2
ઈસુનું પક્ષઘાતી માણસને સાજા કરવું
(માથ્થી 9:1-8; લૂક 5:17-26)
થોડા દિવસો પછી, ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો. ઘણા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું. ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો. કેટલાક લોકો એક પક્ષઘાતી માણસને ઊંચકીને લાવતા હતા. પણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શક્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતુ. તેથી તે માણસો ઈસુ જ્યાં હતો તે છાપરાં પર ગયા અને છાપરામાં બકોરું પાડ્યું પછી તેઓએ પક્ષઘાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉતાર્યો. ઈસુએ જોયું કે આ માણસોને ખૂબ વિશ્વાસ છે, તેથી તે પક્ષઘાતી માણસને કહ્યું, “જુવાન માણસ, તારા પાપો માફ થયાં છે.”
કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું, “આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરૂદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરા શકે.”
ઈસુએ જાણ્યું કે આ શાસ્ત્રીઓ તેના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કહ્યું, “તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષઘાતી માણસને શું કહેવું સરળ છે, તારા પાપ માફ થયા છે, કે તેને કહેવું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ? 9-10 પણ હું તમને સાબિત કરાવી આપીશ કે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું. 11 હું તને કહું છું, “ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.”
12 તે પક્ષઘાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. બધા લોકો તેને જોઈ શક્યા. લોકો નવાઇ પામ્યા અને દેવની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, “આજ સુધી જોયેલી સૌથી આશ્ચર્યકારક બાબત આ છે.”
લેવીને ઈસુનું તેડું
(માથ્થી 9:9-13; લૂક 5:27-32)
13 ઈસુ ફરીથી સરોવર પાસે ગયો. ઘણા માણસો ત્યાં તેને અનુસર્યા. તેથી ઈસુએ તેમને ઉપદેશ આપ્યો. 14 ઈસુ સરોવરની બાજુમાંથી પસાર થતો હતો, ત્યાં અલ્ફીના દીકરા લેવીને જોયો. લેવી જકાતનાકા પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ,” પછી લેવી ઉભો થયો અને ઈસુની પાછળ ગયો.
15 તે દિવસે મોડેથી ઈસુએ લેવીને ઘેર ભોજન કર્યુ. ત્યાં ઘણા જકાતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના ઘણા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા. 16 શાસ્ત્રીઓએ (તેઓ ફરોશીઓ હતા) ઈસુને જકાતદારો અને બીજા ખરાબ લોકો સાથે ભોજન કરતાં જોયો. તેઓએ ઈસુના શિષ્યોને પૂછયું, “શા માટે તે (ઈસુ) જકાતદારો અને પાપીઓ સાથે ખાય છે?”
17 ઈસુએ આ સાંભળ્યું અને તેણે તેઓને કહ્યું, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. પણ માંદા માણસોને વૈદની જરુંર પડે છે. હું સજ્જન લોકોને નિમંત્રણ આપવા આવ્યો નથી, હું પાપીઓને નિમંત્રણ આપવા આવ્યો છું.”
ઈસુનો અન્ય ધાર્મિક આગેવાનો તરફનો અણગમો
(માથ્થી 9:14-17; લૂક 5:33-39)
18 યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. કેટલાક લોકોએ ઈસુ પાસે આવીને કહ્યું, “યોહાનના શિષ્યો ઉપવાસ કરે છે. અને ફરોશીઓના શિષ્યો પણ ઉપવાસ કરે છે. પણ તારા શિષ્યો ઉપવાસ કરતા નથી. શા માટે?”
19 ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે લગ્ન સમારંભ હોય છે ત્યારે વરરાજાના મિત્રો ઉદાસ હોતા નથી. તે તેઓની સાથે હોય છે. ત્યારે તેઓ ઉપવાસ કરતા નથી. 20 પણ જ્યારે સમય આવશે ત્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે. જ્યારે વરરાજા તેઓને છોડીને જાય છે ત્યારે તેઓ ઉદાસ હોય છે. પછી તેઓ ઉપવાસ કરશે.”
21 “જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે. 22 અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડતાં નથી. શા માટે? કારણ કે નવો દ્રાક્ષારસ, જૂના દ્રાક્ષારસની મશકને ફાડી નાખશે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો નાશ પામશે. લોકો હંમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે.”
કેટલાક યહૂદિઓ ઈસુની ટીકા કરે છે
(માથ્થી 12:1-8; લૂક 6:1-5)
23 વિશ્રામવારના દિવસે, ઈસુ કેટલાક આનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ઈસુના શિષ્યો તેની સાથે ચાલતાં હતા. શિષ્યો કેટલાંક કણસલાં તોડી ખાવા લાગ્યા. 24 ફરોશીઓએ આ જોયું અને ઈસુને કહ્યું, “તારા શિષ્યો તેમ શા માટે કરે છે? વિશ્રામવારના દિવસે તેમ કરવું તે યહૂદીઓના નિયમની વિરૂદ્ધ છે.”
25 ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે દાઉદ અને તેની સાથેના લોકો ભૂખ્યા હતા અને તેઓને ભોજનની જરુંર હતી ત્યારે તેઓએ શું કર્યુ હતું તે તમે વાંચ્યું છે? 26 તે સમય દરમ્યાન મુખ્ય યાજક અબ્યાથાર હતો. દાઉદ દેવના ઘરમાં ગયો અને દેવને અર્પણ કરેલી રોટલી ખાધી. અને મૂસાનો નિયમ કહ છે, ફક્ત યાજકો જ તે રોટલી ખાઇ શકે. દાઉદે તેની સાથેના પેલા લોકોને પણ રોટલીનો થોડો ભાગ આપ્યો.”
27 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું, “વિશ્રામવાર લોકોને મદદ કરવા બનાવાયો છે. વિશ્રામવારના શાસન માટે લોકોને બનાવવામાં આવ્યા નથી. 28 તેથી માણસનો પુત્ર એ દરેક દિવસનો, વિશ્રામવારનો પણ પ્રભુ છે.”