દખાયે, બીજા પત્રને સંપુર્ણ અધિકાર સાથે પ્રમાણિત કરવા, પૂરીમ વિષે પૂર્ણ અધિકારથી પત્ર લખ્યો. 30 તેથી મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યમાં એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સાચી શાંતિ પાઠવતા પત્રો મોકલ્યા 31 તે પત્રો એ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પૂરીમનાં દિવસો* યહૂદી મોર્દખાય અને રાણી એસ્તરે આપેલા આદેશ પ્રમાણે એના નિર્ધારિત સમયે ઉજવવામાં આવેલા હતા. આ તેઓએ બે વિશ્રામવારોને તેમના અને તેમના વંશજોને માટે નક્કી કર્યા 32 તેઓ એસ્તેરની આજ્ઞાથી વિશ્રામવારને યાદ રાખશે જેમ તેઓ ઉપવાસ અને વિલાપના દિવસો યાદ રાખે છે. “પૂરીમ” વિષેના નિયમો કાયમ કર્યા; અને પુસ્તકમાં આ બાબતો લખવામાં આવી હતી.
* 9:31 તે પત્રો … પૂરીમનાં દિવસો ઉજવણી નિશ્ચિત સમયે કરવા માટે નક્કી કરવા માટે મોકલવામાં આવ્યા હતાં જેને યહૂદી મોર્દખાય અને રાણી એસ્તેર તેમના માટે કાનૂની બનાવ્યા હતાં.